Showing posts with label ધૂની માંડલિયા. Show all posts
Showing posts with label ધૂની માંડલિયા. Show all posts

Monday, September 30, 2013

લોભ – ધૂની માંડલિયા


અતિ લોભ તે પાપનું મૂળ છે. લોભને પાપનો બાપ કહેવાયો છે.
લોભ સ્વભાવે ખાઉધરો છે. વધુ ને વધુ લાલસા એટલે લોભ. લોભ હજાર સદગુણોનેય ગળી જાય છે. લોભનો સ્વભાવ જ ગળવાનો છે. લોભ નાનું-મોટું, શક્તિ-અશક્તિ, યોગ્ય-અયોગ્ય, ખપ-નાખપનું વિચારતો નથી. તેનું લક્ષ્ય કેવળ પ્રાપ્તવ્ય અને સંગ્રહ હોય છે. લોભના પ્રવેશની સાથે જ વિવેક ઘર-ઉંબરો છોડે છે. વિવેક અને લોભ સાથે રહી શકતા નથી. લોભ અને સંતોષ સાથે જીવી શકતા નથી. એકની હાજરી એ બીજાની ગેરહાજરીનું કારણ અવશ્ય બને છે. અસંતોષ અને તીવ્ર લાલસાની લાય લોભના ઈંધણમાંથી ભભૂકતી હોય છે અને એક વાર આગ પેટાઈ જાય છે પછી તે બીજાને પણ પોતાની ઝપટમાં લેતી જાય છે.

લોભવૃત્તિ જીવ માત્રને લાંબા ગાળે ગુલામ બનાવતી હોય છે. દાસત્વ એ લોભનું ફરજંદ છે. લોભી માણસ ક્યારેય બાદશાહ હોતો નથી. એ સદાય સેવક બનીને રહેતો હોય છે. સામ્રાજ્યોની લાલસા અને લોભ વ્યક્તિને બાદશાહમાંથી વાસ્તવમાં ગુલામ બનાવતી હોય છે અને નિર્લોભી ફકીર બાદશાહનો પણ બાદશાહ બનતો હોય છે. એ સ્વતંત્ર હોય છે. પોતે જ પોતાનો માલિક હોય છે, કારણ કે તે સંતોષી હોય છે.
આપણાથી બે પેઢી જ માત્ર પાછળ જોઈએ તો જણાશે કે ત્યારે માણસ પાસે આજના જેટલી વિપુલ અને અદ્યતન સાધનસામગ્રી નહોતાં. છતાં આજના કરતાં વ્યતીત પેઢી આપણાથી વધુ સુખી હતી. આ સત્ય તો આજે સહુ કોઈ સ્વીકારે છે. આ સત્યનું બીજ છે સંતોષ. જરૂરિયાતો અલ્પ, કોઈ મહત્વકાંક્ષા નહીં, પ્રભુપરાયણ જીવન અને સંતોષને કારણ આપણી પુરોગામી પેઢી સુખી હતી. જીવનમાં ક્યાંય દોટ નહીં. રોજ ચાલવાનો જ પ્રામાણિક પુરુષાર્થ. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે દોટ એ જ જીવનની ઓળખ બની ગઈ છે. વધુ ને વધુ મેળવવું એ જ જીવનનું લક્ષ્ય બન્યું છે. રાતોરાત લખપતિ થઈ જવું છે અને માટે જીવનમૂલ્યોને છેહ દેવો પડે તો છેહ દેવા સુધીની આપણી માનસિક તૈયારી છે. પરિણામે વસ્તુ-પદાર્થ-પૈસો, પ્રતિષ્ઠા, પદ વગેરે તો તાણી લાવી શકીએ છીએ, પણ સુખ સરી જાય છે. માણસ ધન-દોલતના ઢગ વચ્ચેય ભિખારી બની જાય છે. જે સંતોષની મૂડી પર ત્રણે લોકનો સ્વામી હતો તે લોભની વૃત્તિથી માખી-મચ્છર જેવું શુદ્ર જંતુ બની જતો હોય છે. દાસત્વ તેને પછી કોઠે પડી જાય છે. લોભને રવાડે ચડતાં જ મનુષ્ય આંધળો થઈ જાય છે. લોભ સૌથી પહેલું કામ વ્યક્તિની આંખ આંચકી લેવાનું કરે છે. અર્થાત માણસની ક્ષીર-નીર ભેદ પારખવાની દષ્ટિને આંચકી લે છે – એટલે કે માણસને વિવેકશૂન્ય બનાવે છે. પોતાના અલ્પ સુખ ખાતર માણસ લોભવશ અન્યનાં સુખ-ચેન હડપ કરવા સુધી લલચાય છે. ભૌતિક ચીજોની ભૂખ વિવેકનો કોળિયો કરી જાય છે. લોભી માણસનો આહાર જ અન્ય અસ્તિત્વ હોય છે. પણ લોભીજન એ ભૂલી જાય છે કે જેનો એ કોળિયો કરી ગળી જવા ઈચ્છે છે એ ચીજ-જણસ જ આગળ જતાં લોભીજનનો કોળિયો કરી જતી હોય છે. જગત પરની પ્રવર્તમાન પ્રાયઃ સઘળી હિંસાનું કારણ લોભ છે. લોભ એ કેવળ ચીજવસ્તુ મેળવવા માટેની આંધળી દોટ જ નથી, બલ્કે એ બદલાની ભાવનાનું અંગ, વેરની વસૂલાત માટેની યોજના અને ગુલામીની જનેતાપણ છે.
એક સમય એવો હતો કે મનુષ્યો-પશુઓ એક જ જંગલમાં નિર્ભયપણે આનંદપૂર્વક સાથે જીવતાં હતાં. પશુ આદિ જનાવરો જ એમના રોજિંદા મિત્રો હતા. એક વખત સાબરની સાથે લડતા એક ઘોડાને સાબરનું શિંગડું વાગી ગયું. ઘોડો જખમી થયો. ઘોડો વેરની વસૂલાત કરવા મનુષ્ય પાસે ગયો અને મદદ માગી. મનુષ્યે કહ્યું : ‘ઠીક છે, હું તને મદદ કરી તારા દુશ્મનોનો નાશ કરીશ.’ મનુષ્ય ઘોડા પર બેઠો. સાથે તીર-કામઠાં પણ રાખ્યા અને સાબરને વીંધી પાછો ફર્યો. હવે ઘોડો બોલ્યો : ‘ભાઈ, તમે મારા પર મહેરબાની કરી છે. મારા લાયક સેવા બતાવજો. હવે હું જાઉં છું.’ મનુષ્યે કહ્યું : ‘હવે તું ક્યાં જઈશ ? મને હવે જ ખબર પડી કે તું બેસવામાં ઉપયોગી છે.’ ઘોડો વિવશ બન્યો અને મનુષ્યે તેને બંધનમાં નાખી બેસવાનું સાધન બનાવી દીધું. વેર લેવાના લોભે ઘોડાને બંદીવાન બનાવ્યો.

Tuesday, September 24, 2013

બીજા માટે ઘસાઈ છૂટો – ધૂની માંડલિયા

તમારા જીવનમાં તમે અન્યોને ક્યારેય ઉપયોગી કે મદદગાર ના બન્યા હો તો નક્કી માનજો કે તમારું જીવન એળે ગયું છે. એટલું જ નહીં, ભવિષ્યનું નિશ્ચિત મૃત્યુ પણ પીડાદાયક બનવાનો સંભવ છે. તમે માત્ર પોતાનું જીવવા માટે નથી જન્મ્યા, બીજાને જિવાડવા માટે પણ તમારો જન્મ પરમાત્માએ નક્કી કર્યો હોવાનું શક્ય છે. તમારા માટે ફક્ત જીવવું કે સારા પતિ, પિતા અથવા કુટુંબપાલક થવામાં સંતુષ્ટ રહેવું એ પૂરતું નથી. તમારે જીવનમાં કાંઈક વધુ અગત્યની જવાબદારી ઉઠાવવાની છે. તમે સાચે જ ઈચ્છો તો એવાં ઉમદાં કામો તમારી આસપાસ તમારી રાહ જોતાં ખડાં જ હોય છે. તમને એવાં કામો પ્રતિ રસ નથી, એટલે તેવાં કામો તમને દેખાતાં નથી.
તમે પોતે તમારી પોતાની કોઈ આગવી દુનિયામાં રહેતા નથી, તમારા માનવબંધુઓ પણ અહીં છે. પરોપકાર કરવા માટે શુભ-લાભનાં ચોઘડિયાં જોવાની જરૂર નથી. પ્રત્યેક પળ મુહૂર્તરૂપ છે. તમે વૃદ્ધ હો તોપણ આવાં કામોમાં નાનો-મોટો ફાળો જરૂર આપી શકો. જીવનની ક્ષણેક્ષણ કૃતાર્થ કરવી હોય તો ક્ષણેક્ષણનો આનંદમય ઉપયોગ કરો. આનંદ અન્યને મદદરૂપ થવામાં મળે છે. પંડ માટે કરનારને સુખ મળશે, પણ આનંદ નહીં મળે. સુવિધા-સગવડ મળશે, પણ સંતોષ નહીં મળે. જીવન એ જિંદગીના મૂળ રંગને વિકૃત કરવાનો નહીં, પરંતુ અલંકૃત કરવાનો અવસર છે. જીવનનો આરંભ અને અંત શાનદાર બનાવવા હોય તો બીજાને માટે ઘસાતા શીખો. માત્ર પોતાનું કામ કરવું તે ભક્તિ અને કામ કરતા રહીએ છતાંય નિસ્પૃહ રહેવું તે વિરક્તિ. સ્વાર્થ માણસને નાનો બનાવે છે. પરમાર્થ માણસને માણસ બનાવે છે. માણસાઈ કરે તે માણસ. રોજરોજ જીવનનું સરવૈયું કાઢો. કેટલો સ્વાર્થ સિદ્ધ કર્યો ? કેટલો પરમાર્થ કર્યો ?
આપણે સૌ ચોરાના માણસો છીએ. ચર્ચાળુ છીએ એટલા માયાળુ નથી. ભગવાને બધે જ સાચું કહ્યું છે કે જેને તીર વાગ્યું હોય તેની વેદના મટાડવા વ્યર્થ ચર્ચા કર્યા વગર તરત તીર ખેંચી કાઢો, પછી ઈલાજ શરૂ કરો. આપણે ઈલાજ માટે બહુ મોડા પડીએ છીએ. આપણને ચર્ચામાં જ વધુ રસ છે. દુઃખીનાં આંસુ લૂછવા જતાં આપણો હાથરૂમાલ બગડી જશે એટલી હદ સુધી આપણે હિસાબી છીએ.
પ્રખ્યાત માનવતાવાદી દાર્શનિક આલ્બર્ટ સ્વાઈન્ઝરનો એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. એક વખત તેઓ અમેરિકા ગયા હતા. તેમના માનમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજનાનુસાર સ્વાઈન્ઝરે એક કૅકના આઠ ટુકડા કરવાના હતા. તેના બદલે કૅકના નવ ટુકડા કર્યા. કોઈએ પૂછ્યું : ‘આપે આઠના બદલે નવ ટુકડા કેમ કર્યા ?’ દાર્શનિકે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો : ‘આ આઠ ટુકડા તો આપણા માટે છે, પણ આ સૌથી મોટો ટુકડો કૅક તૈયાર કરનાર મહિલા માટે છે. પરિશ્રમ કરીને અને પોતાનું હેત ઉમેરીને આવી સ્વાદિષ્ટ કૅક બનાવનાર મહિલાને આપણે કેવી રીતે ભૂલી શકીએ ?’ આપણા રોજબરોજ જીવાતા જીવનમાં આટલો ખટકો આવી જાય તો તમે, તમારું કુટુંબ જ નહીં, સમાજ પ્રસન્નતાથી છલોછલ થઈ જાય. સ્વામી વિવેકાનંદનું આ વિધાન સોંસરું ઊતરી જાય તેવું છે : ‘દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાર્થના કરતાં જોડાયેલા બે હાથ કરતાં વધુ સાર્થક છે.’ મનુષ્યજીવનનું ખરું મહત્વ તેની બુદ્ધિ, વૈભવમાં કે ધનદોલતમાં નથી, પણ એનામાં દયાભાવ જાગ્રત હોય, હૃદય પ્રકાશમાન હોય, સ્વાર્પણ માટે હંમેશાં તત્પરતા હોય, જાત-ભાતના વાડા વટાવી તે વિશાળ ચોગાનમાં પોતાની સમદષ્ટિ રેલાવતો હોય અને અહંકાર વગર અન્યોને ઉપયોગી થતો હોય તેમાં જીવનની સાર્થકતા છે. તમે સમાજમાં રહો તો સમાજના ઉત્થાન માટે પણ તમારે તૈયારી રાખવી પડશે, સમાજ તમને ભરપૂર આપે છે. તેમાંથી અલ્પ જ તમારે સમાજને પાછું આપવાનું છે, પણ આ અલ્પ આપતાં પણ તમને ધ્રુજારી છૂટે છે.
ચાર હજાર વર્ષ પહેલાંના એક ઈજિપ્શિયન રાજકર્તાના મૃત્યુલેખનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક બાળકને પણ મેં ઈજા ભોગવવા દીધી નથી, એક વિધવાને પણ મેં દુઃખ પડવા દીધું નથી, ગાયો ચારનાર ગોવાળને પૂરતા ઘાસની વ્યવસ્થા પૂરી પાડી છે. મારા વખતમાં કોઈ ભિખારી ન હતા અને જ્યારે દુષ્કાળનાં વર્ષો આવ્યાં હતાં ત્યારે પ્રાંતના ઉત્તરથી દક્ષિણ છેડા સુધી મારા પ્રાંતની સઘળી જમીન હું ખેડાવતો, પ્રજાને હું ખવડાવતો અને ભવિષ્ય માટે હું તેમને અનાજનાં સાધન કરી આપતો. આજના આધુનિક ગણાતા સમયમાં ક્યો શાસક આવી ગોઠવણ કરી શકે તેમ છે ?’ શાસક માટે આ વાત અશક્ય એટલા માટે છે કે એક વ્યક્તિ તરીકે હજુ આપણે અધૂરા, સ્વાર્થી અને મતલબપરસ્ત છીએ. સમાજ પણ આખરે તો આપણાથી રચાય છે.
અન્યનાં આંસુ જોઈ જે દ્રવે તે સાચું દિલ અને સાચું દ્રવ્ય. સંતો પાસે પરમાત્માએ પ્રેમાળ હૃદય મૂક્યું છે અને સંપન્ન પાસે પરમાત્માએ દ્રવ્ય મૂક્યું છે. તમારી આંખ સામે કોઈ દર્દીલી-ઘટના, પ્રસંગ, વ્યક્તિ કે વિવાદ આવે અને તમારું હૃદય દ્રવી ના ઊઠે તો તમારું દ્રવ્ય, તમે એકઠી કરેલી સંપત્તિ માત્ર કચરો અને કચરો જ છે જેને તમે ઘરમાં સંઘરી રહ્યા છો. સામાન્ય સ્તરના લોકો પોતાના શરીર અને કુટુંબ સુધી જ સીમિત રહે છે, પરંતુ જેઓ ભગવદપરાયણ છે તેઓ પોતાની ચેતનાને સદાય જાગ્રત રાખી ચાર ડગલાં આગળ વધે છે. તેઓ દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ માટે કંઈક કરવા માટે તત્પર બને છે. આવા વિરલ માણસોની મહેનતથી સમાજ સમર્થ બને છે, યશસ્વી બને છે.
તમે પણ કોઈકને હાથ આપી અને બેઠો કરવાનો વિચાર કર્યો જ હશે, પણ પછી તમે આગળ ના વધ્યા. વિચારથી જ અટકી ગયા હશો. માત્ર આદર્શની કલ્પના કરવાથી કશું મેળવી શકાતું નથી. એ માટે અડગ મનથી, આજથી જ જનહિતની નાની-મોટી જવાબદારી ઉઠાવી લેવાની હોય છે. ફળની આશા રાખ્યા વગર નિષ્ઠાપૂર્વક પરમાર્થ જારી રાખવાનો હોય છે. તમારી આસપાસ જીવતા લોકોનો જીવનવિકાસ કેમ થાય એ માટે સતત યત્નશીલ રહેશો તો પરમાત્મા જ તમને રાહ બતાવતા રહેશે. કારણ કે પરમાત્મા આવા માણસોની ખોજ કરવા રોજ નીકળે છે. પરમાત્માને એક પરમાર્થી તરીકે તમારો ભેટો થઈ જશે તો એ ખૂબ રાજી રાજી થઈ જશે. પરમાત્માનો રાજીપો એટલે જ સાર્થક જીવન.