Friday, February 28, 2014

જીવન જીવવાની કલા – તન્વી બુચ

બેફામ સાહેબની એક રચના છે :
અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા રહી શકીએ છીએ, પરંતુ એમાં જો જીવન ધબકતું રહે તો જ જીવંતતા ટકી રહે. જીવનને ધબકતું રાખવા માટે જીવનમાં શોખ હોવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. શોખ અને કલા એકબીજાના પૂરક છે. માણસને જે વસ્તુનો શોખ હોય તે જરૂર કલા બની શકે છે; પરંતુ શોખ તો ટીવી જોવાનો પણ હોઈ શકે ! શોખ પાણીપુરી ખાવાનો કે ગપસપ કરવાનો પણ હોઈ શકે. એ પ્રકારનાં શોખની આ વાત નથી. અહીં શોખ એટલે કાર્ય પ્રત્યેની અત્યંત એકાગ્રતા અને શુભનિષ્ઠા. આવો શોખ ક્યારેક કલામાં પરિવર્તિત થઈ શકે છે. તમને શું કરવાનો શોખ છે એ શોધી કાઢો. દરેક વ્યક્તિમાં એક કલાકાર વસેલો છે. ઈશ્વરે દરેકને કોઈને કોઈ કલાનું વરદાન આપ્યું છે પરંતુ એ વરદાનને ઓળખીને આપણે આપણામાં રહેલા કલાકારને જન્મ આપવાનો છે.
પોતાના શોખનો વિસ્તાર કરવાથી કે કોઈ કલામાં પારંગત બનવાથી માણસ જીવંત રહે છે. સતત નવું નવું શીખવાથી મગજનો પણ વિકાસ થાય છે. મનની ક્ષિતિજો વિસ્તરે છે. પોતાનો આત્મવિશ્વાસ વધે છે. નૃત્યનો શોખ હોય તો તે માટેની તાલિમ લઈને વ્યક્તિ એક સારો નૃત્યકાર બની શકે છે. ખૂબ ગાવાનો શોખ હોય તેવી વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને રિયાઝ વડે સારો ગાયક બની શકે છે. સતત કંઈક નવું વાંચવા-લખવાનો શોખ કેળવીને લેખનકલામાં પારંગત બની શકાય છે. અરે… રોજિંદુ ઘરકામ કરતાં રસોઈના ક્ષેત્રમાં નવી-નવી વાનગીઓ બનાવવાનો શોખ જાગે તો એ પણ ક્યારેક રસોઈકલામાં રૂપાંતરિત થઈ શકે છે. શોખ એ જ કલાની જન્મદાત્રી છે.
માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તિન ન પણ પામે; પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી રહેશે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાનો નીતનૂતન અનુભવ કરવો એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ ઊબી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક વિસ્મયતા જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?
કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે. ‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. એક વિદ્યાર્થી એ એક ચિત્ર દોર્યું હતું. એ વિદ્યાર્થીને ચિત્ર થોડું બરાબર નહોતું લાગતું. એણે તે ચિત્ર પોતાના વર્ગશિક્ષકને બતાવ્યું. શિક્ષકે તે ચિત્રમાં બ્રશથી એક નાનકડો લસરકો માર્યો અને ચિત્ર ક્ષણાર્ધમાં અતિસુંદર બની ગયું ! વિદ્યાર્થીને હવે ખરેખર એ ચિત્ર જીવંત લાગ્યું. આથી તેણે શિક્ષકને પૂછ્યું : ‘સર, આપે તો ફક્ત એક સહેજ લસરકો જ માર્યો છે છતાં ચિત્ર આટલું સરસ કેવી રીતે બની ગયું ?’ શિક્ષકે જવાબ આપ્યો કે : ‘બેટા, એક લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા જન્મે છે.’
ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને તાણમુક્ત રાખે છે. સદાય આનંદમાં રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના વૈવિધ્યસભર આનંદને માણવાનો. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતરિત થાય છે એ પછી તેની પાછળ કામ અને દામ બેઉ દોડતા આવે છે. એ સમય ‘વેસ્ટ’ નથી થતો પરંતુ ‘ઈનવેસ્ટ’ થાય છે.
વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુર્ગે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે તો આપણે સાચા અર્થમાં કલાકાર બનવું પડશે.
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.