Wednesday, January 29, 2014

વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ (ભાગ 1/2)


[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]
[1] પદાર્થવિજ્ઞાન અને આત્મવિજ્ઞાન એક જ વસ્તુને જોવાના બે રસ્તા છે. આત્મવિજ્ઞાન સમગ્રતાને લઈને ચાલે છે અને પદાર્થવિજ્ઞાન અણુમાં અણુ જોવાની કોશિશ કરે છે.
[2] ન આત્મા પ્રાપ્ત કરવાનો છે ન પરમાત્મા પ્રાપ્ત કરવાનો છે. એ તો સિદ્ધ છે જ, સ્વયંભૂ છે, એ ભીતર છે, બહાર છે. સકલ નિરંતર છે. સમગ્ર રીતે આપણા હોવાપણાનું શુદ્ધીકરણ જરૂરી છે.
[3] જીવનનું સત્વ તો પારસ્પરિક સંબંધોમાં છે. અને તે વળી એવા સંબંધો હોય કે પ્રત્યેક સંબંધમાં બિનશરતી સ્વતંત્રતાની ખુશ્બૂ મહેકતી હોય.
[4] જીવનનું જે હોવાપણું છે ‘The isness of life’ એને કૃપા કહે છે, અનુગ્રહ કહે છે. દિવ્યતાની કૃપાનો આશય તે જીવનનું હોવાપણું છે.
[5] વિશ્રાંત અવસ્થામાં આપણે બેસીએ તો ઘણીવાર એ શાંતિમાં અંતઃકરણની ઊર્જા આપણને માર્ગ બતાવે છે : કોઈ એને ‘અંતઃજ્ઞાન દર્શન’ તો કોઈ એને ‘સહજાભૂત દર્શન’ કહે છે.

[6] પ્રારબ્ધ એક તથ્ય છે. એની સાથે ઝઘડો કે ઈન્કાર કરી શકાતો નથી. તમે કદી કહી શકો નહીં કે ‘મારે એ નથી જોઈતું’. એની સાથે સુમેળ સાધો, પ્રારબ્ધને ઓળખીને પુરુષાર્થનો પ્રારંભ કરો.
[7] સંયમ સમજની સાથે જાય છે અને એમાં કલેશ થતો નથી. દમનમાં કલેશ છે કારણ કે અંદરથી એ જોઈએ છે અને બહારથી તમે એને રોકી રહ્યા છો.
[8] અધ્યાત્મથી માણસ પથ્થર બનતો નથી, બલ્કે એની સંવેદનશીલતા વધારે તીવ્ર, તરલ, તત્પર બને છે. અનુકૂળ પ્રતિકૂળ સંવેદન થાય છે, પરંતુ એમાંથી પ્રિયતા કે અપ્રિયતા ઊભી કરતો નથી.
[9] જીવનની સમગ્રતામાં તો મનુષ્ય પણ એક મામૂલી પ્રાણી માત્ર છે. એવી જ રીતે આ નાનકડો ગ્રહ અને તેજસ્વી સૂર્યમંડળ પણ એની આગળ સાવ નગણ્ય છે. એની સમગ્રતાના આપણે અંશ છીએ. એ જાણ્યા પછી ભય ન રહેવો જોઈએ.
[10] ધ્યાન માટે સાધના આવશ્યક નથી. આપણા શરીર, મન, પ્રાણ, બુદ્ધિ વગેરેની શુદ્ધિ માટે સાધના આવશ્યક છે. એ બધામાં એક વ્યવસ્થા, એ બધાંનો પરસ્પર સંવાદ પૂર્ણ સુંદર સંબંધ પેદા કરવો, એની ગતિઓમાં લય પેદા કરવો- એના માટે જે વૈજ્ઞાનિક કર્મ કરાય છે એને સાધના કહે છે.
[11] નાની ઉંમરમાં તમે તમારાં બાળકોના કોમળ મગજ પર મહાપુરુષોના લખાણ લાદશો નહીં. જો એ એમને બરાબર રીતે પકડી શકશે નહીં તો ઊલટો અર્થ કરીને કેટલીક વિકૃતિઓ પેદા કરશે.
[12] સૂર્યના કિરણોમાં જેટલી શક્તિ છે એટલી જ અથવા તેનાથી વધારે શક્તિ શુદ્ધ શબ્દમાં, શુદ્ધ નાદમાં અને શુદ્ધ સ્વરમાં છે.
[13] વિચારોનું, વૃત્તિઓનું ઊઠવાનું જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે તમે મૌનગૃહના આંગણામાં પ્રવેશ કરો છો.
[14] જ્યારે આનંદની તરફ તમારી યાત્રા થશે ત્યારે સુખ અને દુઃખ દેનારાં વિષય-સાધન અથવા માધ્યમનું આકર્ષણ શાંત થઈ જશે.
[15] તન અને મનને શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ આહાર-વિહાર આપવા માંડશો, એને નિરામય-નિરોગી બનાવશો તો અશુદ્ધિ તરફનું એનું આકર્ષણ આપોઆપ હટી જશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.