Tuesday, September 24, 2013

બીજા માટે ઘસાઈ છૂટો – ધૂની માંડલિયા

તમારા જીવનમાં તમે અન્યોને ક્યારેય ઉપયોગી કે મદદગાર ના બન્યા હો તો નક્કી માનજો કે તમારું જીવન એળે ગયું છે. એટલું જ નહીં, ભવિષ્યનું નિશ્ચિત મૃત્યુ પણ પીડાદાયક બનવાનો સંભવ છે. તમે માત્ર પોતાનું જીવવા માટે નથી જન્મ્યા, બીજાને જિવાડવા માટે પણ તમારો જન્મ પરમાત્માએ નક્કી કર્યો હોવાનું શક્ય છે. તમારા માટે ફક્ત જીવવું કે સારા પતિ, પિતા અથવા કુટુંબપાલક થવામાં સંતુષ્ટ રહેવું એ પૂરતું નથી. તમારે જીવનમાં કાંઈક વધુ અગત્યની જવાબદારી ઉઠાવવાની છે. તમે સાચે જ ઈચ્છો તો એવાં ઉમદાં કામો તમારી આસપાસ તમારી રાહ જોતાં ખડાં જ હોય છે. તમને એવાં કામો પ્રતિ રસ નથી, એટલે તેવાં કામો તમને દેખાતાં નથી.
તમે પોતે તમારી પોતાની કોઈ આગવી દુનિયામાં રહેતા નથી, તમારા માનવબંધુઓ પણ અહીં છે. પરોપકાર કરવા માટે શુભ-લાભનાં ચોઘડિયાં જોવાની જરૂર નથી. પ્રત્યેક પળ મુહૂર્તરૂપ છે. તમે વૃદ્ધ હો તોપણ આવાં કામોમાં નાનો-મોટો ફાળો જરૂર આપી શકો. જીવનની ક્ષણેક્ષણ કૃતાર્થ કરવી હોય તો ક્ષણેક્ષણનો આનંદમય ઉપયોગ કરો. આનંદ અન્યને મદદરૂપ થવામાં મળે છે. પંડ માટે કરનારને સુખ મળશે, પણ આનંદ નહીં મળે. સુવિધા-સગવડ મળશે, પણ સંતોષ નહીં મળે. જીવન એ જિંદગીના મૂળ રંગને વિકૃત કરવાનો નહીં, પરંતુ અલંકૃત કરવાનો અવસર છે. જીવનનો આરંભ અને અંત શાનદાર બનાવવા હોય તો બીજાને માટે ઘસાતા શીખો. માત્ર પોતાનું કામ કરવું તે ભક્તિ અને કામ કરતા રહીએ છતાંય નિસ્પૃહ રહેવું તે વિરક્તિ. સ્વાર્થ માણસને નાનો બનાવે છે. પરમાર્થ માણસને માણસ બનાવે છે. માણસાઈ કરે તે માણસ. રોજરોજ જીવનનું સરવૈયું કાઢો. કેટલો સ્વાર્થ સિદ્ધ કર્યો ? કેટલો પરમાર્થ કર્યો ?
આપણે સૌ ચોરાના માણસો છીએ. ચર્ચાળુ છીએ એટલા માયાળુ નથી. ભગવાને બધે જ સાચું કહ્યું છે કે જેને તીર વાગ્યું હોય તેની વેદના મટાડવા વ્યર્થ ચર્ચા કર્યા વગર તરત તીર ખેંચી કાઢો, પછી ઈલાજ શરૂ કરો. આપણે ઈલાજ માટે બહુ મોડા પડીએ છીએ. આપણને ચર્ચામાં જ વધુ રસ છે. દુઃખીનાં આંસુ લૂછવા જતાં આપણો હાથરૂમાલ બગડી જશે એટલી હદ સુધી આપણે હિસાબી છીએ.
પ્રખ્યાત માનવતાવાદી દાર્શનિક આલ્બર્ટ સ્વાઈન્ઝરનો એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. એક વખત તેઓ અમેરિકા ગયા હતા. તેમના માનમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજનાનુસાર સ્વાઈન્ઝરે એક કૅકના આઠ ટુકડા કરવાના હતા. તેના બદલે કૅકના નવ ટુકડા કર્યા. કોઈએ પૂછ્યું : ‘આપે આઠના બદલે નવ ટુકડા કેમ કર્યા ?’ દાર્શનિકે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો : ‘આ આઠ ટુકડા તો આપણા માટે છે, પણ આ સૌથી મોટો ટુકડો કૅક તૈયાર કરનાર મહિલા માટે છે. પરિશ્રમ કરીને અને પોતાનું હેત ઉમેરીને આવી સ્વાદિષ્ટ કૅક બનાવનાર મહિલાને આપણે કેવી રીતે ભૂલી શકીએ ?’ આપણા રોજબરોજ જીવાતા જીવનમાં આટલો ખટકો આવી જાય તો તમે, તમારું કુટુંબ જ નહીં, સમાજ પ્રસન્નતાથી છલોછલ થઈ જાય. સ્વામી વિવેકાનંદનું આ વિધાન સોંસરું ઊતરી જાય તેવું છે : ‘દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાર્થના કરતાં જોડાયેલા બે હાથ કરતાં વધુ સાર્થક છે.’ મનુષ્યજીવનનું ખરું મહત્વ તેની બુદ્ધિ, વૈભવમાં કે ધનદોલતમાં નથી, પણ એનામાં દયાભાવ જાગ્રત હોય, હૃદય પ્રકાશમાન હોય, સ્વાર્પણ માટે હંમેશાં તત્પરતા હોય, જાત-ભાતના વાડા વટાવી તે વિશાળ ચોગાનમાં પોતાની સમદષ્ટિ રેલાવતો હોય અને અહંકાર વગર અન્યોને ઉપયોગી થતો હોય તેમાં જીવનની સાર્થકતા છે. તમે સમાજમાં રહો તો સમાજના ઉત્થાન માટે પણ તમારે તૈયારી રાખવી પડશે, સમાજ તમને ભરપૂર આપે છે. તેમાંથી અલ્પ જ તમારે સમાજને પાછું આપવાનું છે, પણ આ અલ્પ આપતાં પણ તમને ધ્રુજારી છૂટે છે.
ચાર હજાર વર્ષ પહેલાંના એક ઈજિપ્શિયન રાજકર્તાના મૃત્યુલેખનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક બાળકને પણ મેં ઈજા ભોગવવા દીધી નથી, એક વિધવાને પણ મેં દુઃખ પડવા દીધું નથી, ગાયો ચારનાર ગોવાળને પૂરતા ઘાસની વ્યવસ્થા પૂરી પાડી છે. મારા વખતમાં કોઈ ભિખારી ન હતા અને જ્યારે દુષ્કાળનાં વર્ષો આવ્યાં હતાં ત્યારે પ્રાંતના ઉત્તરથી દક્ષિણ છેડા સુધી મારા પ્રાંતની સઘળી જમીન હું ખેડાવતો, પ્રજાને હું ખવડાવતો અને ભવિષ્ય માટે હું તેમને અનાજનાં સાધન કરી આપતો. આજના આધુનિક ગણાતા સમયમાં ક્યો શાસક આવી ગોઠવણ કરી શકે તેમ છે ?’ શાસક માટે આ વાત અશક્ય એટલા માટે છે કે એક વ્યક્તિ તરીકે હજુ આપણે અધૂરા, સ્વાર્થી અને મતલબપરસ્ત છીએ. સમાજ પણ આખરે તો આપણાથી રચાય છે.
અન્યનાં આંસુ જોઈ જે દ્રવે તે સાચું દિલ અને સાચું દ્રવ્ય. સંતો પાસે પરમાત્માએ પ્રેમાળ હૃદય મૂક્યું છે અને સંપન્ન પાસે પરમાત્માએ દ્રવ્ય મૂક્યું છે. તમારી આંખ સામે કોઈ દર્દીલી-ઘટના, પ્રસંગ, વ્યક્તિ કે વિવાદ આવે અને તમારું હૃદય દ્રવી ના ઊઠે તો તમારું દ્રવ્ય, તમે એકઠી કરેલી સંપત્તિ માત્ર કચરો અને કચરો જ છે જેને તમે ઘરમાં સંઘરી રહ્યા છો. સામાન્ય સ્તરના લોકો પોતાના શરીર અને કુટુંબ સુધી જ સીમિત રહે છે, પરંતુ જેઓ ભગવદપરાયણ છે તેઓ પોતાની ચેતનાને સદાય જાગ્રત રાખી ચાર ડગલાં આગળ વધે છે. તેઓ દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ માટે કંઈક કરવા માટે તત્પર બને છે. આવા વિરલ માણસોની મહેનતથી સમાજ સમર્થ બને છે, યશસ્વી બને છે.
તમે પણ કોઈકને હાથ આપી અને બેઠો કરવાનો વિચાર કર્યો જ હશે, પણ પછી તમે આગળ ના વધ્યા. વિચારથી જ અટકી ગયા હશો. માત્ર આદર્શની કલ્પના કરવાથી કશું મેળવી શકાતું નથી. એ માટે અડગ મનથી, આજથી જ જનહિતની નાની-મોટી જવાબદારી ઉઠાવી લેવાની હોય છે. ફળની આશા રાખ્યા વગર નિષ્ઠાપૂર્વક પરમાર્થ જારી રાખવાનો હોય છે. તમારી આસપાસ જીવતા લોકોનો જીવનવિકાસ કેમ થાય એ માટે સતત યત્નશીલ રહેશો તો પરમાત્મા જ તમને રાહ બતાવતા રહેશે. કારણ કે પરમાત્મા આવા માણસોની ખોજ કરવા રોજ નીકળે છે. પરમાત્માને એક પરમાર્થી તરીકે તમારો ભેટો થઈ જશે તો એ ખૂબ રાજી રાજી થઈ જશે. પરમાત્માનો રાજીપો એટલે જ સાર્થક જીવન.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.