Thursday, November 8, 2012

પ્રેમ હાસ્યકોશ (ભાગ 2) – સં. પી. પ્રકાશ વેગડ

 [ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે ‘એપિગ્રેમ્સ’. એપિગ્રેમ એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ. ‘પ્રેમ’ તત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં ‘પ્રેમ હાસ્યકોશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક બીજા ભાગમાં સાભાર માણીએ. ]

11] ઈશ્કની ઠેકડી ઉડાવતાં અકબર ઈલાહાબાદીએ કહ્યું છે :
‘ઈશ્ક નાજુક મિજાજ હૈ બેહદ;
અકલ કા બોઝ ઊઠા નહીં સકતા.’
(પ્રેમ અત્યંત કોમળ પ્રકૃતિ ધરાવે છે. એ અક્કલનો ભાર ઉપાડી શકતો નથી.)
(અકબર ઈલાહાબાદી – ઉર્દૂ શાયર, 1846-1947)


[12] ઈશુ ખ્રિસ્તે સ્પષ્ટપણે કહ્યું છે : ‘તમે પરમાત્માને શોધવામાં સમય ન બગાડો. એ રસ્તો અટપટો અને ભુલભુલામણીવાળો છે. તમે ફક્ત એટલું જ કરો કે, તમારા હૃદયમાં લોહચુંબક જેવો પ્રેમ પેદા કરો. ઈશ્વર એનાથી ખેંચાઈને સ્વયં તમારી પાસે આવશે. આ રીતે પરિશુદ્ધ થયેલો પ્રેમ પોતે જ પરમાત્માનું પ્રગટ રૂપ બની જાય છે.’ (બાઈબલ : નવો કરાર)

[13] ઠંડી ચા અને ઠંડો ભાત સહન થઈ શકે, પણ ઠંડા શબ્દો અને ઠંડી નજર કદી નહિ. (જાપાની કહેવત)

[14] તમારી ઉંમર તમને પ્રેમથી બચાવી શકતી નથી, પણ તમારો પ્રેમ તમને ઉંમરથી જરૂર બચાવી શકે છે. (એરિક ફ્રોમ – જર્મન સમાજ-ચિંતક અને મનોવિશ્લેષક, 1900-80)

[15] હૃદયને મંત્રમુગ્ધ કરનાર શાણપણ એટલે કવિતા; મનમાં ગુંજતું કાવ્ય એટલે શાણપણ. માનવીના હૈયાંને મંત્રમુગ્ધ કરવાની સાથોસાથ તેના મનમાં ગીત ગાઈએ, તો સાચે જ તેને એવી અનુભૂતિ થશે કે પોતે ઈશ્વરની છાયામાં જીવી રહ્યો છે. (ખલિલ જિબ્રાન – લેબેનીઝ ચિંતક અને કવિ, 1833-61)

[16] એક કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. એણે આજુબાજુનો બધો વિસ્તાર ખૂંદી નાખ્યો. પણ ગધેડો ક્યાંયે કળાયો નહિ. પરેશાન કુંભાર ગામના પાદરે પહોંચ્યો અને વડના ઝાડ પર ચડીને ચારેબાજુ નજર દોડાવવા લાગ્યો. એટલી વારમાં બાઈક પર સવાર એક પ્રેમીયુગલ ત્યાં આવી પહોંચ્યું. અને વડવાઈઓની ઓથ લઈને પ્રેમચેષ્ટાઓ કરવા લાગ્યું : ‘તારી આંખોમાં મને આખો સંસાર દેખાય છે.’ યુવતીએ કહ્યું.
ત્યાં તો વૃક્ષ ઉપર બેઠેલો કુંભાર બૂમ પાડીને બોલ્યો : ‘બૂન, ઈમની આંખોમાં તમે મારો ગધેડો ભાળ્યો કે ?’


[17] એક સ્ત્રીને 20 વર્ષ લાગે છે પોતાના બાળકને પુરુષ બનાવતાં, પણ બીજી સ્ત્રી 20 મિનિટમાં જ એને મૂરખ બનાવી દે છે ! (રૉબર્ટ ફ્રૉસ્ટ – અમેરિકન કવિ, 1875-1963)

[18] સમગ્ર જીવન એક વૈશ્વિક મજાક છે. જીવન ક્યારેય ગંભીર નથી રહ્યું. જીવનને તમે ગંભીરતાથી લેખશો તો જીવનનું માધુર્ય ગુમાવશો. જીવનને મુક્ત હાસ્ય વડે જ વધુ સારી રીતે સમજી શકાય છે. (ઓશો – આચાર્ય રજનીશજી, ભારતીય ધર્મપુરુષ, 1931-90)

[19] માણસ સિવાયના બધા પશુઓ જાણે છે કે જીવનની મુખ્ય પ્રવૃત્તિ જીવન માણવાની છે. (સેમ્યુઅલ બટલર ધ યંગર – અંગ્રેજ ચિંતક, 1835-1902)

[20] બાળકો જૂઠું બોલે તો એ ભૂલ ગણાય છે, પ્રેમીઓ માટે એ કળા છે, અપરિણીતો માટે સિદ્ધિ અને પરિણીત સ્ત્રીઓના સ્વભાવનું એક પાસું ! (હેલન રૉલૅન્ડ – અમેરિકન નિબંધકાર, 1875-1950)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.