Tuesday, June 4, 2013

નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો- મોહમ્મદ માંકડ


હમણાં એક ફીલ્મ આવી ‘ઓ માય ગોડ !’ આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે.
આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને વળગી રહેવાને બદલે, નવાં જ્ઞાન માટે જગ્યા કરતાં રહેવું જોઈએ.
જે સંસ્કારોમાં આપણે જનમ્યા હોઈએ છીએ અને ઉછર્યા હોઈએ છીએ તે નકામા છે એમ જાણતા હોવા છતાં; આપણે તેને ત્યજી શકતા નથી. સદીઓ પહેલાં આપણા પુર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરુરી હશે; પરન્તુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરુરી નથી. વૃક્ષ જે રીતે જુનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતીના નીયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે.
દુનીયા બહુ ઝડપથી આગળ ધસી રહી છે. વીજ્ઞાન-ટૅક્નોલૉજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યાં છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચીત ન રહે એ માટે એમને વૈજ્ઞાનીક અભીગમ કેળવતાં શીખવવું જોઈએ.
વીજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનીક આધાર વીનાનાં મનઘડંત સત્યોને સાબીત કરવા માટે નથી. મોટા ભાગના માણસો વીજ્ઞાન દ્વારા કશું નવું શીખવાને બદલે, પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જુની રુઢીઓ એમના મનમાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટી આપવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે.
નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શકતા નથી. બાળક જ્યારે પહેલી વાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને તે પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે ? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે ? પછી શું હશે ? એની સમજમાં કોઈ રીતે એ વાત ઉતરતી નથી.
એવું જ જ્ઞાન અને વીજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે; પરન્તુ સાચી વાત એના શુદ્ધ સ્વરુપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઈનકાર કરવાથી એનું અસ્તીત્વ મટી જતું નથી.
ગેલીલીયોએ પોતાની કીમતી જીન્દગી ખરચી નાખીને અનેક સંશોધનો કરીને અનેક વખત ખાતરીઓ કર્યાં પછી જ્યારે જાહેર કર્યું કે, સુર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઉઠ્યા. સુર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે ?
ગેલીલીયોએ ઘણા માણસોને સુર્યમાં રહેલા ડાઘ બતાવ્યા; છતાં લોકો એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. સુર્ય દેવમાં ડાઘ હોઈ શકે જ નહીં; દુરબીન ખોટું. ગેલીલીયોને એમણે ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધમાં વાત કરવા બદલ જેલમાં પુરી દીધો. લોકોને ગેરરસ્તે દોરવા બદલ અને જુઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલીલીયો શરુઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો; પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડ્યો અને છેવટે એણે કબુલ કરી લીધું કે, સુર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલું છે અને એ બદલ પોતે માફી માગે છે.
જગતના મોટા ભાગના સંશોધકોની બાબતમાં આવું જ બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, તો કેટલાકની કતલ પણ કરી નાખવામાં આવી છે. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ, આપણે આજે તો કલ્પી પણ ન શકીએ એવાં એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યાં હતાં. અને આવી યાતનાઓ આપનારા એમના સમયના મોટા પંડીતો અને વીદ્વાનો જ હતા. એવા પંડીતો કે જેમનાં મગજ જુની વાતોથી ભરાયેલાં હતાં. નવાં જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.
અહીં એક જાપાનીઝ ઝેન સાધુની નાનકડી વાત યાદ આવી જાય છે. એક વાર ઝેન ગુરુ નાન-ઈન પાસે એક વીદ્વાન પ્રૉફેસર આવ્યા. ઝેન ગુરુ તો શાંત અને સ્વસ્થ ચીત્તે પોતાનામાં લીન હતા.
પ્રૉફેસરે કહ્યું, “ગુરુ, મને ઝેન વીશે જ્ઞાન આપો.”
નાન-ઈને કહ્યું, “ચાલો, પહેલાં આપણે થોડી ચા પીએ.”
બન્ને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઈને કપમાં ચા રેડવાનું શરુ કર્યું. કપ ભરાઈ ગયો; છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું.
એ જોઇને પ્રૉફેસરથી એકદમ બોલી જવાયું, “અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો એમાંથી ઉભરાઈને બહાર ઢોળાય છે.”
“હું પણ એ જ કહું છું,” ઝેન સાધુએ કહ્યું, “જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે ?”
જે પોતાની જાતને વીદ્વાન માને છે એનું મગજરુપી પાત્ર હમ્મેશાં છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અને જે જુનું હોય છે એ વાસી થઈ ગયેલું હોય છે. હમ્મેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઈએ.
અગાઉ રાજા મહારાજાઓ માત્ર એક જ વસ્ત્ર પહેરતા. ઉપરનું શરીર ઉઘાડું રાખતા. હાથ ઉપર બાજુબંધ અને કડાં પહેરતા. શરીરે ઘરેણાંનો ઠઠારો કરતા. આજે એવું વસ્ત્ર પરીધાન કોઈ કરતું નથી-માત્ર ટીવી સીરીયલો કે નાટક, ફીલ્મમાં જ એ જોવા મળે છે. એવો પહેરવેશ પહેરીને આજે કોઈ પોતાના વેપાર-ધંધાના સ્થળે કે સરકારી કચેરીઓમાં જતું નથી અને જાય તો ?
એક વખત જે પ્રતીષ્ઠા આપનારી વસ્તુ હોય છે એ જ વસ્તુ વખત જતાં કેટલીક વાર હાસ્યાસ્પદ પણ બની જતી હોય છે. એટલે જુની માન્યતાઓ, રુઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાને બદલે એને તજી દેતાં શીખવું જોઇએ.
કેટલાક એવા વીદ્વાનો પણ હોય છે જે માહીતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે નવાં જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખે છે અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબીત કરવા માટે એક દલીલ તરીકે જ કરે છે. આવા માણસોને વીજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં; એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી. બહુ ઓછા માણસો આધુનીક જ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વીકાર કરતા હોય છે.
ફીલ બોસ્મન્સનું એક પુસ્તક છે - Give happiness a chance - સુખને એક અવસર તો આપો. સત્યને પામવા માટે, હું અહીં વીજ્ઞાનને એક અવસર આપવાની વાત કરું છું. સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હમ્મેશાં ખુલ્લાં રાખજો. સત્યનો સ્વીકાર કરનારને હમ્મેશાં ફાયદો થાય છે. માનવજાતે જે કાંઈ પ્રગતી કરી છે એ વીજ્ઞાન અને સત્યને આભારી છે.
બાકી તો, સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે. આપણે જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણાં દીલમાં દીવો થઈ શકે છે. અને જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે અંધારામાં અથડાતા રહીએ છીએ. જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે, એ આપણી ઓશીયાળી નથી. જે એમાં ડુબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે જે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.
અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વીજ્ઞાનની માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક વ્યક્તી આજે જે સાબીત કરે છે તે વાત કાલે ખોટી પડી શકે છે. આપણે ધીરજપુર્વક સત્યનો સ્વીકાર કરવો જોઈએ; આંખો બંધ ન કરી દેવી જોઈએ. આ જગતને બાળકના કુતુહલથી જોતાં શીખવું જોઈએ.

અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                             
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.