Showing posts with label ભૂપત વડોદરિયા. Show all posts
Showing posts with label ભૂપત વડોદરિયા. Show all posts

Thursday, September 26, 2013

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! – ભૂપત વડોદરિયા


[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]
એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવાનો મારો સ્વભાવ બદલી નાખીશ ! આવો નિર્ણય તો કરી નાખું છું પણ જેવું કંઈક નાનકડું કારણ મળે કે તરત હું ચિઢાઈ જાઉં છું. પત્નીએ સવારે આપેલાં કપડાંમાં ખમીસનું એકાદ બટન તૂટેલું હોય કે ચાના કપમાં કંઈક સહેજ તરી રહેલું લાગે તો તરત મિજાજનો પ્યાલો ફાટે ! હું જાણું છું બટન તૂટી ગયું તેમાં પત્નીનો કોઈ દોષ નથી. બટન તૂટેલું હોય તો તે ખમીસ પાછું મૂકી દઈને બીજું ખમીસ લઈ શકાય છે. ચાના કપમાં જે તરે છે તે ચાની પત્તી સિવાય કંઈ નથી તે પણ હું જાણું છું, છતાં નાની નાની બાબતમાં મારો મિજાજ કેમ છટકી જતો હશે ?
એક માણસ આવો પ્રશ્ન કરે – ઘણાબધા માણસો તો આવા કોઈ પ્રશ્નો કરે – બીજાને કે ખુદ પોતાને પણ પૂછતા નથી. આ જ મારો મિજાજ છે અને આ જ મારો રુઆબ છે. તેને બદલી શકાય નહીં અને તેને બદલવાની જરૂર જ શું ? વાતવાતમાં આ રીતે પોતાનો મિજાજ ગુમાવનારા આ બાબતને ખાસ ગંભીર ગણતા નથી. કોઈ તેમને તેમના આવા તડતડિયા સ્વભાવ વિષે ટકોર કરે તો તેઓ કહેશે કે શું કરીએ ! આ તો સ્વભાવ છે. સ્વભાવમાં થોડીક ‘ગરમી’ ના રાખીએ તો કોઈ દાદ જ ના દે. પત્ની પણ દાદ ના આપે અને સંતાન પણ બિલકુલ ગાંઠે જ નહીં. બીજા લોકો પણ આપણી સાથેના વહેવારમાં આપણને લલ્લુભાઈ ગણી કાઢે !
માણસ આ રીતે પોતાના સ્વભાવના આ વારંવારના નાના ભડકાને સમજાવવાની કે ગેરવાજબી ગણાવવાની કોશિશ કરે છે, પણ આવો માણસ ક્યારેય શાંતિથી વિચારે તો તેને કેટલીક વાર એક આંચકા સાથે એવું ભાન થાય છે કે આ બધી નાની બાબત પાછળ કોઈ કોઈવાર મોટી ગરબડ છુપાઈ હોય છે. કોઈક મોટા રોગના એક નાનકડા પ્રગટ લક્ષણ જેવું જ આ પણ એક લક્ષણ હોઈ શકે છે. શરીરના જે ભાગમાં લોહી પહોંચતું ના હોય ત્યાં ખાલી ચઢી જાય છે કે ઝણઝણાટી થાય છે એવું જ કાંઈક આમાં પણ હોય છે. આપણા સ્વજનો અને પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓ, પરિચિતો અને અપરિચિતો સાથેના આપણા વહેવારમાં જ્યાં જ્યાં આપણા સ્વભાવના આ કાંટા એકદમ બહાર આવી જાય છે ત્યાં ત્યાં આપણી અંદર વહી રહેલા જીવનરસના અને લાગણીના નીરોગી પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ પડેલો હોય છે, કંઈક ગરબડ હોય છે.
 આપણે આંખ પર પાણી છાંટીએ છીએ, કાનમાં મેલ ના હોય તેની કાળજી રાખીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, મોંને સુવાસિત રાખવાની દરકાર કરીએ છીએ, પણ મનમાં જમા થયા કરતા ક્ષારો દૂર કરવાનું ખાસ વિચારતા નથી, પાણીની જેમ જ જ્યાં લાગણી છે ત્યાં ક્ષાર જમા થઈ જાય છે. તેને દૂર કરવો પડે છે, આની સાફસૂફી થતી જ રહે તેવાં દ્રાવણો આપણી અંદર જ છે, પણ તેને આપણે કાં તો સૂકવી નાખીએ છીએ કે પછી દૂષિત કરી દઈએ છીએ.
એક માણસ બીજા માણસ સાથે સ્નેહ અને સદભાવથી વર્તે, તેની સાથે ઉદારતા અને ક્ષમાવૃત્તિથી વર્તે તો સામી વ્યક્તિને જ તેનો લાભ મળે છે એવું નથી. સ્નેહ અને સદભાવથી વર્તતી વ્યક્તિને પોતાને જ તેનાથી સૌથી મોટો લાભ થાય છે. માણસની પોતાની જ માનસિક તંદુરસ્તી માટે આ આવશ્યક બની રહે છે. માણસ પોતાના જ સાચા હિતનો વિચાર કરતો નથી અને પોતાના માની લીધેલા હિતનો ખ્યાલ કરીને બધાની સામે બદલાના હિસાબે વહેવાર કરે છે. આ માણસ આપણી સાથે સારું રાખે છે, તેની સાથે સારો વહેવાર કરો. આ માણસ આપણી સાથે બરાબર વર્તન કરતો નથી – આપણા માની લીધેલા સ્વાર્થને ધક્કો પહોંચે તે રીતે વર્તે છે, માટે તેની સાથે સારી રીતે વર્તાય જ નહીં. તેની પ્રત્યે કોઈ સદભાવ સંભવી શકે નહીં. લાગ મળે ત્યારે તેને ખબર પાડી જ દેવી જોઈએ. હવે આ ખબર પાડવાની વાત એવી છે કે માણસને બીજા પ્રતિકૂળ લાગતા માણસો પર રીતસર હુમલા કરવાની ઝાઝી ફુરસદ કે લાંબી ત્રેવડ હોતી નથી. એટલે એ પોતાની જીભ ચાબુકની જેમ ચલાવે છે. માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે. કોઈકનો કઠોર શબ્દ સાંભળીને તે માણસ પોતે છંછેડાઈ જાય છે, પણ પ્રસંગ આવ્યે તે પોતે બીજાને કઠોર શબ્દો કહેતી વખતે જરાય ખચકાતો નથી. આવો વિચાર કરતો નથી કે બીજાના કઠોર શબ્દોથી મને પીડા થયા વગર નહીં જ રહે.
એક તૂટેલા બટન માટે પત્નીની ઉપર રોષ કરનાર કે તેનું અપમાન કરનારને ખ્યાલ નથી રહેતો કે તે જે વહેવાર કરી રહ્યો છે તે સારા પતિને છાજે તેવો નથી. એક સારો શેઠ તેના નોકર સાથે પણ એવો વહેવાર ન કરે. વાણીની શુદ્ધિ ઉપર દરેક કાર્યમાં કેટકેટલું કહેવામાં આવ્યું છે ! આ બાબતને આટલું બધું મહત્વ આપનારા પ્રાચીનો જાણતા હતા કે આ વસ્તુ માણસની એકંદર સ્વસ્થતા અને સુખાકારી માટે કેટલી મહત્વની છે. માણસ તો આખરે માણસ છે. તે કાંઈ ચાવી દીધેલું પૂતળું નથી કે રેકર્ડ કરેલી કેસેટ નથી. તે સાચી વાત છે કે તેને ક્યારેક ગુસ્સો ચઢે, ચીડ ચઢે, અણગમો પેદા થાય, પણ આવું બને ત્યારે તેણે તરત સમતુલા પ્રાપ્ત કરવાની ત્રેવડ કેળવવી જોઈએ. પોતાનો સ્વભાવ આ રીતે વારંવાર લથડિયાં ના ખાય તેટલી ‘સ્થિરતા’ સંપન્ન કરવી જોઈએ. સ્વભાવના આ નાના વિસ્ફોટની પાછળ ખરેખર કોઈ પ્રાણઘાતક દારૂગોળો છુપાયેલો પડ્યો તો નથી ને ? – તેની તપાસ કરવી જોઈએ. આ વિસ્ફોટની પાછળ પડેલાં – દટાયેલાં કોઈ કારણોની જાંચ-તપાસ કરવી જોઈએ અને તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી તુરત હાથ ધરવી જોઈએ.
આજે આપણે જોઈએ છીએ કે માણસ બીજા કોઈનો મિત્ર તો બને કે ના બને પણ પોતે પોતાનો મિત્ર પણ બનતો નથી. પોતાની જાતને પોતાનો પરમ હિતેચ્છુ ગણે છે પણ કામ કરે છે પોતાના કટ્ટર હિતશત્રુનું ! તે પહેલાં ઊંઘની ટીકડીઓ લે છે, દરેક માણસ ખાસ કોઈ કારણો વગર, કોઈને પૂછ્યા કર્યા વગર, જાત જાતની દવાઓનું સેવન કર્યા જ કરે છે. એ દવાઓથી થતા લાભ કે ગેરલાભની વાત બાજુએ રાખીએ, તેને એટલું સમજાતું નથી કે કુદરતે મનુષ્યના શરીરને, મનને નાના-મોટા આંચકા ખમી ખાવાની એક ત્રેવડ આપેલી જ છે. કોઈ વજૂદવાળા કારણ વગર દરેક ‘ફરિયાદ’નો ઈલાજ દવા નથી. પોતાના શરીરને અને મનને પોતાની પીઠ પરનો બોજો ગણવાની જરૂર નથી. શરીરને આરામ અને મનને શાંતિ આપવાની જ્યાં જરૂર હોય ત્યાં ઉધામા અને અશાંતિ ચાલુ રાખીને દવાઓ લેવાનો અર્થ શું ? માણસોને આજે આપણે ‘સક્રિયતા’ ને નામે ‘કર્માંધ’ અને ‘કામકાજના વ્યસની’ બની જતાં જોઈએ છીએ. માણસને કામ તો કરવું જ પડે, ઉદ્યમ કરવો પડે, પણ આમાં પણ બિનજરૂરી શ્રમ અને કર્મનો અતિરેક તેના પોતાના શરીર અને મનની સ્વસ્થતાને નુકશાન જ પહોંચાડે છે. ચોક્ક્સ લક્ષ્ય નક્કી કરીને માણસ ગમે તેટલું કરે, ગમે તેટલા શારીરિક-માનસિક શ્રમ કરે તેને વાંધો આવતો નથી, પણ અત્યારે આપણે કામના નામે જે ઉધામા હાથ ધરીએ છીએ તેમાં તો કશું ચોક્કસ લક્ષ્ય હોતું નથી. કોઈ ધ્યેય કે હેતુ વગર માત્ર સક્રિયતાનું સેવન માત્ર એક વ્યસનની જેમ કરવામાં આવે છે. ધર્મના નામે ‘ધર્માંધતા’ ફાલીફૂલી રહી છે, તેમ ‘કર્મ’ને નામે ‘કર્માંધતા’ ફાલીફૂલી છે. તેમાંથી કશું જ પ્રાપ્ત કરવા જેવું પ્રાપ્ત થતું નથી.
આપણું બધું જ ધ્યાન બહારની સગવડો ઊભી કરવામાં, બહારનાં સુખ-સાહ્યબીની પ્રાપ્તિ કરવામાં કેન્દ્રિત થયેલું છે, પણ સાચી હકીકત એ છે કે આપણી અંદર જ્યાં સુધી ‘સગવડ’ અને ‘સુખ’ ઊભાં નહીં કરીએ ત્યાં સુધી બહારની ચીજો આપણને કશું આપી નહીં શકે.  કંઈ ને કંઈ આપત્તિ આપણી ઉપર તૂટી પડવાનો ભય આપણા શંકાગ્રસ્ત મનમાં અડાબીડ ઊગી નીકળ્યો છે અને એ ભયથી વિહવળ બનીને આપણે ગમે તે આપત્તિની સામે દોડીને તેને ભેટી પડવા માટે આંધળી દોટ મૂકીએ છીએ. ખરેખર કોઈ આપત્તિ તો હજુ આવી જ નથી. તે આવશે એવી શંકાથી, એવા ભયથી આપણે આપત્તિને સામે પગલે મળવા ઊપડી જઈએ છીએ. ધરતીકંપનો ભય છે, પણ ખરેખર ધરતીકંપ થાય તે પહેલાં ડરથી બહાર દોડી જઈએ છીએ અને ક્યારેક તો મોતને ઘરની બહાર જ ભેટી પડીએ છીએ.
દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે. વિજ્ઞાન ખૂબ જ આગળ નીકળી ગયું છે. માહિતીના ઢગલેઢગલા રચાતા જાય છે. આપણને આ માહિતીનો અપચો થયો છે. આ માહિતીનું ‘મારણ’ તો જ્ઞાનનું એક જ બિંદુ બની શકે પણ તે અમૃતબિંદુ આપણી પાસે નથી. તે બિંદુ આપણને આપણી પોતાની અંદરથી પ્રાપ્ત થઈ શકે.

Tuesday, September 10, 2013

સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા

એક બૅંક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઈતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે, સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઈએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું !
માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાંખે છે. તે ક્ષણે તે તલપાપડ બનીને પ્રાપ્તિની કે બઢતીની રાહ જુએ છે. પછી તરસ્યા કરે છે. ખરેખર, જ્યારે તેને ઈચ્છિત ફળ મળે ત્યારે તેને થાય છે કે કેટલું મોડું થઈ ગયું ! ધાર્યા કરતાં ખૂબ પ્રસંગે પણ ગમગીન બની જાય છે.
બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલી સંઘર્ષની લાંબી મજલ પછી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે આવા જ શબ્દો ઉચ્ચાર્યા હતા. વડાપ્રધાનનું પદ તો આખરે મળ્યું પણ કેટલું મોડું ! પછી તેને ખબર પડી કે કેટલીક ઘટનાઓ તો એક જ વાર બને છે. તે વહેલી મળે તો કંઈ ન્યાલ થઈ જવાતું નથી અને મોડી મળે તો કંઈ પાયમાલ થઈ જવાતું નથી. ઘણા બધા માણસોને તો તેમણે ઈચ્છેલી વસ્તુ અંત સુધી મળતી પણ નથી. કેટલાકને તેમના મૃત્યુ પછી આખી જિંદગી ઝંખેલી કીર્તિ મળી હોય તેવું પણ બન્યું છે. મોડા મોડા પણ માંગેલું જે કંઈ મળે તેને માટે સંતોષ માનવો તે જ સાચું વલણ છે. પણ માણસનું મન એવું છે કે પોતાની ધારણા કરતાં સહેજ પણ મોડું થાય અને કાંઈક મળે ત્યારે ‘વિરોધની લાગણી’ સાથે તેનો સ્વીકાર કરે છે ! સવારે ઝંખેલી ચા સાંજે મળી હોય તેવું લાગે પણ ચા હજુ ગરમ જ હોય તો ઓછું આણવાની જરૂર નથી.

દરેક માણસને પોતાની જિંદગીના નકશારૂપે ઊંચો પહાડ જોવાનું જ ગમે છે. પણ યાદ તો રાખવું જ પડે છે કે જે પર્વતની ટોચ પર પહોંચે છે તેણે તળેટી તરફ પાછા ફરવાનું આવે જ છે. એક એક ટેકરી પગથિયું બને અને ઊંચામાં ઊંચા પહાડ પર તમે પહોંચો પછી શું ? કોઈ આકાશને અડી શકતું નથી. કોઈ પર્વતની ટોચ પર જ રહી શકતું નથી. કેટલાક માણસો ગૌરવપૂર્વક પર્વત પરથી નીચે ઊતરે છે, કેટલાક ગબડી પડે છે, કેટલાક ધક્કે ચઢીને નીચે આવે છે, પણ ઊંચાને ઊંચા ઊડ્યા જ કરવાનું લગભગ અશક્ય છે. માણસને કંઈ પણ મનવાંચ્છિત ફળ મોડું મળે તો તે વહેલું મળ્યું હોત તો સારું હતું એવો અફસોસ હદયમાં ઘૂંટતી વખતે વિચારવું જોઈએ કે આ બધું વહેલું મળ્યું હોત તો શું ફરક પડત ? આવો અફસોસ કરનાર એવું માનતા હોય છે કે આજે મોડું મળેલું ફળ વહેલું મળ્યું હોત, પોતે જે ક્ષણે વધુમાં વધુ ઝંખ્યું હતું તે ક્ષણે મળ્યું હોત તો તેઓ આજે તેના કરતાં પણ વધુ મોટી પ્રાપ્તિને લાયક બની ચૂક્યા હોત ! હકીકતે માણસની જિંદગી સીધા ને સીધા તેમજ ઊંચે જ દોરી જતાં પગથિયાનો જ નકશો કદી હોતી નથી. કેટલાક બનાવો એક જ વાર બને છે તે વહેલા બને કે મોડા બને – વહેલા બને તો ચઢતીની વધુ તકો બાકી રહે અને મોડા મળે તો તે છેવટની તક બની જાય તેવો કોઈ નિયમ નથી.

કોઈ પણ પ્રકારની બઢતી કે પ્રાપ્તિને માણસે પોતાની લાયકાતના આખરી પ્રમાણપત્ર કે પુરાવારૂપે જોવાની પણ જરૂર નથી. ઝંખેલી વસ્તુ ચોક્કસ ક્ષણે મળતી નથી, તેનું જે દુ:ખ માણસને થાય છે, તેના મૂળમાં આ લાગણી પડેલી છે. તે માને છે કે, તેણે ઘણી વહેલી લાયકાત પ્રાપ્ત કરી લીધી છે અને આવી યોગ્યતા પ્રાપ્ત કરી લીધા છતાં પોતે માંગેલું સ્થાન કે ઈચ્છેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નહીં તેનો અર્થ એ કે પોતાની લાયકાતની અવગણના થઈ ! તમે ખરેખર તમારી કોઈ લાયકાતમાં માનતા જ હો તો તે લાયકાતને તમારે અમુક દરજ્જાની પ્રાપ્તિના ગજથી માપવાની જરૂર જ નથી. એક પલ્લામાં લાયકાત અને બીજા પલ્લામાં પ્રાપ્તિ એવી રીતે જિંદગીને વજનના કાંટા પર ચઢાવવાની જરૂર નથી. માણસની જિંદગીમાં ખરેખર ધન્યતાની લાગણી આપનારી ચીજ લાયકાતની અને સુસજ્જતાની ઝંખના છે. વધુ ને વધુ કુશળ બનવાનો એક આનંદ છે. આવા કૌશલની પ્રાપ્તિ એ જ એક મોટો આનંદ છે. એવી કોઈ પણ લાયકાતને અમુક સ્થાન કે બઢતી માટેના પરવાના-પત્ર તરીકે જોવાની જરૂર નથી. સ્થાન કે બઢતી મળે તે સારી વાત છે પણ તેને જ સાર્થકતા સમજવાની જરૂર નથી. સંપૂર્ણ લાયકાત હોય અને તે લાયકાત મુજબનું સ્થાન ના મળે તો તે કોઈ મોટી કમનસીબી નથી. વધુ મોટી કમનસીબી તો પ્રાપ્ત થયેલી બઢતી કરતાં લાયકાત ટૂંકી પડે તે છે.
સર વિન્સ્ટન ચર્ચિલની રાજકીય કારકિર્દી જાણીતી છે. 60 વર્ષની ઉંમર સુધીની તેની જિંદગી એક પછી એક નિષ્ફળતાની હારમાળા હતી. મહાત્વાકાંક્ષા અદમ્ય હતી. કંઈક મળતું અને તરત ચાલ્યું જતું ! અપજશનો પોટલો મૂકીને ચાલ્યું જતું ! ચર્ચિલ માનતો કે તે ખૂબ લાયક અને કાબેલ છે. એટલે તેના પક્ષના આગેવાનો જાણી-જોઈને તેને સ્થાન આપતા નથી અને ઈરાદાપૂર્વક તેની અવગણના કરે છે. ચર્ચિલ આ રીતે પોતાના પક્ષના આગેવાનોને ધિક્કારની નજરથી જોતો રહ્યો. છેવટે જ્યારે ચર્ચિલે ઝંખેલું વડાપ્રધાનનું પદ તેની સામે આવીને ઊભું રહ્યું ત્યારે તેનું હૃદય આનંદથી છલકાઈ ઊઠ્યું. સાથે સાથે તેને વિચાર આવ્યો કે ભૂતકાળમાં જે જે ક્ષણે મેં જે જે સ્થાનની ઝંખના કરેલી એ સ્થાનો પણ તે વખતે મળ્યાં હોત તો આજનું આ ઈનામ પ્રાપ્ત કરવાનું શક્ય રહ્યું હોત ખરું ? તેણે ભૂતકાળના બનાવો પર નજર કરી અને તેને અચંબો થયો કે ભૂતકાળમાં માગેલાં સ્થાનો તેને મળ્યાં હોત તો તે હકીકત જ તેની આજની સૌથી મોટી ગેરલાયકાત ગણાઈ હોત અને યુદ્ધકાળે બ્રિટનના વડાપ્રધાન બનાવાની આજની તેની સૌથી મોટી લાયકાત પેદા જ થઈ ના હોત ! હીટલરની સાથે શાંતિ-સંધિ કરવાની નીતિ, જર્મની માગે તે આપીને સમાધાન કરવાની ચેમ્બરલેઈનની નીતિનો એ ભાગીદાર બન્યો હોત તો તે યુદ્ધમાં સપડાયેલા બ્રિટનનો આગેવાન બની જ ના શક્યો હોત !
મોડે મોડે માણસને જે કાંઈ મળે છે તે માટેની તેની લાયકાતના મૂળમાં ભૂતકાળની આવી ઘણી ‘ગેરલાયકાતો’ પડી હોય છે. સ્ટાલિનની ઊંચાઈ ઓછી ના પડી હોત અને લશ્કરમાં ભરતી થઈ ગયો હોત તો તે લશ્કરમાં જ કોઈક નાની કે મોટી પાયરી પર પહોંચીને ગુમનામ નિવૃત્તિમાં ધકેલાઈ ગયો હોત ! અમેરિકાના મશહૂર વાર્તાકાર ઓ. હેનરીને હિસાબની ગોલમાલના ખોટા આરોપસર જેલમાં મોકલવામાં આવ્યો ન હોત તો તેણે વાર્તાઓ જ લખી ના હોત ! હકીકતે માણસે પોતાની માનેલી બધી લાયકાત છતાં મળેલી નિષ્ફળતાઓમાંથી જ એક લાયકાત પેદા થાય છે, જે નવી સફળતાને પ્રાપ્ત કરવામાં નિમિત્ત બની રહે છે.
એક રશિયન કવિએ ઠીક કહ્યું છે કે આકાંક્ષાના બહુ ઊંચા વડને પાણી પાયાં અને આવા મોટા ઝાડને બહુ જ નાનકડા ટેટા આવ્યા ત્યારે છાતી બેસી ગઈ ! બીજી બાજુ સહેજ પણ ઊંચા નહીં ચઢી શકતા વેલા જમીન પર પથરાયા. આ જમીનદોસ્ત વેલાનાં તડબૂચ જોયાં ત્યારે આશ્ચર્યથી છાતી ગજરાજ ફૂલી ! બે ઊંચા ઝાડ ઊભાં કરીએ એટલે મોટાં ફળ જ મળે તેવા ભ્રમમાંથી છૂટકારો થયો !
ફળપ્રાપ્તિ, બઢતી, એ બધું જ બાજુએ રાખીને ખરેખર વિચારવા જેવું આ છે કે કોઈ ને કોઈ વિદ્યા અગર કંઈ ને કંઈ કૌશલ પ્રાપ્ત કરવાની કોશિશમાં જિંદગીનો જે આનંદ છે તેની તોલે બીજું કશું આવી ના શકે. એવી જ રીતે આટલી વિશાળ દુનિયામાં ઘણી બધી જગા છે, ઊંચાં સ્થાનો છે, કેટલાંક સુંદર સ્થળો છે. પણ બધું જ આપણે જોઈ કે ભોગવી શકીએ તેમ નથી. બહારની દુનિયામાં ક્યાં સુંદર સ્થાન – કેવી જગા પ્રાપ્ત કરી લીધી – તેના પરથી પણ તમે તમારા સુખ-સંતોષનો આખરી હિસાબ કાઢી શકવાના નથી. તમારા પોતાના જીવનમાં, તમારા પોતાના ઘરમાં, તમારા પોતાના કુટુંબમાં, તમારા સ્નેહીસંબંધી અને મિત્રોના સમુદાયમાં તમે કેવી રીતે ગોઠવાઈ શકો છો, તમારા માટે કેટલી જગા મેળવી શકો છો – તેના પર તમારા સુખ-સંતોષનો આધાર છે. છેવટે કોઈ પણ માણસ પોતાની જગા અને પોતાનું સ્થાન પોતાની અંદર અને પોતાના આપ્તજનોના હૈયામાં જ શોધવાનું છે. માણસે પોતાની લાયકાતનાં સરનામાં પણ બહાર ને બહાર શોધવાની વધુ પડતી ભાંજગડમાં પડવા જેવું નથી.
સ્પેનનો એક કવિ કહે છે : મારે નક્શામાં કે પ્રત્યક્ષરૂપે કોઈ સુંદર ઊંચા પર્વતો કે સરોવરો કે હરિયાળા પ્રદેશો જોવાની ઝાઝી લાલસા નથી. મને મારા, બાળકના હાથની કળા અને રેખાઓ જોવામાં એટલો રસ પડે છે કે ના પૂછો વાત ! મારા વૃદ્ધ પિતાની કરચલીઓમાં હું જે જોઉં છું એવું ભૂસ્તર મેં ક્યાંય જોયું નથી ! મેં મારી માતાની આંખમાં મારી પોતાની છબી જોઈ છે તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી ! કેટલીકવાર તો સ્નેહના સંબંધોમાં હું જે મીઠી ભીંસ અનુભવું છું તેમાં એટલો બધો તરબતર બની જાઉં છું કે મને લાગે છે કે, આમ ને આમ જીવું તોય મઝા છે અને મરું તો ય ધન્ય !

સૌજન્ય : રીડ ગુજરાતી