Friday, January 31, 2014

વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ (ભાગ 2/2)


[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]
[16] અધ્યાત્મ તો જીવન જીવવાનું વિજ્ઞાન છે….. અધ્યાત્મ તો જીવનનું પરમતત્વ શું છે એ બતાવે છે…. અધ્યાત્મમાં તમે કાંઈ મેળવતા નથી. તમે અહંચેતના ગુમાવો છો. અહંચેતના એના મૂળ સ્ત્રોતમાં ભળી જાય છે…. અધ્યાત્મમાં કાંઈ મેળવવાનું નથી, અધ્યાત્મ પ્રતીતિનો વિષય છે…. અધ્યાત્મ તો સત્ય સમજવાનું વિજ્ઞાન છે.[17] બધાં શાસ્ત્રોના શબ્દોમાં જેટલી ઊર્જા છે, સર્જકતા છે, એના કરતાં અનેકગણી વધારે ઊર્જા અને સર્જકતા મૌનમાં છે.
[18] જ્યારે તમે શરીરને યમ, નિયમ, આસન, પ્રાણાયામથી અથવા પરિશ્રમથી શુદ્ધ રાખો છો ત્યારે તેમાં એક પ્રકારની નિરામયતા આવે છે.
[19] જીવન અનાદિ અનંત છે…. આ અનાદિત્વ અને અનંતતાની વચ્ચે આપણને જન્મ અને મૃત્યુ એ બે બિંદુ વચ્ચેનો સમય મળ્યો છે. એમાં સમજપૂર્વક જીવીએ, અનાદિતા અને અનંતતાને તર્કનો વિષય ન બનાવીએ, અનાદિતા અને અનંતતાના રહસ્ય સાથે જીવીએ.
[20] મરણિયા થઈને પ્રયત્ન કરવો હોય તો રોજિંદા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણા ચિંતનમાં, આપણી વાતોમાં જ્યાં જ્યાં વિસંગતિ અને વિરોધ નજરે પડે ત્યાંથી વિસંગતિ અને આંતરવિરોધનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરો.
[21] તમે જેટલા પ્રશ્નો હૈયાઉકેલથી અને કોઠાસૂઝથી ઉકેલી શકો છો એટલા બુદ્ધિ-તત્વથી અને સિદ્ધાંતથી ઉકેલી શકતા નથી. સમજણની શક્તિ પરમાત્માની વિભૂતિરૂપે તમારા અને મારા હૈયામાં છે.
[22] મને ખબર પડતી કે શો અવરોધ, કયો અંતરાય આવે છે કે મનુષ્ય સમજેલું જીવી શકતો નથી ? અમારા જીવનમાં તો અમને જે ક્ષણે સમજાયું તે જ ક્ષણે એ આચરણમાં ઊતર્યું.
[23] તમારી બાહ્ય ઈન્દ્રિયોને સ્પર્શ કરનારી, તમારી ઈન્દ્રિયોને આમંત્રિત કરનારી જે કુદરત છે તે અને તમે સગાં છો ! લોહીના સંબંધ કરતાં પણ વધારે ઊંડો અને ગહન સંબંધ આ કુદરત સાથે આપણો છે અને સ્વયંસિદ્ધ સ્વયંભૂ એવી જે કુદરત છે તે જ પરમાત્માનું રૂપ છે.
[24] મનુષ્ય કેવળ પશુ નથી અને જે કુદરત તમને દેખાય છે તે કેવળ જડસૃષ્ટિ નથી. એ તો ચિન્મયી ઊર્જાઓનો મહારાસ છે !
[25] હૃદયની શુદ્ધિ, શુચિતા કે મંગલતા ઉપર કંઈ ઝાંખપ નથી લાગતી એનું નામ શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોય ત્યાં ચિંતા રહેતી નથી.
[26] મનુષ્યમાં આત્મભાન અને આત્મચેતનાની શક્તિ છે. એટલે મનુષ્યની મોટી જવાબદારી થઈ જાય છે કે એ સત્યને શોધે અને પ્રગટ કરે. જે સત્ય સમજાય તેને જીવનમાં જીવે.
[27] ચિંતામાંથી ભય અને ભયમાંથી અસંતુલન પેદા થાય છે. પળભરની બીક વ્યવહારને બદલી નાખે છે, બદલાવી જ નાખે છે.
[28] દુઃખ લાગવું એ પણ સ્વાભાવિક છે. દુઃખ લાગે અને દુઃખ નથી લાગ્યું એવું કહેવું એ નકરું પાખંડ છે. દુઃખ લાગ્યું હોય તો એ પણ જીવી લેવું. એને કારણે આત્મદયા કે અવસાદમાં જવું, એના માટે પ્રતિશોધનો ભાવ સેવવો એ દ્વેષ છે.
[29] સંયમાગ્નિમાંથી તમારા વાસનાવિકારોને બાળીને ભસ્મસાઅત કરો ત્યારે સમતા, સંતુલન પ્રગટ થાય છે. ત્યારે જીવન સંતુલિત બને છે. પછી કોઈ પણ પરિસ્થિતિમાં જીવનના કોઈ પણ ઉતાર ચઢાવમાં પલ્લું ઊતરતું ચઢતું નથી.
[30] આંસુ તો જીવનનો-હૃદયનો વૈભવ છે. એ વૈભવને તમે ગમે તેમ વેડફો એમાં તો શક્તિનો વ્યય થાય.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.