Saturday, February 22, 2014

લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ !…નાનાસાહેબ ઈન્ગળે

આઝાદી પહેલાં આપણો દેશ ખેતીપ્રધાન હતો અને નાનાં–નાનાં ગામડાંઓની સંખ્યા 80 ટકાથી વધુ હતી. લોકોમાં અન્ધશ્રદ્ધા હતી; પણ સાથે સાથે ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના હોવાથી લગ્નો પણ વસન્તપંચમી કે અખાત્રીજ પર વીશેષ થતાં. જાન એક ગામથી બીજે ગામ જતી ત્યારે ગામના સૌ નાનામોટા ફળીયાવાસીઓ જાનૈયાની આગતા–સ્વાગતા કરતા. તે જમાનામાં અઠવાડીયાં પહેલાં રાત્રે લગ્નનાં ગીતો ગવાતાં, તોરણો બન્ધાતાં. મહેમાનો માટે ઘેરઘેર ખાટલા–ઢોલીયા પથરાતા. સવારે દાતણ–પાણી, ચા–નાસ્તો વગેરે આડોશપડોશના અને ફળીયાના લોકો જ, આપસનાં વેરઝેર ભુલીને ‘ગામની દીકરી’ની ભાવનાથી બધો ભાર ઉપાડી લેતા હતા. બહારગામથી જાન આવે તો વરરાજાની ઓળખાણ પણ ‘ગામના જમાઈ’ તરીકે કરાવતા. તે જમાનામાં અનાજ એટલું બધું પાકતું કે આખા ગામને જમાડવાનો રીવાજ હતો. જેમાં જમીનદારથી માંડીને ખેતમજુરને પણ આગ્રહ કરીને જમાડવામાં આવતા. હવે જ્યારે ગામમાં વરઘોડો નીકળતો ત્યારે ગામની તથા ઘરની મહીલાઓ અક્ષત ચોખા, જુવાર અને બીજાં ધાન્યો મુઠ્ઠીમાં લઈને ગીતો ગાતીગાતી વરરાજાની પાછળ ‘રમણદીવા’ સાથે રાખી, વરરાજા પર નાંખતી. એની પાછળનો હેતુ ઘણો ઉમદા હતો. ગામડાંમાં ધુળમાટીના રસ્તા હતા અને આજુબાજુ ખેતરોને લીધે ફળીયામાં, પાદરમાં અને વાડામાં વૃક્ષો ઘણાં હતાં. તેના પર પક્ષીઓ માળા બાંધતાં. એ પક્ષીઓ સવારે જ્યારે આ દાણા ખાતા તેથી એમનું પેટ ભરાતું અને ખેતરના પાકને નુકસાન ઓછું કરતા. એટલું જ નહીં પણ ગામનો ગરીબવર્ગ મરઘાં–બકરાં પાળતો. તેમને પણ દાણા ખાવા મળતા હતા. એટલે એમાં ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના પણ હતી. હવે જમાનો બદલાયો છે. લોકોમાં પ્રેમ લાગણીને બદલે મારા–તારાની સ્વાર્થવૃત્તી પેસી ગઈ. નાનાં ગામડાંઓમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીન ધીરેધીરે નાશ પામતી રહી અને આપણો દેશ ખેતીપ્રધાન મટીને ઉદ્યોગપ્રધાન બની રહ્યો છે.
હવે લગ્નોમાં બુફે ડીનરે જમણવારનું સ્થાન લીધું છે. અનાજનો જેટલો બગાડ વરકન્યા પર અક્ષત નાંખવાનો થતો હતો, એનાથી દસ ગણો બગાડ બુફે ડીનરમાં થાય છે. કારણ કે ઘણાં મા–બાપો પોતાનાં બાળકોને પણ ડીશ ભરીને બધું જ ખાવાનું આપે છે. અને જમણવાર પણ કોન્ટ્રાકટ પદ્ધતીથી થતો હોવાથી કોઈ પણ જાતની રોકટોક થતી નથી. હવે તો અક્ષત એવા ચોખાને પણ કૅમીકલવાળા રંગથી રંગીન તથા સોનેરી રુપેરી બનાવવાથી એનો સાચા અર્થમાં બગાડ જ થાય છે. માટે હવે અક્ષત ચોખાનો થતો બગાડ અટકવો જરુરી છે. અક્ષતનો અર્થ થાય છે ક્ષતી વગરનું ‘અખંડીત’. તેથી વરકન્યાનું જીવન પણ આજીવન અખંડ રહે તેવી ભાવના તેમાં હોય. તેથી કન્યાને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવતા.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.