Wednesday, January 15, 2014

સુખી થવાનો સરળ ઉપાય – મોરારિબાપુ

માણસ હોય કે પશુ-પક્ષી હોય, દરેક જીવને સુખી થવું ગમે છે. દરેક માણસ પોતાના ધર્મસ્થાનમાં, ધર્મગુરુ પાસે કે વડીલો પાસેથી સુખનાં આશીર્વાદ ઈચ્છે છે. કબીર અને કુંતી જેવા બહુ ઓછા છે જે સુખ ઉપર પથ્થર પડે તેવું ઈચ્છે છે અને ઈશ્વર પાસે દુઃખ માગે છે. માનવીનાં હૃદયમાંથી પ્રેમ જન્મે છે અને મગજમાંથી બુદ્ધિ જન્મે છે. પ્રેમ હંમેશા સારો જ હોય છે જ્યારે બુદ્ધિ બે પ્રકારની હોય છે : (1) સદબુદ્ધિ (2) કુબુદ્ધિ. જેને સુમતિ અને કુમતિ પણ કહી શકાય. જ્યાં સુમતિ હશે ત્યાં સુખ હશે અને જ્યાં કુમતિ હશે ત્યાં દુઃખ હશે. આજે સૌને સુખનાં પ્રદેશમાં જવું છે. જે ચોરી અને લૂંટફાટ કરે છે એમનો ઈરાદો આ રીતે સુખી થવાનો હોય છે પણ એ કુમતિથી અપનાવેલો કુમાર્ગ છે અને એકપણ કુમાર્ગ સુખ સુધી જતો નથી. ઘણાં લોકો સુખ સુખી પહોંચવા માટે સંપત્તિનો વાહન તરીકે ઉપયોગ કરે છે પરંતુ પાયાની વાત એ છે કે સંપત્તિથી સત્તા, સાધનો અને સગવડ ખરીદી શકાય પરંતુ સુખની ખરીદી શક્ય નથી. સંપત્તિથી અદ્યતન શયનખંડ બનાવી શકાય પણ અદ્યતન શયનખંડનાં માલિક હોવું એ સુખ નથી. પરંતુ પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘ આવી જાય તે સુખ છે. સંપત્તિથી મોંઘામાં મોંઘી દવાઓ ખરીદી શકાય પરંતુ દવાઓ દ્વારા નિરોગી થઈ શકાય તો સુખ મળે. સુખ ઈલાજમાં નથી પરંતુ નિરોગી થવામાં છે. સંપત્તિથી કિંમતી પુસ્તકો ખરીદી શકાય પરંતુ સુખ પુસ્તકો ખરીદવામાં નથી પરંતુ એને વાંચીને-સમજીને રાજી થવામાં છે. માટે સુખી થવું હોય તો સંપત્તિ કરતાં સુમતિ વધુ ઉપયોગી છે.
શ્રીમદ ભગવદગીતામાં જે સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણની વાત છે તે ત્રણે ગુણો રામાયણમાં પ્રસંગ સ્વરૂપે જોવા મળે છે. ભગવાન રામ વાલીપુત્ર અંગદને રાજદૂત બનાવીને રાવણની સભામાં સમાધાનની વાત કરવા મોકલે છે અને સૂચના આપે છે કે રાવણનું કલ્યાણ થાય અને આપણું કામ થાય તે રીતે ગોષ્ઠી કરજે. અહીં ભગવાન પહેલા લંકેશનાં કલ્યાણની વાત કરે છે અને ત્યારબાદ પોતાના કામની ઈચ્છા રાખે છે. અહીં અંગદ સુમતિ છે. રાવણની સભામાં વિભિષણ સત્વગુણી છે, લંકા રજોગુણી છે અને રાવણ તમોગુણી છે. દ્વાપરમાં કુરુક્ષેત્રનાં મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે ત્યારે જે ત્રણ ગુણોની ચર્ચા કરે છે તે ત્રેતાયુગમાં પ્રસંગ બનીને ભજવાય છે. ગીતામાં યોગ છે તેનો રામાયણમાં પ્રયોગ છે. મહાભારતનું યુદ્ધ જમીન એટલે જડ તત્વ માટે છે જ્યારે રામાયણનું યુદ્ધ જાનકી એટલે જીવંત તત્વ માટે છે, અત્યારે જડ તત્વ માટેનાં યુદ્ધ વધી ગયા છે. રજોગુણી લંકામાં તમોગુણી રાવણ પાસે સત્વગુણી વિભિષણની સાક્ષીએ સુમતિ અંગદ રાજદૂત બનીને આવે છે. વિભિષણમાં સત્વગુણ હોવાથી એનાં વચનમાં પાંચ શુભ તત્વો જોવા મળે છે : (1) વિચાર (2) વિશ્વાસ (3) વિવેક (4) વિરાગ (5) વિશ્રામ. આ પ્રસંગ બાદ વિભિષણ ઉર્ધ્વગતિ કરે છે. લંકા ત્યાંની ત્યાં રહે છે અને રાવણની અધોગતિ થાય છે. આવી એક સભા મહાભારત વખતે પણ જોવા મળે છે જ્યાં હસ્તિનાપુર રજોગુણી છે, પાંડવો સત્વગુણી છે અને કૌરવો તમોગુણી છે.
રામાયણમાં કેવટ, વિભિષણ અને સુગ્રિવને રામનાં મિત્ર માનવામાં આવ્યા છે જેમાં કેવટ અને વિભિષણ મિત્ર ઓછા અને સેવક વધુ છે, જ્યારે સુગ્રિવ સાચા અર્થમાં સખા છે. પરિણામે કેવટ રામનાં ચરણ સુધી પહોંચી શક્યો, વિભિષણ રામનાં કાન સુધી પહોંચી શક્યા અને સુગ્રિવનું માથું રામનાં ખોળામાં હોવાથી કહી શકાય કે સુગ્રિવ રામની ગોદ સુધી પહોંચી શક્યો. પરંતુ એક વાત ચોક્કસ છે કે ત્રણે પાસે સુમતિ હતી તો રામનાં હૃદય સુધી પહોંચી શક્યા, માટે ઈશ્વર સુધી પહોંચવા માટે સુમતિનું હોવું ફરજિયાત છે. આજનો માણસ સુખ સુધી પહોંચવા માટે સંપત્તિનો આશ્રય કરે છે અને શિવ સુધી પહોંચવા માટે શુષ્ક કર્મકાંડનો આશ્રય કરે છે, જ્યારે બન્નેનો ઉપાય સુમતિ છે, તો સવાલ થાય કે સુમતિ મેળવવા માટે શું કરવું જોઈએ ? તો એનાં પાંચ રસ્તા છે.
(1) હરિનામ : ઈશ્વરનું નામ સાધકની કુમતિ દૂર કરીને સુમતિ આપશે. ઘણીવાર માણસો માળાની ટીકા કરતાં હોય છે. જો માળા ફેરવીએ તો એમ કહે કે ભગવાનનું નામ લેવામાં ગણતરીની જરૂર નથી અને ન ફેરવીએ તો એમ કહે કે દેખાવ માટે માળા રાખી છે, પરંતુ ફેરવતા નથી. જ્યારે હું એમ કહું છું કે જો માળા ફેરવી શકાય તો સારી વાત છે બાકી ફેરવી ન શકાય તો પણ માળા રાખવી. આપણાં ખિસ્સામાં પંદરસો રૂપિયા હોય અને બસ કે ટ્રેનમાં મહુવાથી ભાવનગર જવાનું હોય તો માનસિક શાંતિ રહેશે કે વાહન ચૂકી જઈશું તો ટેક્સી કરીને પણ ભાવનગર પહોંચી જઈશું. કારણ ખિસ્સામાં દોઢ હજાર રૂપિયા છે, જો માત્ર દોઢ હજાર રૂપિયા યાત્રાને નિર્ભય બનાવી શકે તો અમૂલ્ય એવી માળા અનંતની યાત્રાને જરૂર નિર્ભય બનાવી શકે છે, માટે માળા જરૂર રાખવી અને કદાચ ન રાખી શકો તો જે રાખે છે એમની ટીકા ન કરો તો પણ સુમતિ આવી ગણાશે.
(2) સત્સંગ : સત્સંગનો સંકીર્ણ અર્થ કરશો નહીં. કોઈ ધાર્મિક સ્થાનમાં, ધાર્મિક દેખાતા માણસ પાસેથી ધર્મની ચર્ચા સાંભળો તો જ સત્સંગ થયો ગણાય એવું નથી. કોઈ પણ જ્ઞાતિનાં અને કોઈપણ ક્ષેત્રનાં સજ્જન માણસ પાસે કોઈપણ સ્થળે થયેલી કોઈપણ વિષયની સારી ચર્ચા સત્સંગ છે. ઉદાહરણ તરીકે કોઈ વાલ્મિકી કે દેવીપૂજક સમાજનો માણસ જે રીક્ષાચાલક છે, તેની રીક્ષામાં બેસીને ચાલુ પ્રવાસે કોઈ સારા વિષય ઉપર ચર્ચા થઈ શકે તો એ સત્સંગ છે. બાકી ધર્મનાં માંડવા નીચે સત્સંગનાં નામે કોઈ સાત્વિક ચર્ચા ન થાય તો એ સત્સંગ નથી પરંતુ કુસંગ છે.
(3) ભગવતકથા : કોઈપણ પ્રકારની કથા જો સરળ હોય, સબળ હોય અને સજળ હોય તો તે સાંભળવાથી સુમતિનું કેન્દ્ર સક્રીય બનશે – આ કથા કદાચ ધાર્મિક ન હોય પરંતુ પ્રેરણાદાયી હોય તો પૂરતું છે.
(4) સુસાહિત્યસંગ : સાહિત્ય-સંગીત-નાટક વગેરે અલગ-અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટ હંમેશા હાર્ટમાંથી આવે છે, હૃદયમાંથી જન્મે તે કળા છે અને મગજમાંથી જન્મે તે વેપાર છે. પરંતુ સાહિત્ય સુસાહિત્ય હોવું જોઈએ. દરેક કલાકાર અન્ય કલાકારની કળાને વધાવી વખાણી શકશે તો સુમતિ સક્રીય થશે બાકી ઈર્ષ્યાની આગમાં સળગશે તો એ આગમાં એની સુમતિ સળગી જશે જે બીજાની સુમતિને જગાડી શકશે નહીં માટે કળાકાર-સાહિત્યકાર સુમતિ મેળવે અને પોતાને મળેલી ઈશ્વરદત્ત ભેટ દ્વારા બીજાની સુમતિને સક્રીય કરે તે ઈચ્છનીય છે.
(5) ઈશકૃપા : ઈશ્વરની કૃપા એ સુમતિ પામવાનું પાંચમું અને અંતિમ દ્વાર છે. આપણે હરીનામ લઈએ, સત્સંગ કરીએ, ભગવતકથા સાંભળીએ, સુસાહિત્યનો સંગ કરીએ પણ ઈશ્વરકૃપા ન હોય તો સુમતિ મળતી નથી.
આપણી મતિ ચાલાકી અને હોશિયારીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા હરિનામ, સત્સંગ, કથાશ્રવણ, સુસાહિત્યસંગ દ્વારા દિક્ષીત થાય અને એના ઉપર ઈશકૃપા અવતરે અને મતિ સુમતિ બને તે જરૂરી છે અને સુમતિ માણસને સુખ સુધી લઈ જશે, સુમતિ જીવને શિવ સુધી લઈ જશે.

સૌજન્ય :રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.