Sunday, November 4, 2012

સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય (ભાગ 1)[વરપ્રતિજ્ઞા]


સપ્તપદીના સાત મંત્ર વરની પ્રતિજ્ઞાના છે અને સાત મંત્ર કન્યાની પ્રતિજ્ઞાના છે આજે વરપ્રતિજ્ઞાના સાત મંત્ર  વિગતે જોઈએ.

[1] ૐ એકમિષે વિષ્ણુસ્ત્વાનયતુ ||
હે વધૂ, સર્વ પુરુષાર્થના સાધનભૂત એવા આ મુખ્ય ભૂલોકમાં સઘળાં સૌભાગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એ માટે તથા મારા ઘરમાં અન્ન, વસ્ત્ર, દ્રવ્ય વગેરે વસ્તુની સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા. મિષે એટલે ઈચ્છિત કામના, વિષ્ણુ એટલે સાત શક્તિ માંહેની એક પુરુષ શક્તિ. ત્વામ્ નયતુ એટલે તને મળે. મારા પુરુષાર્થથી તારી ઈચ્છિત કામના પૂર્ણ થાય.
[2] ૐ દ્વે ઉર્જે વિષ્ણુસ્ત્વાનયતુ ||
ઊર્જા એટલે બળ, શક્તિ. હે વધૂ, પૃથ્વી પર તું બળવતી, શક્તિમાન બની રહે એ માટે તને પરમાત્મા મદદરૂપ થાઓ, કારણ કે તારા બળથી, તારી શક્તિથી જ મારી શક્તિમાં વધારો થશે.
[3] ૐ ત્રિણી રાયસ્પોષાય વિષ્ણુસ્ત્વાનયતુ ||
ત્રણેય લોક – આકાશ, પાતાળ અને સ્વર્ગમાં મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા.
[4] ૐ ચત્વારિ માયોભવાય વિષ્ણુસ્ત્વાનયતુ ||
ચારેય લોક (ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક અને મહર્લોક) માં મારા સુખની પ્રાપ્તિ માટે મારા ઘરની તું અધિકારિણી થા.
[5] ૐ પંચ પશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ||
તું પાંચેય લોક (ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક) માં પશુમાત્રની સંભાળ રાખવામાં મારી મદદગાર બન.
[6] ૐ ષડ્ ઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ||
તું ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક અને તપોલોકના સ્થાનમાં અને છએ ઋતુઓમાં મારી સાથે ઉત્તમ સુખ ભોગવનારી થા.
[7] ૐ સખે સપ્તપદા ભવ સા મામનુવ્રતા ભવ ||
તું ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક અને સત્યલોકના સુખોની પ્રાપ્તિ માટે મામનુવ્રતા એટલે કે મને અનુસરનારી બનો.
આ પ્રમાણે વર સાત પગલાં ઉત્તર તરફ ચાલીને બોલે છે.
.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.