Wednesday, November 28, 2012

સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા ભાગ 1

[દુનિયામાં વહેમો અને માન્યતાઓનો પાર નથી. (એ જેટલા નવા બનાવવા હોય એટલા બનાવી શકાય. જેમ કે આ વેબસાઈટ પાંચ વખત ‘રિફ્રેશ’ કરવાથી ઝડપથી ખૂલે છે !!) આ પ્રકારના અર્થ વિનાના વહેમ અને માન્યતાઓનું પોસ્ટમોર્ટમ કરી તેની પાછળનો સાંપ્રત દષ્ટિકોણ સમજાવતા ડૉ. આઈ. કે. વીજળીવાળાના પુસ્તક ‘સાચું શું અને ખોટું શું ?’માંથી કેટલાક વહેમોની વાતો અહીં સાભાર લેવામાં આવી છે. વિશેષરૂપે આ પુસ્તક તેમણે ‘સ્ત્રી કેળવણી મંડળ’ માટે તૈયાર કર્યું છે..]



[1] બાળકના જન્મ પછી માતાએ કાને બાંધી રાખવું જોઈએ, નહીંતર પવન ઘૂસી જાય
આ સાવ વાહિયાત વાત છે. આ તો પગમાં પથ્થર વાગે અને કાનનો પડદો તૂટી જાય એવો ઘાટ થયો કહેવાય. પ્રસૂતિ કે બાળજન્મની પ્રક્રિયામાં ક્યાંય પણ માતાના કાનની રચનામાં જરાપણ ફેરફાર થતો નથી. અને મધ્યકર્ણમાં તો આમેય હવા હોય જ છે, એટલે બહારની હવા ઘૂસી જવાની વાત જ સાવ ફાલતુ છે. પરંતુ આ માન્યતાના કારણે ધોમધખતા ઉનાળામાં કે અસહ્ય ગરમી તેમજ બફારાભર્યાં વાતાવરણમાં પણ પ્રસૂતાઓને સાસુમાઓ પરાણે કાન પર બંધાવતી હોય છે. પરદેશમાં આટલી ઠંડી પડે છે તો પણ ડિલિવરી પછી કાન પર કપડું બાંધવાની પ્રથા ત્યાં નથી. (કદાચ સાસુમાઓ નહીં હોય એટલે ?!) એટલે, આ રીતે કપડું બાંધવાથી કોઈ જ ફાયદો થતો નથી. હા, નુકશાન જરૂર થઈ શકે. એના લીધે માતાને ગરમીને કારણે થતાં ચામડીના રોગોનું પ્રમાણ કે અળાઈઓ આનાથી જરૂર વધી શકે !

[2] નાના બાળકને ગ્રાઈપવોટર આપવું જ જોઈએ
ગ્રાઈપવોટર અંગેની જાહેરખબરોનો મારો ટીવી પર એટલો ચાલે છે કે લગભગ દરેક માતાપિતાને એ આપવાની ઈચ્છા થઈ જ આવે. પરંતુ છેલ્લા વરસોથી આપણાં સમાજમાં વપરાતા 70 ટકાથી પણ વધારે ગ્રાઈપવોટર બ્રાન્ડ્સની સફળતાનું રહસ્ય છે એમાં રહેલો દારૂ (આલ્કોહૉલ) ! 27 બ્રાન્ડના ગ્રાઈપવોટરમાંથી 18 બ્રાન્ડની બાટલી પર લખેલું આવે છે કે દારૂનું પ્રમાણ 5 ટકા ! હવે આ પ્રમાણ અને બીયરમાં રહેલા દારૂનું પ્રમાણ સરખું જ છે. બીયરમાં પણ દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા ! હવે નીચેનું વિશ્લેષણ વાંચો :

બીયર (દારૂયુક્ત પીણું) તેમજ ગ્રાઈપવોટરમાં દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા. ચાર કિલો સુધીનું વજન ધરાવતા બાળકનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 280 થી 300 મિલિલીટર. પુખ્ત વયના પ્રમાણનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 5000 મિલિ લીટર (5 લીટર). બેથી ત્રણ ચમચી ગ્રાઈપવોટર આટલા વજનના બાળકને અપાય તો એના લોહીમાં દારૂનું પ્રમાણ થઈ જાય લગભગ 2 ટકા. હવે આટલું જ દારૂનું પ્રમાણ કરવા માટે પુખ્તવયના માણસે 250 મિલી લીટર બીયર પીવો પડે. એટલે એનો અર્થ એવો જ થાય કે રોજ બે કે ત્રણ ચમચી ગ્રાઈપવોટર પીતું બાળક અડધો બાટલો બીયર જેટલો દારૂ પી જાય છે !! હવે આટલો બધો દારૂ રોજ પી જતું બાળક રડવાનું ભૂલીને રમવા ન માંડે તો બીજું શું કરે ? (આટલો બીયર પીને તો મોટા લોકો પણ રમવા માંડે છે !) અને માબાપ પણ આટલા ખુશખુશાલ થઈ જતા બાળકને જોઈને પેઢી દર પેઢી આ ઉપાય અજમાવે જ ને ? પરંતુ આટલો દારૂ નુકશાનકર્તા તો છે જ. એટલે ગ્રાઈપવોટર ન આપવું જોઈએ. હા, દારૂ વગરનાં ગ્રાઈપવોટર કે સુવાના પાણીને સલામત જરૂર ગણી શકાય, પરંતુ આવી બધી ઘરગથ્થુ પ્રથાઓને તિલાંજલિ આપવી એ જ બાળકના હિતમાં હોય એવું નથી લાગતું ?

[3] શરદીવાળા બાળકને કેળાં ન અપાય !
કેમ ભાઈ ! શરદી વખતે કેળાં કેમ ન આપી શકાય ? આપી જ શકાય વળી, એનાથી શરદી વધવાની જરાય શક્યતા નથી. માંદા બાળક માટે કેળા જેવું સુપાચ્ય અને શક્તિથી ભરપૂર ફળ બીજું એકેય નથી. આપણે અહીં સફરજન ઉગતા હોવાને કારણે આપણને સફરજનનો વધારે મોહ રહે છે અને કેળા આંગણાનું ફળ હોવાથી એની કંઈ કિંમત નથી. હકીકતમાં કેળા વધારે સારું ફળ છે ! કંઈ પણ ન ખાતાં બાળકને કેળા આપવાથી એને જોઈતી શક્તિ મળી રહે છે અને એ જલદી સારું થાય છે.

[4] બે જણનાં માથા ભટકાય તો તરત જ થૂંકી નાખવું, નહીંતર મા મરી જાય !
બે જણનાં માથા ભટકાય એમાં એમના ઘરે બેઠેલી માતા શું કામ મરી જાય, એ ગળે ઊતરવું અઘરું છે ! પરંતુ આજના દિવસે પણ લગભગ દરેક વિદ્યાર્થીને આ માન્યતા ખબર હશે અને એ લોકો એનું બરાબર પાલન કરતા જ હશે ! હવે આવો વહેમ કેમ ઉદ્દભવ્યો હશે એ જોઈએ. બે જણના માથા જોરથી ભટકાય તો ઘણા લોકોને નાકના અંદરના ભાગમાં કે મગજની નીચે રહેલા હાડકાઓમાં ઈજા પહોંચી શકે. આ વખતે થોડોક રક્તસ્ત્રાવ ગળામાં થઈ શકે. જો નાકમાંથી લોહી નીકળે તો બહાર દેખાવાનું જ છે, પરંતુ ગળામાં થતો રક્તસ્ત્રાવ જો વ્યક્તિ બહાર થૂંકે તો જ ખબર પડે ! આ સામાન્ય તર્કનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હશે. જો વ્યક્તિ માથું ભટકાયા પછી થૂંકે અને લોહી દેખાય તો જલદી સારવાર થઈ શકે !

[5] પુરુષની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તો લાભ થાય
કોઈપણ અંગ ફરકવું એ એના સ્નાયુમાં થતાં વારંવારના ઝડપી સંકોચન-વિકોચનના કારણે હોય છે. આંખનું પણ એવું જ. આંખ થાકી હોય, ઊંઘનો અભાવ હોય કે પછી બીજા એકાદ બે મગજનાં કારણો હોય તો આંખના સ્નાયુઓ આવો ફેરફાર અનુભવે છે. એને લાભ કે હાનિ સાથે જોડી દેવાનો કોઈનો તુક્કો ચાલી ગયો છે. બાકી, હકીકતમાં એવું કંઈ હોતું નથી ! (ઘણી વખત ચેતાકેન્દ્રોમાંથી આવતા વધુ પડતા ઈલેક્ટ્રીક કરંટના કારણે તેમજ ચેતા કેન્દ્રોના રોગોના કારણે પણ આવું થઈ શકે છે.)

[6] મુસાફરીએ કે સારા કામે જનાર વ્યક્તિ જો ઘરમાંથી નીકળતા જ પડી જાય કે એનું સંતુલન જાય તો એ દિવસે બહાર જવાનું મુલતવી રાખવું. (એ અપશુકન થયેલા ગણવાં)
આપણા વડવાઓની બુદ્ધિ માટે ખરેખર માન થઈ આવે એવો આ વહેમ છે. પહેલાના જમાનામાં મુસાફરીએ જતા લોકો દિવસોના દિવસો જંગલમાંથી કે અંતરિયાળ રસ્તા પરથી પસાર થતા. જો રસ્તામાં ક્યાંય તબિયત બગડે તો માઈલોના માઈલો સુધી સારવાર પણ ન મળે તેવું બનતું. એટલે ઘરથી બહાર નીકળતી વ્યક્તિ જો પડી જાય તો એને એકાદ દિવસ ખમી જવાનું કહેવાતું. એટલે એને કંઈક શારીરિક તકલીફ હોય તો ઘરે જ સારવાર થઈ શકે. અને આમેય જેમાં સંતુલન ખોરવાઈ જાય એવો રોગ એકાદ દિવસમાં તો પોત પ્રકાશે જ ! એટલે કદાચ આવો વહેમ અસ્તિત્વમાં આવ્યો હશે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.