Tuesday, September 11, 2012

‘વીજ્ઞાનની રુપેરી કોર પાછળ છુપાયું છે અન્ધશ્રદ્ધાનું અંધારું’-નગીનદાસ સંઘવી

        યુરી ગાગારીનથી શરુ થયેલી અવકાશયાત્રા અને આર્મસ્ટ્રૉંગની ચન્દ્ર સફર પછી વીજ્ઞાનના પ્રભાવે માનવીના જ્ઞાન અને અવકાશી સમ્બન્ધોના સીમાડા સતત વીસ્તરતા જાય છે. હવે તો ભારત અને ચીન જેવા એશીયાઈ દેશો પણ આ અવકાશી ઉપાસનામાં જોડાયા છે. વીશ્વના સ્વરુપ અને તેની પ્રક્રીયાઓ અંગેના જ્ઞાનમાં સતત ઉમેરા થઈ રહ્યા છે. અણુથી પણ નાના કણને નજરોનજર નીહાળવા માટે વરસોની જહેમત અને અબજો રુપીયાનો ખર્ચ પણ લેખે લાગ્યો છે. વીશ્વને સમજવાની આ મથામણમાં સત્યેન બોઝ અને અશોક સેન જેવા ભારતીય ભૌતીકશાસ્ત્રીઓએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. સોળ કરોડ રુપીયાનું રુસી પારીતોષીક મેળવનાર અશોક સેનનો સીદ્ધાન્ત હજુ પ્રયોગશાળામાં પુરવાર થયો નથી; પણ ગાણીતીક સમીકરણોની ગેડ બરાબર બેસી જાય છે.

       આવા શુદ્ધ વીજ્ઞાનના વહેવારુ ઉપયોગમાં ઘણો સમય લાગી જાય છે. અવકાશી યાત્રા માટે વપરાયેલ કેટલાંક ઉપકરણો આમજનતા પણ ઓછાં–વધતાં પ્રમાણમાં અથવા બદલાયેલાં સ્વરુપે વાપરી શકે છે; પણ વીશ્વના સ્વરુપ કે આદી બંધારણના જ્ઞાનનો વહેવારુ ઉપયોગ સીધી રીતે કરી શકાતો નથી.

       જગદીશચન્દ્ર બોઝ, રામાનુજન, સર સી. વી. રામન, સત્યેન બોઝ, હરગોવીન્દ ખુરાના, અશોક સેન જેવા વીશ્વ વીખ્યાત વીજ્ઞાનશાસ્ત્રીઓ ભારતીય સમાજમાં છે, પણ ભારતીય સમાજમાં વીજ્ઞાન અથવા વૈજ્ઞાનીક અભીગમનો લગભગ સમ્પુર્ણ અભાવ છે. આમજનતા હજુ આજે પણ વહેમો, ચમત્કારો અને જાતજાતની ચીત્રવીચીત્ર માન્યતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. શીતળાનો રોગ દુનીયામાંથી લગભગ નાબુદ થઈ ગયો છે; પણ શીતળા માતાની પુજા કે શીતળા સાતમને આપણે પડતી મુકતા નથી. ઉલટું વીજ્ઞાનનાં સાધનો આવી અવૈજ્ઞાનીક માન્યતાઓના સમર્થનમાં અને ફેલાવા માટે વાપરવામાં આવે છે. અત્યાધુનીક તંત્રજ્ઞાન અને ઉપકરણોના વીનીયોગથી છપાતાં અને વપરાતાં અખબારો અને ટેલીવીઝન, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરો પણ જુનવાણી અને ભયાનક વહેમોને મજબુત બનાવવામાં વપરાયાં છે. ટેલીવીઝન ભુતકથાઓને લોકપ્રીય બનાવે છે અને કમ્પ્યુટરો કુંડળીઓ બનાવવા માટે વપરાય છે.

    અભણ અથવા અર્ધજ્ઞાની બાવા–સાધુઓ–મહન્તો–સ્વામીઓ–ગુરુઓ અન્ધશ્રદ્ધા નીવારણના કામમાં સૌથી મોટાં વીધ્નરુપ બની ગયાં છે. તેમાં એક સૌથી હાસ્યાસ્પદ સંસ્થા પાલીતાણામાં કાર્યરત છે. ખગોળના જુના ગ્રંથોને વળગી બેઠેલા આ સંસ્થાના સંશોધકો વીજ્ઞાનશાસ્ત્રીઓને ‘લુચ્ચા અને લબાડ’ ઠરાવવાની કડાકુટ કરતા રહે છે. નીલ આર્મસ્ટ્રૉંગની ચન્દ્રયાત્રા સમ્પુર્ણત: બનાવટી છે અને ચન્દ્ર સુધી કોઈ પહોંચ્યું જ નથી તેવું છાતી ઠોકીને જણાવવામાં આવે છે. આધુનીક ખગોળશાસ્ત્ર અનુસાર પૃથ્વી ગોળ છે અને સુર્યની ફરતે ઘુમે છે અને પોતાની ધરી પર પણ ઘુમે છે તેવો સર્વ સ્વીકાર્ય મત પણ તેમને માન્ય નથી. આ મતને સાબીત કરી આપનાર વ્યક્તીને કરોડ રુપીયાનું ઈના આપવાની જાહેરાતો વારમ્વાર થાય છે; પણ આવી ચકાસણી કદી કરવામાં આવતી નથી અને ઈનામ કદી કોઈને અપાયું નથી. સુરતની ‘સત્ય શોધક સભા’ના પુર્વપ્રમુખ અને રૅશનાલીસ્ટ ડૉ. બી. એ પરીખસાહેબે આધુનીક સીદ્ધાન્ત સાચો પુરવાર કરવા માટેની ચેલેન્જ ઉપાડી લીધી; પણ આ બાબતમાં તેમણે લખેલા બે રજીસ્ટર્ડ પત્રોમાંના મુદ્દાઓ વીશે કશો ઉત્તર અપાયો નથી, તેવું તેમણે જાતે આ લખનારને કહ્યું છે.  

       ભારતીય નાગરીકો માટે વૈજ્ઞાનીક અભીગમ કેળવવાની ફરજ બન્ધારણમાં આમેજ કરવામાં આવી છે; પણ તેનો અમલ થાય તો આવી સંસ્થાઓ બન્ધ કરવી પડે. પણ, બન્ધારણ રુઢીચુસ્ત ધર્મગુરુઓ સામે કામીયાબ બની શકતું નથી. આ બાબતમાં ચીન આપણા કરતાં વધારે નસીબવાન અને પ્રગતીશીલ છે. ચીની વીજ્ઞાનશાસ્ત્રીઓનાં નામ આપણે જાણતા નથી, તે આપણું અજ્ઞાન દર્શાવે છે. ચીન માત્ર આર્થીક વીકાસની દોડમાં આપણાથી આગળ છે તેવું માની લેવાનું કારણ નથી. લંડનમાં ચાલી રહેલા ઓલીમ્પીક રમતોત્સવમાં ચીની ખેલાડીઓ અનેક ક્ષેત્રમાં સૌથી પહેલા નંબરે ઉભા છે અને સૌથી વધારે ચન્દ્રકો જીતે છે.

       જગતની પ્રાચીન સંસ્કૃતીમાં યવન સંસ્કૃતી બૌદ્ધીક ક્ષેત્રે અને રમતગમતના ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતી છે. આજનાં વીજ્ઞાનશાસ્ત્રોમાં વપરાતા અગણીત શબ્દો ગ્રીક ભાષાના છે. આ રમતોત્સવને ઓલીમ્પીક કહેવાય છે; કારણ કે ગ્રીકોનાં સર્વોચ્ચ દેવ ઝીયસ(Zeus)ના મુખ્ય મન્દીરની ટેકરી ઓલીમ્પીકની તળેટીમાં આ ઉત્સવની શરુઆત થઈ. આપણે આ કક્ષાએ પહોંચવું હશે તો બધાં ક્ષેત્રોમાં અને હરેક ક્ષણે વીજ્ઞાનશાસ્ત્ર પ્રમાણે ચાલીને દરેક જાતની અન્ધશ્રદ્ધાનો સમુળગો ઉચ્છેદ કરવો પડશે.

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 12 ઓગસ્ટ, 2012ની રવીવારીય પુર્તીમાં, શ્રી.નગીનદાસ સંઘવીની સાપ્તાહીક કટારસોંસરી વાતમાંથી..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.