Showing posts with label દીનેશ પાંચાલ. Show all posts
Showing posts with label દીનેશ પાંચાલ. Show all posts

Saturday, February 8, 2014

કંકુવરણાં કુકર્મો…!- દીનેશ પાંચાલ

એક શ્રદ્ધાળુ માણસના જીવનની વાત છે. એ માણસ રોજ પ્રભુભક્તીમાં દોઢ કલાક ગાળે. નીયમીત ગીતાપાઠ કરે. દત્તબાવની ગાય. મંદીરમાં સઘળા ફોટાઓ આગળ માથું ટેકવે, એટલું જ નહીં; ‘જય સીયારામ’ બોલ્યા વીના હોઠે કશું ના અડાડે એવો એ ધાર્મીક માણસ !

એક દીવસ એવું બન્યું, એના વાડામાં એક ડુક્કર મરી ગયું. એણે લાકડી વડે તે પાડોશીના વાડામાં ખસેડી દીધું. પાડોશીનું બારણું બન્ધ હતું; એથી તેમને એ વાતની જાણ ન થઈ. પણ બીજા પાડોશીએ આ દૃશ્ય બાથરુમની જાળીમાંથી જોયું. તેણે પેલા પાડોશીને જાણ કરી. બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. બીજા પાડોશીએ આક્રોશ ઠાલવતાં કહ્યું : ‘તમે રોજ દોઢ કલાક ભક્તીમાં ગાળો છો. ટીલાં–ટપકાં કરો છો. હમ્મેશાં ધરમના ચોપડા વાંચતા રહો છો. શું તમારો ધર્મ તમને એવું શીખવે છે કે તમારા વાડામાં  ડુક્કર મર્યું હોય તેને પાડોશીના વાડામાં સરકાવી દેવું ? ધરમના ચોપડા વાંચ્યા પછી પણ તમે અંદરથી આવા મેલા જ રહેવાના હો તો ધુળ પડી તમારા ધરમમાં…! સળગાવી દો ધરમના ચોપડા… અને કંઈક અક્કલ આવે એવા ચોપડા વાંચો !’

સાંજે અમારી મીત્રમંડળીમાં આ વાત નીકળી. બચુભાઈ હસીને બોલ્યા : ‘મરેલું ડુક્કર પાડોશીના વાડામાં ખસેડી દેવું એ આ કળીયુગમાં આમ તો અક્ક્લની જ વાત ગણાય !’ પછી એકાદ ક્ષણ અટકીને તેમણે ઉમેર્યું : આ બધી માણસના મનના ખાળકુવાની ગંદકી છે. માણસના કપાળે કરવામાં આવતાં ટીલાં–ટપકાં દુનીયા જોઈ શકે છે; પણ મનના ડાઘ છુપાયેલા રહે છે તે આવા પ્રસંગે છતા થઈ જાય છે. ક્યારેક મરેલા ડુક્કર કરતાં જીવતા માણસના મનની દુર્ગન્ધ વધી જતી હોય છે !

ધર્મ માણસને એવી બેઈમાની શીખવતો નથી. માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે. કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં કદી એવો ઉપદેશ આપ્યો નથી, ‘હે વત્સ, તારા વાડામાં ડુક્કર મર્યું હોય તો તારે લાકડી વડે ચાલાકીથી પાડોશીના વાડામાં ખસેડી દેવું…!’ દુર્યોધન રોજ દાતણ કરીને ચીરી અર્જુનના આંગણામાં ફેંકતો હતો એવોય ગીતામાં ક્યાંય ઉલ્લેખ નથી !

થવું જોઈએ એવું કે ધર્મના આદેશ મુજબ માણસનું ઘડતર થવું જોઈએ; પણ વાત ઉંધી બની ગઈ છે. માણસની ઈચ્છા મુજબ ધર્મ ઘડાયો છે. જેથી હવે માણસને ધર્મનો ડર નથી લાગતો. કેમ કે આજનો કહેવાતો ધર્મ એ તેનું પોતાનું માનસસન્તાન છે. આજે ધર્મને નામે માણસ જે કર્મકાંડો કે પુજાપાઠ કરતો રહે છે એ કેવળ તેનું આધ્યાત્મીક મનોરંજન બનીને રહી ગયું છે ! એવા માનવસર્જિત ધર્મનો જ એ કુપ્રભાવ છે કે માણસ મુર્તી સમક્ષ સજ્જ્ન બની રહે છે અને સમાજ વચ્ચે શેતાન બનીને જીવે છે. કહેવાય છે કે શીક્ષણની ઈજ્જત રહેલી છે, તે રીતે ધર્મનો સ્પર્શ પામી માણસ કેવો બની શકે છે તે બાબતમાં ધર્મની પણ પ્રતીષ્ઠા રહેલી છે.

એક વાત વારંવાર સમજાય છે. હવે આસ્તીકતા કે નાસ્તીકતા એ માણસના સારા કે નરસા હોવાની સાબીતી નથી રહી. ઈશ્વરમાં માનવું ન માનવું એ માણસની અંગત વીચારધારાને લગતી બાબત છે. ઈશ્વરમાં માનતા માણસો અચુકપણે સજ્જનો જ હોય એ વાત તો ક્યારની જુઠી સાબીત થઈ ચુકી છે. મંદીર અને મસ્જીદ માટે આ દેશમાં આસ્તીકોએ જે પીપડાબન્ધ લોહી રેડ્યું છે તેના સ્મરણમાત્રથી ધ્રુજી જવાય છે. કેટલાંય જીવતાં સ્ત્રીપુરુષો અને બાળકોને સળગાવી દેવાયાં હતાં ! હજી પણ એ આગ પુરી હોલવાઈ નથી.

નાસ્તીકો માટે એટલું આશ્વાસન જરુર લઈ શકાય કે તેમણે કદી ઈશ્વર કે ધર્મને નામે વીરાટ માનવસંહાર આચર્યો નથી. પરન્તુ ધર્મ અને શ્રદ્ધા સીવાયના દુષણોથી તેઓ પણ મુકત નથી. કોઈ માણસ નાસ્તીક હોવાથી તે આપોઆપ સજ્જન બની જતો નથી. નાસ્તીકોમાંય અનેક પ્રકારની સ્વભાવગત, માનવસહજ કમજોરી હોઈ શકે છે.

સાચી વાત એ છે કે માણસ તેના આચાર, વીચાર અને વર્તનથી કેવો છે તે જ તેનો સાચો માપદંડ ગણી શકાય. તે ભગવાનને ભજે છે કે નથી ભજતો તે બાબત પરથી તેનું સાચું માપ નીકળી શકતું નથી. રોજબરોજની જીવાતી જીન્દગીમાં એક માણસ બીજા માણસ જોડે કેવો વ્યવહાર કરે છે તે પર  માનવસમાજનાં સુખદુ:ખનો આધાર રહેલો છે. દર મહીને એક સત્યનારાયણની કથા કરાવતો માણસ પોતાને ત્યાં મરેલો ઉંદર પાડોશીને ત્યાં ફેંકી દેતો હોય તો એવી ભક્તીનો કોઈ ફાયદો ખરો ?

ન દેખાતા ભગવાન માટે માણસ પોતાની આસપાસના જીવતા માણસોને સળગાવી દેતો હોય તો એવા લોકો માનવસમાજના સાચા દુશ્મનો છે. આજે થાય છે એવું કે માણસ રોજ ભગવાનના ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.

અમેરીકાના લોકોની ગરદન ઘડીયાળના કાંટા સાથે  જોતરાયેલી હોય છે. આપણી માફક ઈશ્વરભક્તી માટે રોજ સવારનો એકાદ કલાક ફાળવવાનું તેમને માટે લગભગ અશક્ય હોય છે. છતાં રોજબરોજના માનવવ્યવહારમાં અમેરીકનો આપણા કરતાં વધુ પ્રામાણીક  હોય છે. ત્યાં કોઈ સ્ટોરમાં ગ્રાહકની સોનાની ચેન ગુમાઈ ગઈ હોય તો તે પાછી મળી શકે છે. આપણે ત્યાં રામકથા સાંભળવા બેઠેલા હજારો શ્રદ્ધાળુઓ વચ્ચે પાંચ તોલાનો સોનાનો અછોડો ખોવાયો હોય તો તે પાછો મળવાની આશા નથી હોતી.

બચુભાઈ કહે છે : ‘રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી !’ આપણે ત્યાં ભાડેનું ઘર પચાવી પાડવાની બાબત પાપ લેખાતી નથી. (સરકારે ઘરભાડુતની તરફેણમાં કાયદો કરીને હવે બેઈમાનીને કાયદેસર કરી છે.) તમે કપાળે તીલક અને રામનામની ચાદર ઓઢીને નીકળી પડો તો લગભગ પોણી દુનીયાને ઉલ્લુ બનાવી શકાય છે.

ઑફીસમાં પ્રવેશતી વેળા વાંકા વળી ઑફીસના ઉંબરાને શ્રદ્ધાથી હાથ અડાડતા કર્મચારીઓને મેં જોયા છે. એવા લોકો ઉંબરની પેલે પાર જઈ ખોટા બીલો મુકી ગોલમાલ કરે છે ત્યારે પેલો ઉંબરો કેવો વીશ્વાસઘાત અનુભવતો હશે ? કોઈ ધનકુબેર શેઠીયો પોતાનો સ્વાર્થ સાધવા તગડી લાંચ આપે છે ત્યારે તેને ઠુકરાવી દેવામાં ભલભલાનાં હાંજા ગગડી જાય છે. એવી બેઈમાની હવે સામાન્ય ગણાય છે. ઑફીસમાં સમયસર ન જવું કે કામચોરી કરવી એવી બાબતોની ટીકા કરનારાઓની ગણતરી હવે વેદીયામાં થાય છે.

સંક્ષીપ્તમાં તાત્પર્ય એટલું જ કે રોજ ઉઠીને પુજાપાઠ કરો. ગીતા, બાયબલ કે કુરાન વાંચો, પણ સમાજમાં એક સાચા, નેકદીલ ઈન્સાન તરીકે નહીં જીવી શકો તો ધર્મશાસ્ત્રોની શીખામણો પોથીમાંનાં રીંગણાં જેવી બેઅસર બની રહે છે. ધર્મપુસ્તકો વાંચી નાખવાથી કેવળ માનસીક સન્તોષ થાય છે. જીવનમાં સાચકલી સુખ–શાન્તી મેળવવી હોય તો કેવળ વાંચ્યાથી નહીં ચાલે; ધર્મની સારી શીખામણોનો જીવનમાં અમલ કરવો રહ્યો. યાદ રહે, રોગ મટાડવા માટે ડૉક્ટરની દવા પેટમાં જાય તે જરુરી છે. દવા શીશીમાં પડી રહે તેનો કોઈ ફાયદો થતો નથી.


http://govindmaru.wordpress.com/ માંથી સાભાર

Thursday, February 6, 2014

તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન…?-દીનેશ પાંચાલ


નાનપણમાં અમે મામાને ત્યાં ફરવા જતા. મામા મજાકમાં પુછતાં, ‘બોલો અક્કલ બડી કે ભેંસ… ?’ અમે બધા છોકરાઓ સમુહસ્વરમાં બોલી ઉઠતાં – ભેંસ… !’ અક્કલની ઉંચાઈ માપવા માટે બુદ્ધીની મેઝરટેપ જોઈએ; પણ તે વખતે અક્કલ દુધીયા દાંત જેવી કુમળી… આંખોની ફુટપટ્ટી વડે જે મોટું જણાતું તે અમને મોટું લાગતું. આજનાં બાળકો ખાસ્સાં પરીપકવ હોય છે. તેમની સામે ચોકલેટ અને સો રુપીયાની નોટ ધરવામાં આવે તો તેઓ ચોકલેટ નહીં; સોની નોટ લઈ લે છે. (ત્રીજા ધોરણમાં ભણતા વીદ્યાર્થીને પુછવામાં આવ્યું, ‘કુંભમેળો ઉપયોગી કે વીજ્ઞાનમેળો…’ તેણે જરા વીચારીને જવાબ આપ્યો : ‘વીજ્ઞાનમેળો’… સુંદર જવાબ)
એકવાર ટીવી પર બાળકો ટીવી સીરીયલ જોઈ રહ્યાં હતાં. બન્યું એવું કે નાયીકાને ઉલટી થવા લાગી. એ સમયે એક બાળકે બીજા બાળક તરફ જોઈને અર્થસુચક સ્મીત કર્યું. બીજાએ બન્ને હાથના આંગળા એકમેકમાં ભીડી પારણું ઝુલાવવાની એક્ટીંગ કરતાં ‘ઉંવા… ઉંવા’ એવો અવાજ કાઢ્યો. કશાય પદ્ધતીસરના શીક્ષણ વીના આજનાં બાળકો ઘણું જાતીય જ્ઞાન ધરાવતાં હોય છે. તેમને સતત પ્રશ્નો થતા રહે છે. તેમનામાં શ્રદ્ધાવાદ કરતાં બુદ્ધીવાદ વધુ ઝડપથી વીકસી રહ્યો છે. એ સારી નીશાની છે. અન્ધશ્રદ્ધા સામેની તેમની પ્રતીકારક શક્તી વીશેષ છે. પુજાની અગરબત્તી કરતાં કાચબાછાપ અગરબત્તીની ઉપયોગીતા તેમને વીશેષ જણાય છે. મન્દીરના ઘંટ કરતાં નીશાળના ઘંટ જોડે તેમને વધુ ઘરોબો છે. એક વાર આ સ્થળેથી લખ્યું હતું – ‘દેશની વસતી પ્રતી સેકન્ડે ટાઈમ–બૉમ્બના ટાઈમરની ગતીએ વધી રહી છે. એ સંજોગોમાં સમાજને નાળીયેર કરતાં નીરોધ વધુ ઉપયોગી છે.’ એક ચૌદ વર્ષના છોકરાએ એ ટાઈટલ લાયબ્રેરીમાં તેના બીજા મીત્રને બતાવીને કહેલું – ‘વાત સાચી છે.’ (સીત્તેર–એંશી વર્ષ પહેલાના કોઈ કીશોરને આ વાત સાચી ન લાગી હોત; બલકે નીરોધ એટલે શું એ પ્રશ્ન પર જ તે મુંઝાઈ ગયો હોત !)
આપણી મુળ વાત શ્રદ્ધાની સરખામણીમાં જીન્દગીની નક્કર જરુરીયાતો કેટલી મહત્ત્વની હોય છે તે અંગેની છે. અબીલ, ગુલાલ, કંકુ, લોબાન કે અગરબત્ત્તી એ શ્રદ્ધાનાં સાધનો છે; પરન્તુ શ્રદ્ધાપુર્તી એ પેટપુર્તી પછીના ક્રમે આવતી બાબત છે. માનવ–વસતીમાં શ્રદ્ધાવાદ કરતાં ભૌતીકવાદનાં મુળીયાં ઉંડાં છે. ઈશ્વરપુજા વીના જીવી શકાય; પેટપુજા વીના નહીં ! માણસને પ્રભુ વીના ચાલે; પંખા વીના નહીં. હમણાં એક મન્દીરમાં મેં ભગવાનની મુર્તીને માથે પંખો ફરતો જોયો. મુર્તીને પવનની જરુર હોય તો માણસને કેમ નહીં ? પણ અમે જે ધર્મશાળામાં ઉતર્યા હતા ત્યાં બધી રુમોમાં એક પણ પંખો નહોતો !
આજના વીજ્ઞાનયુગમાં બીલીપત્ર કરતાં બકનળી (ટેસ્ટટ્યુબ)નું મહત્ત્વ વીશેષ છે. આસ્તીક અને નાસ્તીકને સરખી ભુખ લાગે છે. આસ્થા એ આત્માનો ખોરાક છે. દાળરોટી એ પેટની જરુરીયાત છે. કુદરતે વ્યવસ્થા જ એવી કરી છે કે માણસને શ્રદ્ધા કરતાં શીરામણની વધુ જરુર પડે છે. શ્રદ્ધાળુઓ એકાદ–બે ઉપવાસ કરી શકે; આખી જીન્દગી ભુખ્યા રહી શકતા નથી. ભગવાન વીના તેઓ જીવી શકે; પણ માણસ વીના એમનું કામ અટકી પડે. મન્દીર વીના ચાલી શકે; પણ સંડાસ વીના નહીં. સ્નેહ વીના જીવી જવાય; પણ શ્વાસ વીના નહીં. કોઈ પીઅક્કડને પુછજો. તે કહેશે, ‘મન્દીર વીના ચલાવી લઉં; પણ મદીરા વીના નહીં.’
મુળ વાત એટલી જ, માણસને શ્રદ્ધા કરતાં સાધનોની વધુ જરુર પડે છે. કોઈ કથાકારને ઑપરેશન કરાવવું જ પડે એવું હોય, ત્યારે તેણે મન્દીરનાં નહીં; હૉસ્પીટલમાં પગથીયાં ચઢવાં પડે છે. સંસાર છોડીને સાધુ બની ગયેલા લોકોને પણ જીવનજરુરીયાતનાં સાધનોની જરુર પડે છે. બસ–ગાડીમાં મુસાફરી કરવાને બદલે પગપાળા ભ્રમણ કરનારા સંતોનેય ચંપલ કે પાવડી વીના ચાલતું નથી. જૈન ધર્મના ઘણા વયોવૃદ્ધ સાધુ–મુનીઓ વ્હીલચેરમાં બેસી ભ્રમણ કરે છે. વીજ્ઞાનનો ઘોર વીરોધ કરતાં એ ગુરુઓ ધર્મપુસ્તકો વાચતાં પુર્વે આંખે ચશ્માં ચઢાવવામાં કશો છોછ અનુભવતા નથી. દાંતનું ચાડું પહેરવામાં પણ એમને વીજ્ઞાન પ્રત્યેનો તીરસ્કાર આડે આવતો નથી. સરદર્દ ઉપડે ત્યારે તેઓ પ્રભુને પ્રાર્થના કરતા નથી; પેરાસીટામોલ ટેબ્લેટ ગળી લે છે. એપેન્ડીક્સનું ઑપરેશન કરવાનું હોય ત્યારે તેઓ થોડાક સમય પુરતી વીજ્ઞાન પ્રત્યેની ઘૃણાને બાજુ પર રાખી હૉસ્પીટલમાં દાખલ થઈ જાય છે. ગંગાજળને જીવનજળ સમજતો સાધુ–સંત બીમાર પડે ત્યારે તેને ગંગાજળના નહીં; ગ્લુકોઝના બાટલા ચઢાવવા પડે છે. (જહાં કામ આવત સુઈ, વહાં ક્યા કરે તલવારી ?)
જે દીવસે ઈશ્વરની આરતી કરવાથી એઈડ્સ સાજો થઈ શકશે તે દીવસે નાસ્તીક લોકો પણ કાનની બુટ ઝાલીને શ્રદ્ધાળુ બની જશે. ઉનાળામાં પ્રસ્વેદની પીડા પંખાથી જ દુર થઈ શકે; પરમેશ્વરથી નહીં. (પરમેશ્વરને તો ખુદ મન્દીરમાં પંખો જોઈએ છે !) ક્યારેક થીજાવી દે એવી કાતીલ ઠંડી પડે છે ત્યારે ઈશ્વરના પ્રખર ભક્તને પણ શ્રદ્ધાનું આવરણ પુરું પડતું નથી. (શ્રદ્ધા સોલાપુરી ચારસાનો વીકલ્પ બની શકતી નથી) ભુખ લાગે ત્યારે ભગવાનની નહીં; ભાખરીની જરુર પડે છે. રોજ ગીતાના ચાર અધ્યાય વાંચવાનો તમારો પાકો ક્રમ હશે. તોય કેન્સર થયું હશે તો ગંગાજળ પીવાથી કે ચારધામની યાત્રા કરવાથી નહીં મટે. તે માટે કેન્સરની હૉસ્પીટલમાં દાખલ થવું જ પડે. શ્રી. હરીને રોજ ‘સાહેબજી’ કરી હોય તે ત્યાં કામ આવતી નથી.
જીવનમાં ડગલે ને પગલે શ્રદ્ધા કરતાં સાધનોનું આટલું મહત્ત્વ રહ્યું હોય ત્યારે સાધનોની જાળવણી જરુરી છે. જીવન એ જીવાત્માનું પ્લેટફોર્મ છે. જીવ મુસાફર છે. જીન્દગી એનો રસ્તો છે. એથી જીવ અને જીવનની પુરા આદરથી જાળવણી કરવી એ સૌનો જીવનધર્મ છે. ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવ્યા બાદ ઠેરઠેર માણસોને જીવતા જલાવી મુકવામાં આવ્યા. જીવ અને જીવન બન્ને સળગ્યાં. એમાં ન તો રામ રાજી થયા; ન અલ્લાને આનન્દ થયો. જીવતો જાગતો માણસ રહેંસાઈ જાય પછી સલામત રહેલી શ્રદ્ધા, બકરી કપાઈ ગયા પછી બાજુમાં પડેલા છરા જેવી હોય છે, એવી જીવલેણ શ્રદ્ધાને માથે આપણે કુરબાની કે શહીદીનું લેબલ લગાવી દઈએ છીએ. આગજનીને ધર્મયુદ્ધમાં ખપાવી દેવાય એનાથી મોટો ધાર્મીક દંભ બીજો એકે નથી. રામ–રહીમ માંહોમાહે કપાઈ મરે છે, ત્યારે ઈશ્વર અને અલ્લાનું અરણ્યરુદન માણસના કાન સુધી પહોંચતું નથી. કેટલા હીન્દુ મર્યા કે કેટલા મુસ્લીમ એવી ચર્ચા થાય છે. ખરો હીસાબ તો કેટલા માણસો મર્યા એનો કાઢવો જોઈએ. ડાબો હાથ કપાય કે જમણો; દેહને સરખી વેદના થાય છે. તમારી આંખો ફોડી નાખતાં પુર્વે કોઈ તમને પસંદગીની તક આપતા પુછે – ‘ડાબી ફોડું કે જમણી.. ?’ તો તેનો કોઈ આનન્દ થાય ખરો ?
આપણી કમનસીબી એ છે કે આપણે હીન્દુ કે મુસ્લીમને મરતાં જોઈએ છીએ પણ ઈશ્વર કે અલ્લાના આઘાતને જોઈ શકતા નથી. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધીનાં ઉઠમણાં થતાં રહે છે અને માનવતાનાં મૈયત પર જીન્દગીઓ કુરબાન થતી રહે છે. બચુભાઈ એથી જ કહે છે – ‘ઈન્સાન અગર ઈન્સાન કો કરે કુરબાન; તો ક્યા ફાયદા, તુમ ગીતા પઢો યા કુરાન… ?

http://govindmaru.wordpress.com/ માંથી સાભાર


Saturday, December 14, 2013

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે ! -દીનેશ પાંચાલ

‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો ?’  આ દુનીયા આસ્તીકોની શ્રદ્ધાથી નથી ચાલતી. નાસ્તીકોના નીરીશ્વરવાદ વડે ય નથી ચાલતી. ચાલે છે કામ કરનારા કર્મયોગીઓ વડે. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે એવી ફરીયાદ કરનારાઓ કરતાં એ પથ્થરને ઉંચકીને ફેંકી દે એવા માણસની આજે દુનીયાને વીશેષ જરુર છે. પાણી પર પીએચ.ડી. કરનારા કરતાં, કુવો ખોદીને પાણી કાઢનારો વધુ ઉપયોગી નીવડે છે. જીવવા માટે ખોરાક બહુ જરુરી છે એવું ભાષણ કરનારા કરતાં ખેતી કરીને અનાજ પકવનારાઓની ખાસ જરુર છે. ઍરોપ્લેનમાં શ્રીમંતો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં આ દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે.
પેટની આગ માણસની પ્રાથમીક સમસ્યા છે. પરન્તુ કુદરતે માણસને કેવળ ભુખ નથી આપી. ભુખની સાથે ધરતી આપી, જળ આપ્યું, બીજ આપ્યું. એ બીજમાંથી અનાજ પકવવાની સમજણ પણ એણે જ આપી. એ માટે આપણે કુદરતને થેંક્યુ કહેવું જોઈએ. (યત્ કૃપા તમ હમ વન્દે… પરમાનન્દ માધવમ્ !)
સમજો તો એ ‘થેંક્યુ’થી ચડીયાતી પ્રાર્થના બીજી એકે નથી. એ માટે માણસે મન્દીરમાં જવાની કે નવ દીવસ કામધન્ધો છોડી રામકથા સાંભળવાની જરુર નથી. કોઈ કવીની કવીતા ઉપર આપણે ઝુમી ઉઠીએ ત્યારે શું કરીએ છીએ ? દીલથી ‘વાહ, વાહ !’ બોલી ઉઠીએ છીએ. કવી સામે અગરબત્ત્તી કે દીવો સળગાવી નારીયેળ ફોડતા નથી. કવીની જેમ ભગવાન નામના કલાકારનેય કેવળ થેંક્યુ કે વાહ વાહની જરુર છે. લાંબાલચ કર્મકાંડો કે ટીલાં–ટપકાંની જરુર હોતી નથી. માણસની ભક્તીમાં કાળક્રમે કૃતજ્ઞતાનો અતીરેક ભળતો ગયો. સાચી જુઠી માન્યતાઓથી ભક્તી વીકૃત થઈ. ધર્મગુરુઓએ ધર્મના કલ્યાણકારી મુળ સ્વરુપમાં મનસ્વીપણે ફેરફારો કર્યા. મનફાવતાં અર્થઘટનો કર્યાં. કાળક્રમે મુળ ધર્મ બાજુએ રહી ગયો ને ધર્મના નામે કર્મકાંડોનો અતીરેક થવા લાગ્યો. એમ કહો કે મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો.
આ બધી વરવી ધાર્મીક પ્રક્રીયાઓમાંથી જનમ્યો એક વર્ણસંકર રાક્ષસ…! એ રાક્ષસ તે આજનો કહેવાતો ધર્મ ! સમગ્ર દુનીયામાં માત્ર માનવધર્મ જ સાચો એમ માનવાને બદલે, આ મેનમેઈડ ધર્મે માણસોને અનેક ટોળાંમાં વહેંચી નાખ્યા. જેટલાં દેવ એટલાં ટોળાં થયાં. કોના દેવ સાચા અને વધારે પાવરફુલ તે મુદ્દા પર ક્યારેક ટોળાં વચ્ચે જુથઅથડામણ થાય છે. દરેક માથું પોતાના દેવ ખાતર ખપી જવા જંગે ચઢે છે. જોતજોતામાં લોહીનાં ખાબોચીયાં છલકાઈ જાય છે. ઘણીવાર ધાર્મીક સરઘસોમાં ગુપ્તી, હોકી સ્ટીક, સોડાવોટરની બાટલીઓ, ખંજર કે તલવારો મળી આવ્યાની ઘટનાઓ પણ બની છે.
માણસનો આ કહેવાતો ધર્મ, કમળામાંથી કમળી થઈ ગયા જેવી દુર્ઘટના છે. નહીંતર શ્રદ્ધા અને સોડાવોટરની બાટલીઓનો મેળ શી રીતે ખાય ? તલવાર અને ધર્મ એક મ્યાનમાં શી રીતે રહી શકે ? પેટ્રોલના પીપડામાં સળગતી મશાલ ખોસવા જેવી એ મુર્ખતા ગણાય ! વધારે આઘાતની બાબત એ છે કે એ ધર્મપંડીતો વીજ્ઞાનનો વીરોધ કરે છે અને ગળુ ફાડીને ભક્તોને સમજાવે છે કે તમે દીનરાત ભગવાનના ચરણોમાં મંજીરાં વગાડતાં રહો ! દયાના સાગરને નામે દેહને કષ્ટ આપતાં રહો. સંસારની મોહમાયા ત્યજો અને મોક્ષપ્રાપ્તી માટે મંડ્યા રહો ! આત્માના કલ્યાણ માટે તરેહ તરેહના ટીલાં–ટપકાં ને કર્મકાંડો કરતા રહો. સાધુસન્યાસીઓ, ગુરુઓ કે સ્વામીઓના ચરણોમાં આળોટતા રહો અને એવા કેશવાનન્દોની સેવામાં ઘરની બહેન–દીકરીઓને મોકલતા રહો. આટલું કરો તો તમારા મોક્ષનો વીઝા પાકો ! તમારું કલ્યાણ નક્કી ! પણ આટલું કરવા છતાં તમારું કલ્યાણ ન થઈ શકે તો નક્કી માનજો કે તમારી શ્રદ્ધા ઓછી, તમારી ભક્તી કાચી ને તમારી નીષ્ઠા નકામી !
આપણો મુળ પ્રશ્ન છે – માણસ માટે કઈ શાન્તી વધુ જરુરી – મનની શાન્તી કે પેટની ? આ પ્રશ્ન, માણસ માટે શું વધુ જરુરી – શર્ટ કે નેકટાઈ જેવો ગણાય ! ઉઘાડા શરીરે ગળામાં માત્ર ટાઈ પહેરી ફરનારો માણસ ભુંડો લાગે છે. તેને પાગલ કહી શકાય; પણ એવા માણસને શું કહીશું, જેઓ પોતાનાં સન્તાનોને પુરું ખાવાનું આપી શકતાં નથી; છતાં દર મહીનાના પગારમાંથી રુપીયા એકાવનનો મનીઓર્ડર અમુકતમુક મન્દીરમાં મોકલે છે!
પેટની આગ ઠારવા માટે માણસ ખેતરમાં જઈ અનાજ પકવવાને બદલે મંદીરમાં જઈ મંજીરાં વગાડશે તો એની ભુખ મટશે ખરી ? માણસની આધ્યાત્મીક આવશ્યકતાઓ કરતાં પ્રાથમીક જરુરીયાતો વીશે વીચારવાની તાતી જરુર છે. ગામડાંઓમાં લાખો લોકો પાસે જાજરુની સુવીધા હોતી નથી; છતાં એ લોકોને પૈસા ભેગા કરી મન્દીર બાંધવાનું સુઝે છે; પણ જાજરુ બાંધવાનું સુઝતું નથી. આજના તણાવયુક્ત વાતાવરણમાં પ્રભુભજન કે દેવદર્શનથી માણસના મનને કોઈ મનોવૈજ્ઞાનીક રાહત મળતી હોય તો ભલે મન્દીરો બંધાતાં; પણ તેનો ક્રમ જાજરુથી અગ્રક્રમે કદી ન હોવો જોઈએ. તવંગર માણસ તીરુપત્તી જઈ ભગવાનના ચરણોમાં સોનું ચઢાવી આવે છે. એવી લક્ઝુરીયસ અન્ધશ્રદ્ધા અમીરો ઍફોર્ડ કરી શકે છે. ગરીબો પોતાની કાળી મજુરીના પૈસા પરીવાર પાછળ ખર્ચવાને બદલે ભગવાન પાછળ ખર્ચે છે, તે લંગોટી વેચીને પાઘડી ખરીદવા જેવી ભુલ ગણાય.
આપણે ત્યાં આઠમા ઘોરણના પ્રવેશવંચીત વીદ્યાર્થીઓ માટે પ્રતીવર્ષ આંદોલન થાય છે. એવું આંદોલન પ્રજાએ ક્યારેય ‘મન્દીરને બદલે શાળા કૉલેજો બાંધવી જોઈએ’ એવા મુદ્દા પર કર્યું છે ? થોડાં વર્ષો પર અશ્વમેધયજ્ઞમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જરા મનના કેલ્ક્યુલેટર પર હીસાબ માંડીને કહો– એક અશ્વમેધયજ્ઞ પાછળ થતા કરોડો રુપીયાના ધુમાડામાંથી કેટલી શાળાઓ બાંધી શકાઈ હોત ? પણ જવા દો એ વાત… અશ્વમેધયજ્ઞ એ આપણા અન્ધશ્રદ્ધાળુ સમાજનું સીનેમાસ્કૉપ પ્રતીક છે. જ્યાં દશમાંથી નવ માણસો એવાં યજ્ઞોની તરફેણ કરતા હોય, ત્યારે તેને અટકાવવાનું કામ ગાંડા હાથીના પગમાં સાંકળ બાંધવા સમુ કપરું છે.
તાત્પર્ય એટલું જ, સાચી જરુરીયાત મનની શાન્તી કરતાં પેટની શાન્તીની છે. ભુખ્યા ભીખારીને ધ્યાન લાગે ખરું ? આધ્યાત્મીક શાન્તી મળે ખરી ? મનની શાન્તી ભોજન પછીના પાનબીડાં જેવી છે. પેટ ભોજનથી તૃપ્ત થયું હોય તો જ પાનની મઝા આવે. જીવનમાં ભોજનનું મહત્ત્વ પાનબીડાં કરતાં હંમેશાં વધારે રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન માટે શું વધારે જરુરી પાણી કે શરબત ? જવાબ પાણી જ હોય શકે શરબત નહીં ! કેવળ ઈશ્વરનાં મંજીરાં વગાડ્યા કરવાથી માણસનું પેટ ભરાઈ શકતું નથી અને ઈશ્વરના અસ્તીત્વને સતત ઈન્કારવાથીય માણસનો દહાડો વળતો નથી.
આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો. કામ એ જ પુજા છે. કામ એ જ ઉર્જા છે. માનવદેહને ટકાવવા પહેલી જરુરીયાત રોટીની છે. શ્રમ કર્યા વીના કોઈને રોટી મળતી નથી. જોકે કેવળ રોટીનું નહીં– ઈજ્જતની રોટીનું મુલ્ય છે. રોટી તો દાઉદ ઈબ્રાહીમનેય મળે છે અને સ્વામી સચ્ચીદાનન્દજીનેય મળે છે. પણ એક રોટી, શબરીના બોર, વીદુરજીની ભાજી કે સુદામાના તાંદુલની જેમ દરેક ધર્મના રામ અને કૃષ્ણને વહાલી હોય છે. મુળ વાત એટલી જ, બેઈમાનીની બાસુંદી કરતા ઈજ્જતની ભડકી સારી !
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર  (ટૂંકાવીને)
 

Saturday, October 5, 2013

નવરાત્રી: તહેવારોને તોડો નહીં, મરોડો -દીનેશ પાંચાલ

નવરાત્રીનો ઉત્સવ ચાલે છે. ગુજરાતની ગલીગલીમાં ગરબો હેલે ચડ્યો છે. (‘વાંચે ગુજરાત’ને બદલે ‘નાચે ગુજરાત’નો માહોલ પ્રવર્તે છે) હીરોહોન્ડા પર મોડી રાત સુધી યુવાની આંટાફેરા કરે છે. નવરાત્રી ‘ભવાની’નો ઓછો અને ‘યુવાની’નો ઉત્સવ વધારે બની ગયો છે. યુવાપેઢીએ નવરાત્રીની ધાર્મીકતાને મનોરંજક મોડ આપ્યો છે. અસલનો તાળી ગરબો ગયો અને ડીસ્કો આવ્યો ! પ્રેમી પંખીડાંઓ માટે તો નવરાત્રી એટલે પ્રેમની વસંત ઋતુ… ! મોટા શહેરોમાં મોડી રાત સુધી ‘માઈકો’ વાગતા રહે છે… અને ‘બાઈકો’ ઘુમતા રહે છે. બાઈકની પાછલી સીટ પર બાર વાગ્યે કો’કના ઘરની કુંવારી દીકરી બેઠી હોય ત્યારે કોઈને ખબર ન પડે તે રીતે પેલા ગરબાની કડી સાચું પડું પડું થઈ જાય છે. ‘માડી, દીકરી દીધી તેં ડાહી; પણ રાખજે લાજ તું મારી… દલડાના શા થાય ભરોસા ! એ કયાં જઈ નંદવાય માડી !’ ઉમ્મરલાયક દીકરીનાં માબાપની ચીન્તા જીભ કરતાં આખો દ્વારા વધુ વ્યક્ત થાય છે. ‘બેટા, રાત્રે બહુ મોડુ ના કરીશ. તારી સહેલીઓથી છુટી ના પડીશ. તું હવે મોટી થઈ છે. બધું મારે કહેવાનું ના હોય !’ અને બાકીની શીખામણ માના હોઠને પેલે પાર અટકી જાય. પ્રત્યેક નવરાત્રીમાં યુવાન દીકરીનાં માવતરનાં દીલમાં ઝીણા તાવ જેવી એક ચીન્તા રહે છે. તે ચીન્તાનો એક તરજુમો કંઈક આવો જ હોય– ‘દલડાના શા થાય ભરોસા ! એ કયાં જઈ નંદવાય માડી !’

અમારા બચુભાઈની દીકરીના દીલમાં પ્રેમનો અંકુર નવરાત્રીમાં જ ખીલેલો. બચુભાઈને એ ન ગમેલું. પણ દીકરીની જીદ આગળ એ લાચાર હતા. ત્યારથી એઓ માને છે કે દીકરી પર ભરોસો કરજો; પણ દીકરીની જુવાની પર નહીં ! ડૉકટરો તેમના અનુભવના આધારે કહે છે કે નવરાત્રી પછી અમારી પાસે અપરણીત છોકરીઓના ગર્ભપાતના કેસો વધુ આવે છે. સમાજને અંદેશો આવી ગયો છે કે યુવાન દીકરી ગરબા ગાવા જાય; પછી તે કયાં જાય તે કોણ જોવા જાય ? દીકરી ગરબાનો હૉલ છોડી હૉટલમાં જાય ત્યાંથી માબાપની કમબખ્તી શરુ થાય. છોકરા–છોકરીનું અજવાળામાં થયેલું ‘નયનમીલન’ અંધારામાં ‘દેહમીલન’ સુધી પહોંચી જાય છે, અને નવ રાતની મજા, નવ મહીનામાં ફેરવાઈ જાય છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરાઓને ખાસ કશું નુકસાન થતું નથી; પણ છોકરીના કપાળે એકવાર કલંકનું ટીકું લાગી ગયું, તો એ છુંદણું બનીને તેના જીવનમાં હમ્મેશને માટે કોતરાઈ જાય છે. જો કે સમાજની બધી જ દીકરીઓ ‘એવી’ હોતી નથી. હીરોહોન્ડાને બ્રેક હોય છે; તેનાથીય વધુ પાવરફુલ બ્રેક દીકરીના દીમાગમાં હોય છે. એવી દીકરીઓ સ્વહસ્તે પોતાની જાતને એક લક્ષ્મણરેખા દોરી આપે છે. (હીરોહોન્ડાની બ્રેક ફેઈલ થઈ શકે; પણ તેના દીલની બ્રેક ફેઈલ થતી નથી) દીકરીઓની સંયમની બ્રેકને કારણે જ માવતરો ઉજળે મોઢે જીવી શકે છે.

ઉત્સવોની વાત કરીએ. આપણે ત્યાં ઉત્સવોની સુરુચીપુર્ણ કે  શીસ્તબદ્ધ ઉજવણી થતી નથી તેથી સમાજને આનંદ ઓછો અને અશાંતી વધુ મળે છે. મોડી રાત સુધી માઈકનો ઘોંઘાટ  કાયમી બની ગયો છે. ઉત્સવો કયારે સફળ થાય ? જેમ ઉતરાણ માત્ર પતંગથી સફળ થતી નથી; પવન પણ હોવો જોઈએ, તેમ તહેવાર હોય કે વ્યવહાર; સાધનશુદ્ધી અને વીવેકબુદ્ધી વીના ઉત્સવો સફળ થતા નથી. પ્રત્યેક તહેવારને સ્થુળતા તરફથી ઉપયોગીતા તરફ મોડ આપવાનો સમય પાકી ગયો છે. એ પણ યાદ રાખવાનું છે કે આધી, વ્યાધી અને ઉપાધીના આ યુગમાં તહેવારો જીવનનો પ્રાણવાયુ છે. દીનપ્રતીદીન માનવજીવન સંઘર્ષમય બનતું જાય છે. ધ્યાનથી જોશો તો દરેકના ઉપલકીયા હાસ્યની પાછળ વીષાદ છુપાયેલો જોઈ શકાશે. સ્મીત પાછળ થીજી ગયેલાં આંસુ દેખાશે. રડતાં રડતાં જીવી જવાની કળા માણસે શીખી લીધી છે. બે આંસુ વચ્ચે એણે એક સ્મીત ગોઠવી દીધું છે. બે ડુંસકાં વચ્ચે એક હાસ્ય ગોઠવી દીધું છે. એ સ્મીત અને હાસ્ય એટલે તહેવારો અને ઉત્સવો…! તહેવારો એટલે જીવનપથ પર આવતાં ઘટાદાર વૃક્ષો… જેની શીતળ છાયામાં જીન્દગીની મુસાફરીમાં થાકેલો માણસ ઘડીક વીસામો લઈ શકે છે ખરો; પરન્તુ પ્રત્યેક તહેવારો સાથે તેનાં અનીષ્ટો ભળેલાં છે. તે દુષણો બહુધા માનવપ્રેરીત હોય છે. વીવેકબુદ્ધીની ચાળણીથી તેને ગાળીચાળીને શુદ્ધ કરીશું તો ઉત્સવોની પુરી મધુરતા માણી શકાશે.

ઉત્સવોનાં અનીષ્ટોની થોડી વાત કરીએ. પ્રત્યેક દીવાળી ટાણે ધડાકીયા ફટાકડાનો તીવ્ર વીસ્ફોટ અસહ્ય બની જાય છે. બાળકો (અને મોટેરાંઓ પણ) એનાથી દાઝી ગયાની દુર્ઘટના બને છે. અહીં વીવેકબુદ્ધી એમ કહે છે કે ઝેરને અમૃત બનાવીને પીઓ. અર્થાત્ આખેઆખી આતશબાજી નાબુદ કરવાને બદલે એવા વીસ્ફોટક ફટાકડાઓ દુર કરી તેને સ્થાને ફુલઝરી, હવાઈ જેવી નીર્દોષ આતશબાજી ઉપલબ્ધ હોવી જોઈએ. લોકો સલામતપણે દીવાળી ઉજવે એમાં સરકારને પણ વાંધો ન હોય શકે. જો એમ થઈ શકે તો દીવાળીના સપરમા દીવસે દાઝી જવાની કોઈ દુર્ઘટના ના બને. હોળી આગનો  અને ધુળેટી રંગનો તહેવાર છે. આમ તો એ નીર્દોષ દેખાય છે; પરન્તુ હીસાબ ગણો તો સમજાશે કે સમગ્ર ગુજરાતમાં ટનબંધી લાકડું જલાવી દેવામાં આવે છે તેનું પર્યાવરણીય નુકસાન નાનુંસુનું નથી. ધુળેટી નીર્દોષ રંગોથી રમાય ત્યાં સુધી ક્ષમ્ય; પરન્તુ તેમાં કાદવ–કીચડ કે ઓઈલ પેઈન્ટસ્ (અથવા શરીરને નુકસાન કરે એવાં કેમીકલ્સ) ઈરાદાપુર્વક વાપરવામાં આવે છે તેવું ન થવું જોઈએ. વળી તહેવારના ઓઠા હેઠળ ક્યારેક અસામાજીક તત્ત્વો છેડતી કે મશ્કરીનો ચાળો પણ કરી લેતા હોય છે. આ બધાં દુષણો, તહેવારોને ‘અપડેટ’ કરવાની સામાજીક જરુરીયાતને સુચવે છે.

ઉત્તમ તો એ જ કે પ્રત્યેક કોમ અને ધર્મના લોકોએ, તહેવારોના રીતીરીવાજો કે નીતીનીયમોમાં કલ્યાણકારી સુધારાઓ કરવા જોઈએ. અસલના તાળી ગરબાને આપણે ડીસ્કોમાં તબદીલ કરી શકતા હોઈએ, તો આજના પ્રત્યેક તહેવારોમાં કોઈને કોઈ માનવ–ઉપયોગી વાત કેમ ન ઉમેરી દેવી જોઈએ ? ધનતેરસને દીવસે ધનની અને વાક્–બારસને દીવસે વાણીની સાચી ઉપયોગીતા અંગે વીદ્વાનોનાં પ્રવચનો દ્વારા સમજીએ, એ પણ એક કલ્યાણકારી ફેરફાર જ ગણાય. રક્ષાબન્ધનને દીને ભાઈ અને બહેન બન્ને સાથે રક્તદાન કરે તો એથી રુડું બીજું શું ? નાગપંચમીના દીને ચક્ષુદાન અને દીવાસાના દીને વસ્ત્રદાન કે વીદ્યાદાન કરવાની રસમ ચાલુ થવી જોઈએ. દીવાળીના દીને દેહદાન અને નુતનવર્ષના દીને અન્નદાન જેવા રીવાજો ઘડી કાઢવાનો સમય પાકી ગયો છે.

સંક્ષેપમાં તાત્પર્ય એટલું જ કે તમામ ઉત્સવો, રીવાજો કે તહેવારો માણસને સુખશાન્તી અને આનન્દ આપે એવા બની રહેવા જોઈએ. ગૃહીણીઓ ઘઉંમાંથી કાંકરા વીણીને ફેંકી દે છે તેમ, પ્રત્યેક ધર્મ અને કોમના ઉત્સવોમાં પ્રવેશી ગયેલાં દુષણો કે અબૌદ્ધીક આચરણો પર પ્રતીબન્ધ મુકી, તેના સ્વરુપને માનવતાભર્યો મોડ અપાવો જોઈએ.

ધુપછાંવ

સમાજમાં નેવું ટકાથીય અધીક સંખ્યામાં શ્રદ્ધાળુઓ વસે છે. તેમને નવરાત્રીમાં થતો ઘોંઘાટ અને ગીરદી પણ પવીત્ર લાગે છે. કેમ કે તે માતાને નામે થાય છે. ધાર્મીક સ્થળોની ગન્દકી પણ ગમી જાય છે. કેમ કે ત્યાં ભગવાન વસેલો છે. નાસ્તીક ઈમાનદાર હોય તોય નથી ખપતો; પરન્તુ ભગવાં વસ્ત્રોમાં છુપાયેલો ઠગ ગમી જાય છે. કેમ કે તેના મુખમાંથી ભગવાનનું નામ નીકળે છે. માત્ર ગુજરાતમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ ગણેશોત્સવ વેળા કરોડો રુપીયાની વીજચોરી કરીને રોશની કરવામાં આવે છે. કોઈ પગલાં લેવાતાં નથી કારણ કે વીજ–અધીકારીઓ પણ માને છે કે ભગવાનના કામમાં વપરાતી વીજળી ચોરી નહીં; ‘અર્ધ્ય’ ગણાય. પાપ નહીં; પુણ્ય ગણાય. આપણા તહેવારોની સાથે વાણી, વ્યવહાર અને વર્તનને પણ ‘અપડેટ’ કરવાની જરુર છે.

-દીનેશ પાંચાલ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

Monday, September 9, 2013

મારો ધર્મ કયો કહેવાય…?-દીનેશ પાંચાલ

ડૉ. ડેવિડ ફૉલી હીન્દુસ્તાનના ઈતીહાસના અભ્યાસુ–નીષ્ણાત છે. તેમણે કહ્યું છે- ‘અમેરીકા અને જાપાન એટલા માટે સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના કોઈ વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સંપત્ત્તી છે. પણ એ દેશો ગરીબ રહ્યાં; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ  ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મપરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સમ્બન્ધે  એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1998માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતનો ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કૉર્ટે બેવફા જાહેર કરીને તેને દેહાંતદંડની સજા ફરમાવી ! (આજ પર્યંત લીના જૉયે જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે.)’


મને કદી સમજાયું નથી ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ ? માણસે કષ્ટ સહન કરવા કે દુ:ખી થવા ધર્મ પાળવો જોઈએ એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે ? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે. અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. તરસ લાગે તો કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.


ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીત્રે કહ્યું- ‘હું કયો ધર્મ પાળું છું તેની મને ખબર નથી. હું મંદીર, મસ્જીદ કે ગીરજાઘરમાં જતો નથી. ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉ છું; કોઈનું લોહી પીતો નથી. મંદીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મંદીરમાં ગવાતાં ભજનોમાં બેસવા કરતાં સાહીત્ય ગોષ્ઠીમાં બેસવાનું મને ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડાં માબાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મંદીરીયુ છે. તેમાં કયા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું.’ (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં ‘પગલાં’ ન પડે તેનું ધ્યાન રાખું છું) એથી અમારી વચ્ચે ઝઘડા થતા નથી. એને કંટોલાંનું શાક બહુ ભાવે છે. મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ ભાવે  છે. તેને ભાવતું નથી. હું કદી તેને આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતા છે. પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે; છતાં થોડીક સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં પણ અનુકુલન વધુ જરુરી છે !


‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી, મંદીર વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ નથી કરતા. રોજ ગીતાના અધ્યાયોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો નથી વાંચતા. રામાયણ ભક્તીભાવે વાંચે છે; પણ રોજ દશ કલાક ધંધામાં પાપનાં પારાયણમાં બેસી લુંટાલુંટ ચલાવે છે. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોંકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાય જાય એવું હું માનતો નથી. મંદીરને બદલે લાયબ્રેરી જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરીત્ર વાંચુ છું. આજ પર્યન્ત ઘરમાં એક પણ વાર કથાકીર્તન, ભજન, યજ્ઞો કે પુજાપાઠ… કશું જ કરાવ્યું નથી. પણ મરણ બાદ દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાની ખાસ ટેવ છે. સાધુ, સંતો કે બાબા-ગુરુઓનાં ચરણોમાં પડતો નથી; પણ મોટા કવી, લેખકો, સાહીત્યકારો કે ચીન્તકો જોડે મૈત્રી કેળવી છે. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગવૉક) કરું છું. કુંભમેળામાં કદી ગયો નથી અને જવાની ઈચ્છા પણ નથી. પણ વીજ્ઞાનમેળો કે પુસ્તક્મેળો એક પણ છોડતો નથી. ગંગાનાં ગંદાં પાણીમાં નહાવાને બદલે બાથરુમમાં સ્વચ્છ પાણીના શાવર વડે સ્નાન કરવાની વાતને હું વધુ પવીત્ર ગણું છું.  આવું બધું કરનારાઓનો ઘર્મ કયો કહેવાય તેની મને ખબર નથી. પણ હજી સુધી એક પણ વાર એવો વીચાર આવ્યો નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મંદીરમાં નથી જતો, દાન નથી કરતો, તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે કે કહેવાતો મોક્ષ ન મળશે તો મારું શું થશે..!’


મીત્રની આ લાંબી વાતમાં એક વાત મને ખાસ ગમી. મને એ મારા જ જીવનની વાત લાગી. હું લખતાં લખતાં બેધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તરત શબ્દો સંભળાય- ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં !’ જોવા જઈએ તો આ ‘પગલાં’  શબ્દમાં સઘળા ધર્મો અને ગીતા-ઉપનીષદનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની રહીએ તે જરુરી છે. દુનીયાના સઘળા મનુષ્યો સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે, પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખે તો સઘળાં ધર્મપુસ્તકો અપ્રસ્તુત બની જાય. રાવણ બનવાથી બચી જાઓ તો રામાયણ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન, શકુની કે ધૃતરાષ્ટ્ર બની રહો, પછી રોજ મહાભારત વાંચો તોય શો ફાયદો ? યાદ રહે, તમને તમારા જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલાં સત્યો ગીતા–કુરાનનું જ ફળકથન ન હોય છે. શ્રી શાયર દેવદાસ અમીરે કહ્યું છે- ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પાઠ તો એ છે જે જમાનો શીખવે છે !’


પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. એ આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ શું નુકસાન છે ? તરસની જેમ દુ:ખ  સર્વવ્યાપી  સ્થીતી છે. આપણે મંદીર ન બંધાવી શકીએ પણ મંદીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તો ઘણું. રોડ અકસ્માતમાં માણસો ઘવાયા હોય ત્યારે આજ પર્યન્ત એક પણ વાર (રીપીટ એક પણ વાર…) એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનારા માણસોએ તેમને  એમ પુછ્યું હોય કે- ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ… ?’ હીન્દુ મુસ્લીમ યુવક યુવતીની આંખ મળી જાય અને બન્નેનાં હૈયામાં ઉર્મીના અવર્ણનીય હીલ્લોળ જાગે  છે એને હીન્દુ પ્રેમ અને મુસ્લીમ પ્રેમમાં વહેંચી શકાશે ખરો ? યાદ રાખજો, સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર   પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે. સૌનાં આંસુ સરખાં છે. સૌનાં આનંદ સરખા છે. સૌની દેહરચના કે જન્મ અને મૃત્યુ સરખાં છે. ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હીન્દુ રંગમાં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત-જાત અને ધર્મ-કોમની મૅનમેઈડ દીવાલ શા માટે હોવી જોઈએ ?


દરેક માણસને પોતાનો (ગેટ–પાસ જેવો) ધર્મ હોય છે. આખી જીન્દગી એ માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે. પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્ત્તા નથી. મંદીર બહાર બુટ ઉતારી દેવા પડે તે રીતે, ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો કાઢી નાખવો પડે છે. મૃત્યુ આગળ હીન્દુ, મુસ્લીમ કે ધર્મ કોમના ભેદ ભુંસાઈ જાય છે. આટલું સમજાઈ ગયા પછી સમજાશે કે વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.


ધુપછાંવ

રોજ અલ્લાહ કો યાદ કર….. પર કીસીકો બરબાદ ના કર
તેરી કબર ભી તૈયાર હૈ ઈસ બાત કો નજરઅંદાઝ ના કર
-દીનેશ પાંચાલ

Wednesday, September 4, 2013

ઉત્સવોની ઉજવણી – પ્રજાની પજવણી-દીનેશ પાંચાલ

ચોમાસાનો ભવ્ય આકાશી શૉ પુર્ણતાને આરે છે. જળ એ જીવન છે એવું પ્રથમ વાર ક્યારે સાંભળેલું તે યાદ નથી; પણ પુર વેળા જળને મૃત્યુનો પર્યાય બની જતાં જોયું છે. જળ વીના ધરતી ધાન પકવતી નથી અને ધાન વીના ભુખનું કોઈ સમાધાન નથી. ભુખ એવી સ્થીતી છે જ્યાં સીંહ અને શીયાળ સરખા લાચાર બની રહે છે. વીચારકો કહે છે ભુખ્યાનો ભગવાન રોટલી હોય છે. ભુખ માણસનો સૌથી જુનો પરાજય છે. યાદ રાખી લેવા જેવી બાબત એ છે કે ભગવાનને એવા નૈવેદ્ય મંજુર નથી હોતાં, જે ગરીબોની ભુખ ઠેલીને તેના મોં સુધી પહોંચ્યાં હોય.
આ દેશમાં શ્રદ્ધાની આડમાં અનેક અનીષ્ટો નભી જાય છે. ધર્મના નામે અધર્મ જાહેર માર્ગો પર રાસડા લે છે. દેશના રાજકારણીઓને હું નસીબદાર ગણું છું. અહીંના લોકોનું સ્થાયી વલણ છે –  ‘મારે કેટલા ટકા ?’ એવી પ્રજાકીય ની:સ્પૃહતાને કારણે નેતાઓ માટે અહીં અભ્યારણ્ય રચાયું છે. લોકો ધરમ–કરમ, ટીલાં–ટપકાં ને ટીવી–સીરીયલોમાંથી ઉંચા આવતા નથી, તેથી નેતાઓનાં નગ્ન–નર્તન બેરોટકટોક ચાલુ રહ્યાં છે. (‘પાર્લામેન્ટ નગ્ન–નર્તકોની ડાન્સક્લબ છે’ – એવું બકુલ ત્રીપાઠી કહેતા.)
પ્રત્યેક ગણેશોત્સવવેળા અમારા બચુભાઈ બળાપો કાઢે છે, ‘આપણા ધાર્મીક ઉત્સવો આટલા તણાવયુક્ત શા માટે હોય છે ? શ્રી પાંડુરંગજી પ્રેરીત સ્વાધ્યાય પ્રવૃત્તીમાં લાખો માણસો ભેગા થાય છે, ત્યારે અનુયાયીઓ એવું સ્વયંશીસ્ત પાળે છે કે પોલીસની જરુર નથી પડતી. આપણું એક પણ ગણેશવીસર્જન પોલીસના પહેરા વીના પાર પડે છે ખરું ? ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગવી જોઈએ, પોલીસની સાયરન નહીં. વીસર્જનના દીને તો સવારથી જ શહેરમાં એક અદૃશ્ય આતંક છવાયેલો રહે છે. એ દીવસે મને સવારથી જ રાજેશ રેડ્ડીની પંક્તીનું સ્મરણ થવા માંડે છે : ‘સારે શહર મેં દહેશત સી ક્યું હૈ… યકીનન આજ કોઈ ત્યૌહાર હોગા!’
દુર્ભાગ્ય એ છે કે અહીં શ્રદ્ધાળુઓ કરતાં અન્ધશ્રદ્ધાળુઓ બહુમતીમાં છે. તેઓ ભગવાનને સુખ દેનારી જડીબુટ્ટી સમજે છે. ધર્મગુરુઓને પાપમાંથી ઉગારી લેતા વકીલો સમજે છે અને મન્દીરોને ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્ટર સમજે છે. તેઓ જ્યાંથી જેવા મળે તેવા ભગવાન હોલસેલના ભાવમાં ખરીદે છે. ચમત્કારનું તેમને ભારે આકર્ષણ. કોઈ મોટો ચમત્કાર કરી બતાવે તો તેઓ સત્યશોધક સભાના સભ્યોને પણ ભગવાન માની લેતાં અચકાય નહીં. તેમની શ્રદ્ધાના શૅરમાર્કેટમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી.
એક પરીચીત વ્યક્તી એના પીતાની જરાય કાળજી લેતી ન હતી. પીતા બીમાર પડ્યા ત્યારે તેમને હૉસ્પીટલમાં દાખલ કરવામાં તેમણે જીવલેણ વીલમ્બ કરેલો. પછી પીતાના મર્યા બાદ કાશી, મથુરા, દ્વારકા, હરીદ્વાર વગેરે સ્થળોએ સહકુટુમ્બ જઈને પીતાનું શ્રાદ્ધ કરાવ્યું. પાંત્રીસ હજારથીય વધુ ખર્ચો થયો.  જોયું ? પ્રેમની પડતર કીમત પાવલી… અને અન્ધશ્રદ્ધાની કોસ્ટ ઓફ પ્રોડક્શન પુરા પાંત્રીસ હજાર !’ (એક કથાકારે કહ્યું છે : ‘બીમાર બાપનો હાથ પકડી સંડાસ સુધી લઈ જાઓ તો શ્રીનાથજી સુધી જવાની જરુર રહેતી નથી.’)
મુળ વાત પર આવીએ. દેશનો પ્રત્યેક બૌદ્ધીક એવું અનુભવે છે કે આપણા ઉત્સવો એટલે બીજું કાંઈ નહીં : ‘મુઠી આનન્દ; પણ મણ બગાડ અને ક્વીન્ટલ મોકાણ…!’ આપણે બહુ ભુંડી રીતે તહેવારો ઉજવીએ છીએ. લોકો દીવાળીમાં ફટાકડાથી દાઝે, ઉત્તરાણમાં ધાબા પરથી લપસે, હોળીમાં એક આખેઆખા જંગલ જેટલાં લાકડાં ફુંકી મારે, ધુળેટીમાં રંગ ભેગી લોહીની ધાર ઉડે અને નવરાત્રીમાં તો માતાને નામે મધરાત સુધી માઈકનો માતમ વેઠવો પડે. પોલીસને કોઈ ગાંઠે નહીં. લોકો હજયાત્રામાં મરે અને અમરનાથયાત્રામાં પણ મરે. કુમ્ભમેળામાં મરે અને રથયાત્રામાં કચડાઈ મરે… ! અજ્ઞાનનો અતીરેક તો ત્યારે થાય જ્યારે એ રીતે મરેલાને વળી લોકો એમ કહીને બીરદાવે – ‘કેટલો ભાગ્યશાળી… ! ભગવાનના દરબારમાં મર્યો એટલે સીધો સ્વર્ગમાં જશે… !’ શ્રદ્ધાળુઓને કોણ સમજાવે કે સ્વર્ગની વાત તો દુર રહી; એવી ઘાતકી રીતે ધર્મ પાળવો એ સ્વયં એક નર્ક બની જાય છે. એવી ભક્તીથી દુનીયાનો કોઈ ભગવાન રાજી થતો નથી… !
આપણા લગભગ પ્રત્યેક ઉત્સવમાં ગાંડપણ પ્રવેશ્યું છે. દીવાળીમાં કે લગ્નમાં જ નહીં; હવે તો તહેવારોમાં પણ બેફામ ફટાકડા ફોડવામાં આવે છે. પોથીયાત્રા નીકળે એમાંય ફટાકડા. ચુંટણીમાં જીત થાય કે ક્રીકેટમાં જીત્યા તો કહે ફોડો ફટાકડા… ! એવું લાગે છે જાણે પ્રજા જાહેરમાર્ગો પર ફટાકડા ફોડી પોતાના ‘વીસ્ફોટ સ્વાતંત્ર્ય’ની ઉજવણી કરે છે.  ત્રણેક વર્ષ પર દીવાળી ટાણે એક સજ્જને રસ્તા પર સળગાવેલા એટમબૉમ્બને કારણે મારી પત્નીના પગની એક આંગળી ફાટી ગઈ હતી. ફટાકડાથી આનન્દ મળે તેની ના નહીં; પણ જીવનના કોઈ પણ આનન્દનું મુલ્ય જીવનથી અધીક ના હોય શકે એ વાત ભુલવી ના જોઈએ. સત્ય એ છે કે જેઓ ઝવેરી નથી હોતા એમને હીરાનું નકલીપણું ખટકતું નથી અને જેમની ખોપરીમાં સમજદારીનો શુન્યાવકાશ હોય છે તેમને તહેવારોમાં થતી સામાજીક પજવણીનો ખ્યાલ આવતો નથી. સુરતમાં ગણેશોત્સવ ટાણે ચારે કોર બેફામ નગારાં વગાડવામાં આવે છે. તેને એક પણ એંગલથી વાજબી ગણાવી ન શકાય.
નવસારીમાં નગારાં નહીં ને માઈકનો માથાભારે ત્રાસ છે. છતાં નવસારી પ્રત્યે મને માન છે. ‘નાગાની વસતીમાં લંગોટીવાળો ઈજ્જતદાર’ ગણાય તે રીતે હું નવસારીને સુરત કરતાં કંઈક અંશે ઈજજતદાર ગણું છું. સુરત એટલે સમસ્યાઓથી છલકાતું શહેર… ! ને વસતીવીસ્ફોટથી બન્યું એ અળસીયામાંથી અજગર… !
સમાજમાં ચારે કોર ધર્મના નામે અધર્મનાં નગારાં વાગતાં હોય ત્યાં બે–પાંચ બૌદ્ધીકોની બાંગ કોણ સાંભળે? ચોમેર અજ્ઞાનનો ઘોર અન્ધકાર પ્રવર્તે છે. બુદ્ધીનાં તો અહીં થોડાંક જ ટમટમીયાં જલે છે. એમ કહો કે અન્ધકારનું ક્ષેત્રફળ આકાશ જેવડું વીશાળ છે અને દીવડાનું કદ મુઠી જેવડું ! દેશમાં માત્ર એક સમસ્યા નથી; સમસ્યાનો આખો મધપુડો છે. એમાં લોકો પાછા કોમવાદ, ધર્મવાદ, પ્રાન્તવાદ કે ભાષાવાદનો કાંકરીચાળો કરે છે. જાહેર શાન્તી છીન્નભીન્ન થઈ જાય છે. સવારે અખબાર પર નજર ફેરવી લીધા પછી એક નીસાસા સહીત મુખમાંથી શબ્દો સરી પડે છે : ‘સહસ્ર સમસ્યાઓની બાણશૈયા પર લોહીલુહાણ મારો દેશ !’ રાજકારણીઓ અને દેશવાસીઓ ભેગા મળી આ દેશની હજીય ન જાણે કેવી વલે કરશે…!
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Wednesday, June 26, 2013

ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી ! -દીનેશ પાંચાલ

એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.

ધાર્મીક સ્થળોની  આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.

મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી  પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)

આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


Sunday, June 2, 2013

તમે આસ્તીક કે નાસ્તીક ?-દીનેશ પાંચાલ


એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારનાં બધાં જ માટલાં ભાંગી ગયાં હતાં. નુકસાન જોઈ કુંભારની આંખમાં આસું આવી ગયાં. આસ્તીકો અને નાસ્તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી નુકસાન ભરપાઈ કરી આપ્યું.
કુંભારે સૌનો આભાર માની જીજ્ઞાસાવશ પુછ્યું, ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્યો, ‘અમે ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા અહીં ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું, ‘પછી શું થયું ? કોઈ નીવેડો આવ્યો ?’ જવાબ મળ્યો, ‘ના…ચર્ચા હજી ચાલુ છે.’  કુંભારે જરા સંકોચ સાથે કહ્યું, ‘તમે બધા વીદ્વાનો છો. હું તો બહુ નાનો માણસ છું. મને એક પ્રશ્નનો જવાબ આપો,’ કહી કુંભારે આસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે મારી મદદે આવ્યા, તે શું વીચારીને આવ્યા ?’ આસ્તીકોએ કહ્યું, ‘અમે એવો વીચાર ર્ક્યો કે મુશ્કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્યાં શો જવાબ દઈશું ?’
કુંભારે નાસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે તો ભગવાનમાં નથી માનતા ! તમે કેમ મારી મદદે આવ્યા ?’ નાસ્તીકોએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે આકાશમાંથી કોઈ ભગવાન તો મદદ કરવા આવવાનો નથી ! માનવતાને નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ !’ કુંભારે આગળ કહ્યું, ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્યા, મને આર્થીક મદદ પણ કરી, હું માનું છું કે મારે માટે તો તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા પછી તમે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારો કે નકારો, કોઈ જ ફરક પડતો નથી. ભાઈઓ, આસ્તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાનાં કામો કરવાં અને નાસ્તીક છે તેમણે ભગવાન નથી, તેથી આ તો આપણી જ ફરજ છે એમ સમજી માનવતાનાં કામો કરવાં જોઈએ !’ કહી કુંભાર તો રસ્તે પડ્યો..
કુંભારની વાત પેલા આસ્તીકો અને નાસ્તીકો સમજ્યા કે નહીં તેની જાણ નથી; પણ આપણને એક વાત સમજાય છે. ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈનાં કામો કરતા રહેવું જોઈએ. ભગવાન હશે તોય તેમને એવા જ આસ્તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાલ્લાને ધક્કો મારી બહાર કાઢી આપે અને નાસ્તીકો માટે તો તેને કોઈ ફરીયાદ જ ન રહે જો તેઓ લોકોનાં ડુબતાં વહાણ તારશે, દુખીઓનાં આંસુ લુછશે. આસ્તીકતા કે નાસ્તીકતા કરતાં માનવતા મહાન છે. માનવતા જ સાચી પ્રભુતા છે. દરેક માનવીને પેલા કુંભાર જેટલી સમજ મળી જાય તો..!
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર