Monday, January 27, 2014

લગ્નસંબંધનું ગણિત– બંસીધર શુક્લ

આપણા સમાજમાં લગ્ન એક સંસ્કાર છે. પ્રાચીનકાળથી લગ્નપ્રથા અને તેના શાસ્ત્રીય નિયમોનું પાલન થતું આવ્યું છે. શ્વેતકેતુ નામના ઋષિએ લગ્નસંસ્કારની પ્રતિષ્ઠા કરી. ઘણા ઋષિઓએ તેના વિષયમાં નીતિનિયમો આપ્યા. એવો એક નિયમ છે : સપિંડો વચ્ચે વિવાહસંબંધ થઈ શકે નહીં. સપિંડ એટલે સમાન પિંડ, સમાન દેહ. જે બે જણના દેહમાં પારિવારિક સંબંધની રીતે બીજાં પરિવારજનનો અંશ ઊતરતો હોય તો તે બે જણ સપિંડ ગણાય. તેઓ લગ્ન કરી શકે નહીં. અહીં બે પ્રશ્નો ઉદ્દભવે છે. એક, સપિંડ વચ્ચે નિષેધ શા માટે ? બે, સાત પેઢી પછી સપિંડતા રહેતી નથી, તેથી સાત પેઢી પછીનાં માટે નિષેધ નથી. અહીં સાત જ કેમ ? પાંચ કે દસ કેમ નહીં ?
પહેલા પ્રશ્નનો ઉત્તર સરળ છે. સ્ત્રી પુરુષ સાથે સમાગમથી એટલે કે પુરુષનો શુક્રકોશ પોતાના શરીરમાં પ્રવેશે તે પછી જ સગર્ભા બને છે. આમ, માતાપિતા સપિંડ બને છે. ગર્ભનું શિશુ માતાના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. શિશુમાં માતાના પિંડનો અંશ આવવાથી શિશુ પિતા ઉપરાંત માતા સાથે પણ સપિંડતાથી જોડાય છે. પ્રાચીનકાળથી વિજ્ઞાનીઓ-ઋષિઓ એ જાણતા આવ્યા છે કે નિકટના સગાંમાં લગ્નથી માઠાં લક્ષણો, આનુવંશિક રોગો, વિકૃતિઓ તથા અપ્રતિકારિતા સંતાનોમાં ઊતરે છે. આથી તેમણે નિકટના- સપિંડ વચ્ચે વિવાહ વર્જિત ઠરાવ્યો.
બીજા પ્રશ્નમાં સરળ ગણિત લાગુ પડે છે. તેને એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. એક મોટો ચોરસ કે લંબચોરસ કાગળ લો. શક્ય એટલો મોટો અને લંબચોરસ હોય તો સારું. છાપાનો કાગળ ચાલે. તેની લાંબી બાજુને બરાબર વચ્ચેથી વાળીને ગડી કરો. ગડીના સળને વચ્ચેથી કાટખૂણે વાળીને બીજી ગડી બનાવો. કાગળ ચોથા ભાગનો થઈ જશે. આ પ્રમાણે બંને બાજુ વચ્ચેથી વાળીને ગડી કરતા જાઓ. કેટલી વાર વાળો છો, તેની નોંધ રાખો. કાગળ ગમે તેટલો મોટો લીધો હોય, તમે આઠેક વારથી વધારે વાર તેને નહીં વાળી શકો. કારણ કે વાળવાની પ્રક્રિયા અડધાનું અડધું…એ ઝડપે ભૌમિતિક શ્રેણીમાં તીવ્રતાથી ગતિ કરે છે. આઠમા વળે તે એટલો જાડો અને નાનો થઈ જાય છે કે તેને પકડીને આગળ વાળવાનું અશક્ય બને છે. હવે આ જ પદ્ધતિએ સંતાનોમાં માતાપિતાનો વારસો કેવી રીતે ઊતરે છે અને કેવી રીતે ક્ષીણ થતો લગભગ નહીંવત બની જાય છે, તે જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક સંતાન માતાપિતાનો અડધો-અડધો વારસો લઈને જન્મે છે. આ વારસો જેમ એક-એક ચરણ આગળ ઊતરે તેમ તે ફરી અડધો-અડધો થતો જાય છે. આ રીતે….
100-0 ચરણ (વર્તમાન પેઢી)
50-પહેલું ચરણ (તે પછીની પહેલી પેઢી)
25-બીજું ચરણ (બીજી પેઢી)
12.5-ત્રીજું ચરણ (ત્રીજી પેઢી)
6.25-ચોથું ચરણ (ચોથી પેઢી)
3.125-પાંચમું ચરણ (પાંચમી પેઢી)
1.56-છઠ્ઠું ચરણ (છઠ્ઠી પેઢી)
0.78-સાતમું ચરણ (સાતમી પેઢી)

આમ, 7મી પેઢીથી પહેલી પેઢીનો વારસો ઘટતો જઈ એક ટકાની અંદર-આશરે 0.78 ટકા થાય છે. આટલો પ્રભાવ એટલે નહિવત- શૂન્યવત પ્રભાવ. એટલે 7 પેઢીએ સપિંડતા સમાપ્ત થયા પછી જો બે વ્યક્તિ લગ્ન કરે, તો તેમને આનુવંશિક વિકૃતિ, રોગ, અપ્રતિકારિતા આદિનો ભય નડે નહીં.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.