Monday, November 12, 2012

આપણું રાષ્ટ્રપતિભવન (નૉલેજ-ગાર્ડન – હેમેન ભટ્ટ)

[ ‘ફૂલછાબ’ અખબારમાં પ્રકાશિત થતી જ્ઞાનસભર કટાર ‘નૉલેજ-ગાર્ડન’ હવે એ જ નામે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે.તેમાંથી સાભાર  ]

રિલાયન્સના સર્વેસર્વા એવા અંબાણીબંધુઓ પૈકી મોટા ભાઈ મૂકેશ અંબાણીએ દુનિયાનું સૌથી મોંઘું રૂ. 4500 કરોડનું ઘર ‘એન્ટિલા’ બનાવ્યું. હવે તેના નાના ભાઈ અનિલ અંબાણી ‘મોટા’થીયે મોટું એવું ઘર બનાવી રહ્યા છે. આ મોટાં અને મોંઘાં ઘરો અત્યારે ચર્ચામાં છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાના તમામ રાષ્ટ્રપ્રમુખોનાં ઘર કરતાં સૌથી મોટું ઘર આપણા ભારતના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિભવન છે.

નવી દિલ્હીમાં રાજપથની પશ્ચિમ બાજુ સ્થિત આ રાષ્ટ્રપતિભવનનો બીજો છેડો ઈન્ડિયા ગેટ પર છે. આ રાષ્ટ્રપતિભવનની ડિઝાઈન બ્રિટિશ વાસ્તુકાર એડવીન લૈંડસીર લ્યૂટિયને કરી હતી. આ આકર્ષક ભવન બ્રિટિશ વાઈસરૉયનું પૂર્વ નિવાસ હતું. આ મહેલસમા ભવનમાં પાંચ-પચ્ચીસ નહીં, પણ પૂરા 340 ઓરડાઓ છે. અમેરિકાના રાષ્ટ્રપતિભવન ‘વ્હાઈટ હાઉસ’માં તો માત્ર 132 ઓરડા જ છે ! આપણે સૌ ભારતીયો ગૌરવ લઈ શકીએ એવા આ રાષ્ટ્રપતિભવનમાં વાઈસરૉય રહેતા હતા, ત્યાં ભારતના રાષ્ટ્રપતિ નથી રહેતા, પરંતુ અતિથિખંડમાં રહે છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને અહીંનો મુખ્ય શયનખંડ ભારે આડંબરપૂર્ણ લાગ્યો. જેને કારણે તેમણે અતિથિખંડમાં રહેવાનું ઉચિત સમજ્યું. તેમના પછી દરેક રાષ્ટ્રપતિઓએ આ પરંપરા નિભાવી છે.

ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી લાવવાનો 12-12-1911માં નિર્ણય કર્યા બાદ બ્રિટિશ વાઈસરૉયે દિલ્હીમાં આ આવાસ નિર્માણ કરવાનું નક્કી કર્યું. આ ભવનનું ભારતમાં બ્રિટિશ રાજના સ્થાયિત્વની પુષ્ટિ કરવા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવન અને તેના આસપાસના વિસ્તારને ‘પથ્થરના પ્રાસાદ’ રૂપે તૈયાર કરવામાં આવ્યું હતું. ‘પથ્થરના પ્રાસાદ’ અને અહીંના વિશાળ દરબારને 26 જાન્યુઆરી, 1950ના દિવસે સ્થાયી લોકતંત્રના સંસ્થાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યો, જ્યારે ડૉ. રાજેન્દ્રપ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને ભારતના સંવિધાનને સંરક્ષિત, સુરક્ષિત અને તેના રક્ષણ માટે અહીં નિવાસ કર્યો. આ જ દિવસે આ ભવનનું નામ ‘રાષ્ટ્રપતિભવન’ રાખવામાં આવ્યું. એ પહેલાં તે ‘વાઈસરૉય હાઉસ’ તરીકે ઓળખાતું હતું. રાષ્ટ્રપતિભવનના નિર્માણનો આરંભ 1912માં કરવામાં આવ્યો, ત્યારે 4 વર્ષમાં આ ભવનનું કામ પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ તે પૂરું થતાં 17 વર્ષ થયાં. 1929માં આ ભવન તૈયાર થઈ ગયું.



આ શાનદાર ભવન 4 માળનું છે. તેમાં 340 રૂમ છે. અહીં બે લાખ વર્ગફૂટનું સપાટ ક્ષેત્ર છે. આ ભવન બનાવવા માટે 70 મિલિયન (72 હજાર લાખ) ઈંટો તથા 30 લાખ ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ થયો હતો. આ ભવનમાં કદાચ જ ક્યાંક લોખંડનો ઉપયોગ થયો હશે ! આ ભવન બે રંગોના પથ્થરોમાંથી બનાવાયું છે. તેમાં મુગલ અને કલાસિકલ યુરોપીય શૈલીની વાસ્તુકલા ઝળકે છે. રાષ્ટ્રપતિભવનનું સૌથી મહત્વનું આકર્ષણ તેનો ઘુમ્મટ છે. જે સાંચીના મહાન સ્તૂપની પેટર્ન પર બનાવાયો છે. આ ઘુમ્મટ દૂરદૂરથી દેખાય છે, તે થાંભલાની લાંબી લાઈનો પર ઊભો છે. જે રાષ્ટ્રપતિભવનની ભવ્યતાને વધુ વધારી દે છે. રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલ, અશોક હૉલ, માધવ હૉલ, ઉત્તરી અતિથિ ખંડ, નાલંદા સૂટ એટલા બધા સજાવટવાળા છે કે તેને જોનારા બધા લોકો તેની સુંદરતા અને ભવ્યતામાં ખોવાઈ જાય છે. રાષ્ટ્રપતિભવનની અંદર એક શાનદાર મુગલગાર્ડન છે, તે લગભગ 13 એકરમાં પથરાયેલો છે. તે બ્રિટિશ ગાર્ડનની ડિઝાઈનની સાથોસાથ મુગલ શૈલીનું મિશ્રણ છે. મુખ્ય બગીચો મુગલગાર્ડનનો સૌથી મોટો હિસ્સો છે. જેને ‘પીસ ધ રજિસ્ટેન્સ’ કહેવાય છે. તે 200 મીટર લાંબો અને 175 મીટર પહોળો છે. તેના ઉત્તર અને દક્ષિણમાં ટેરિસ લોંગ ગાર્ડન છે. તેની પશ્ચિમમાં ટેનિસ કોર્ટ અને લોંગ ગાર્ડન છે. અહીં બે નહેરો ઉત્તરથી દક્ષિણ તેમજ બે નહેરો પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે ઉદ્યાનને ચાર ભાગમાં વહેંચે છે. અહીં કમળના આકારના કુલ છ ફુવારા આનટેરોના મિલનબિન્દુ પર બનેલા છે. આ ફુવારાની પાણીની ધારા 12 ફૂટની ઊંચાઈ સુધી જાય છે. અહીં નહેરો પણ પોતાની ધીમી ગતિથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે. નહેરોના કેન્દ્રમાં લાકડાની ટ્રે પર ચકલીઓ માટે ચણ નાખવામાં આવે છે. આ ઉદ્યાનમાં અનેક પ્રકારના સ્વદેશની અને વિશિષ્ટ પ્રકારનાં ફૂલો ખાસ કરીને વસંતઋતુમાં મન મોહી લે છે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિભવનમાં ટેનિસ કોર્ટ, પોલો ગ્રાઉન્ડ, ગોલ્ફકોર્સ અને ક્રિકેટનું મેદાન પણ છે. મુગલગાર્ડન દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જાહેર જનતા માટે ખોલવામાં આવે છે. અહીં સોમવાર સિવાય દરરોજ સવારે 9:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી દર્શકો આવી શકે છે. આ ઉદ્યાનમાં આવવા-જવાનો રસ્તો રાષ્ટ્રપતિ આવાસના ગેટ નં.35થી છે. જે ચર્ચ રોડના પશ્ચિમ છેડા પર નોર્થ એવન્યુ પાસે છે.

રાષ્ટ્રપતિના કાફલામાં મોંઘી મર્સિડીઝ કાર છે, તો રાજવી ઠાઠવાળી સવારી માટે ઘોડા અને બગીઓ પણ છે. અંગરક્ષક ટુકડીમાં 100 ઘોડા છે. અંગરક્ષકોના પોશાકને અનુરૂપ ઘોડાનો રંગ નક્કી થાય છે. તેની ઊંચાઈ ઓછામાં ઓછી 15 હાથ હોવી જોઈએ. ઘોડા માટે નકેલ, જીન, રકાબ અને ગળાના સિંગાર માટે નિશ્ચિત કોડ કામ કરે છે. રાષ્ટ્રપતિભવનની આર્ટ ગૅલેરીમાં 640 કિલોગ્રામ ચાંદીનું આકર્ષક સિંહાસન છે. દિલ્હી દરબારમાં ચાંદીના આ સિંહાસન પર કિંગ જ્યોર્જ વી. બેસતા હતા. મુગલગાર્ડનમાં દુનિયાભરના વિવિધ પ્રકારનાં ફૂલો છે. ગુલાબના 250 પ્રકાર ઉપરાંત મ્યુઝિકલ, હર્બલ, બાયોડિઝલ અને અધ્યાત્મ બગીચા ખાસ છે. ફળોનાં 600થી વધુ ઝાડ છે. રાષ્ટ્રપતિની અંગરક્ષક ટુકડીમાં 4 અધિકારી, 14 જુનિયર કમિશન્ડ અધિકારી અને 161 જવાનોની ટુકડી છે. જેના ડ્રેસ કોડમાં વાદળી-લાલ રંગની પાઘડી, લાલ કે સફેદ રંગનો કોટ અને નેપોલિયન બૂટ સામેલ છે. લશ્કર અને દિલ્હી પોલીસના બે હજાર જવાનો પણ સુરક્ષા માટે છે.
.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.