Tuesday, January 15, 2013

ધર્મ સાથે જીવનના છુટાછેડા–ગુણવંત શાહ

જલાલુદ્દીન રુમીએ એક સુફી વાર્તા કહી હતી. એક વાર ભલો ઈબ્રાહીમ ગાદી પર બેઠો હતો. અચાનક એને કાને વીચીત્ર અવાજ સંભળાયો. એના મહેલના છાપરા પરથી જે અવાજ સંભળાયો એમાં ડચકારા, ઝુંટાઝુંટ અને ચડસાચડસીનો આભાસ થતો હતો.
ઈબ્રાહીમે બારીની બહાર ડોકું કાઢીને મોટા અવાજે બુમ મારી: ‘અરે! કોણ છે ત્યાં ? આ ઘોંઘાટ શેનો છે ?’ ચોકીદારો તો મુંઝવણમાં પડી ગયા ! એમણે કહ્યું:
‘જહાંપનાહ ! એ તો અમે મહેલના છાપરા પર ચોકી કરવા આંટા મારીએ છીએ’.
ઈબ્રાહીમને આશ્ચર્ય થયું ! એણે પુછયું:
‘ત્યાં તમે કોને પકડવા માગો છો ?’
ચોકીદારોએ વીનયપુર્વક કહ્યું: ‘જહાંપનાહ ! આપણાં ઉંટ ક્યાંક ખોવાઈ ગયાં છે અને અમે તેને ખોળી રહ્યા છીએ.’
ઈબ્રાહીમ કહે: ‘અરે ! શું ઉંટ છાપરા પર ચડી જાય એ શક્ય છે ?’
ચોકીદારોએ કહ્યું: ‘જહાંપનાહ ! અમે તો આપનું જ અનુકરણ કરી રહ્યા છીએ. આપ જો રાજગાદી પર બેસીને અલ્લાહની શોધ કરી શકો છો તો અમે છાપરા પર ઉંટ શોધીએ એમાં શી નવાઈ ?’
ભલો ઈબ્રાહીમ વીચારમાં પડી ગયો !
હીન્દુઓ ભગવદ્ ગીતા વાંચે છે. મુસલમાનો કુરાન વાંચે છે. ખ્રીસ્તીઓ બાઈબલ વાંચે છે. બૌદ્ધો ધમ્મપદ વાંચે છે. જૈનો સમણસુત્તં વાચે છે. એવું તે શું છે કે જે કશુંક વંચાય એની અસર જીવનનના વ્યવહાર પર પડતી નથી ? ક્યારેક તો ધર્મગ્રંથોનું વાચન માણસમાં ધાર્મીક હોવાનું મીથ્યાભીમાન જગાડનારું બની રહે છે. ગીતા વાંચનારાનું જીવન કોરું રહી જાય છે. કુરાન મોઢે હોય તોય જીવનમાં ઝનુનની બોલબાલા ! ધર્મ સાથે જીવનના કેવા છુટાછેડા !
વર્ષો પહેલાં બનેલો એક સાચો પ્રસંગ યાદ આવે છે. મારા ઘરથી થોડાક અન્તરે ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (જીઈબી)ની હાઉસીંગ કૉલોની છે. એક સાંજે હું ઘરના હીંચકે બેઠો હતો અને એક યુવાન એન્જીનીયર મળવા માટે આવી પહોંચ્યો. એ મારો વાચક હશે એથી અત્યન્ત વીનયપુર્વક એણે પ્રશ્ન પુછયો: ‘સર ! હું કૃષ્ણભક્ત છું અને તમને પણ વાંચું છું. મારે જીવનમાં કૃષ્ણમય બનવા માટે શું કરવું જોઈએ ?’ આવો વજનદાર પ્રશ્ન સાંભળીને હું ઝટ કશુંય બોલી ન શક્યો.
કદાચ ત્યારે મારો મુડ સાવ જુદો હતો. મેં એ યુવાનને કહ્યું: ‘ગીતા વાંચવાનું બન્ધ કરી દેવું જોઈએ.’ મારી આ વાત સાંભળીને એ યુવાન ભારે નીરાશ થયો. એણે કહ્યું: ‘સર ! હું તમારી  પાસે બહુ ઉંચી અપેક્ષા સાથે આવ્યો હતો. તમે મને નીરાશ કર્યો છે.’ એ યુવાન જવાની તૈયારીમાં હતો ત્યારે મેં એને મારા જવાબનો મર્મ સમજાવ્યો.
મે કહ્યું: ‘દોસ્ત ! તું એક કામ કર. આવતા છ મહીના સુધી ગીતા બાજુએ મુકી દે. તારી ઑફીસમાં પાંચ મીનીટ વહેલો પહોંચી જજે અને સમય પુરો થાય પછી પાંચ મીનીટ બાદ ઑફીસ છોડજે. ખુરસી પર બેઠો હોય ત્યારે દુરથી કોઈ ગામડીયો વીજળીની મુશ્કેલી અંગે તારી પાસે કામ લઈને આવે ત્યારે  તું એનું વાજબી કામ એવી રીતે કરી આપજે, જાણે એ ગામડીયો ગોકુળથી આવેલો કૃષ્ણ જ હોય ! તું આ વાતનો અમલ છ મહીના માટે કર પછી ફરીથી મને મળવા આવજે. તને જરુર સમજાશે કે ગીતા વાંચવાની જરુર નથી. જો તું આ પ્રમાણે ન કરે તો ગીતા વાંચવાનો કોઈ જ અર્થ નથી.’ વર્ષો વીતી ગયાં તોય એ યુવાન હજી મને મળવા આવ્યો નથી.
આ જગતમાં બે ગીતા છે. એક કાગળ પર છપાયેલી પોથીગીતા અને બીજી છે જીવનગીતા. આવું જ કુરાન માટે અને બાઈબલ માટે પણ કહી શકાય. જીવનગીતા’ કે ‘જીવનકુરાન’ વીના ધર્મ પોથીમાંનું રીંગણું બની રહે છે. ધર્મ અને જીવન વચ્ચેના આવા છુટાછેડા થઈ જાય પછી જે બચે છે એ કેવળ બાહ્યાચાર છે. સાધુ ગીતા જીવે છે. ફકીર કુરાન જીવે છે. ગીતા કે કુરાન કંઠસ્થ કરવામાં મીથ્યાભીમાન રહેલું છે. ધર્મગ્રન્થોનો પોપટપાઠ માણસનો અહંકાર વધારે છે.
ભારતમાં રોજે રોજ નવાં નવાં ધર્મસ્થાન બન્ધાતાં જ રહે છે. મન્દીરોની કે મસ્જીદોની સંખ્યા વધે તેમ ધર્મનું આચરણ વધે છે ખરું ? નવાં મન્દીરો બન્ધાય એ સાથે સરેરાશ પ્રામાણીકતા વધે છે ખરી ? નવી મસ્જીદો બન્ધાય એ સાથે નીતીમય જીવન ઉદય પામે છે ખરું ? કદાચ આપણે છાપરા પર ચડી ગયેલા ઉંટને શોધી રહ્યા છીએ ! ભલો ઈબ્રાહીમ હજી જીવતો છે.

એક્સ–રે

હે શીવ !
મારાં ત્રણ પાપ બદલ મને ક્ષમા કરજો:
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભુલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વીચાર કરું છું; કારણ કે
હું ભુલી જાઉં છું કે તમે તો વીચારથી પર છો !
હું તમને પ્રાર્થના કરું ત્યારે ભુલી જાઉં છું
કે તમે તો શબ્દથી પર છો !
–આદી શંકરાચાર્ય

-  ગુણવંતભાઈ શાહ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.