Wednesday, August 8, 2012

પ્રસંગ – હંસા જાની

સન 1997ની 15 જૂને અમે અમારા દીકરા સંદીપને જનોઈ આપવાનો પ્રસંગ અમેરિકામાં યોજ્યો હતો. તે પ્રસંગની કંકોતરી ભારતમાં છપાવી હતી. એનું કદ 5 x 8 ઈંચનું સાધારણ લંબચોરસ હતું. આ કદની ટપાલ પોસ્ટવાળા નહીં સ્વીકારે તેમ બેચાર લોકોએ અમને કહેલું. પોસ્ટવાળાનું તમામ કામ કમ્પ્યુટર વાટે થતું હોઈ તેમને આ કદમાપથી પ્રોબ્લેમ થશે એમ તે બધાં કહેતાં હતાં.

ઉકેલ સારુ એ 200-250 કંકોતરી લઈને અમારી મુખ્ય પોસ્ટઑફિસે હું ચાલી ગઈ. કાઉન્ટર પરની કેશિયરને થોકડો આપ્યો અને કહ્યું કે આ ઈન્વિટેશન કાર્ડ છે. તો તે કહે, પોસ્ટખાતું આ મોકલી નહીં શકે. અને પછી ઉપર કહ્યાં તે તમામ કારણો તેણે કહી સંભળાવ્યાં. હું ખૂબ નિરાશ થઈ.

 હામ લઈને તે કેશિયરને મેં પૂછ્યું, ‘May I talk to your supervisor or officer ?’ તે અંદર ગઈ અને તેના બૉસને બોલાવી લાવી.

 તે અમેરિકન ગોરો માણસ હતો. લાગલો તે બોલ્યો : ‘Hello, young lady ! May I help you ?’ મેં જવાબમાં કહ્યું : ‘Yes Sir ! I need your kind help. I think only you can do this.’ મારા દીકરાના જનોઈ પ્રસંગની અને ધાર્મિક પરંપરા અને સંસ્કારની ઉપરછલી સમજણ આપી. એ પ્રસંગની આ કંકોતરી છે તેમ મેં જણાવ્યું. તે ભારતમાં છપાઈ છે અને હવે અહીં યુનાઈટેડ સ્ટેટ્સમાંથી આમંત્રણ માટે મોકલવાની છે. મૅનેજરે એક કાર્ડ હાથમાં લીધું. આમતેમ ફેરવીને જોયું અને મારા સામે જોઈ બોલ્યો : ‘Lady ! You are from India. That means Mahatma Gandhi’s country. He was a gentleman. He did good work for humankind. We cannot do this work by machine, but I will do this work by myself, manually. It will take one and a half hour. I think I am doing this work for that great man, Gandhi. Did you know that I have read his Autobiography twice, so far ? I have now bought that book for my home library. We can learn from his life.’ તેની વાતે મને ભારે ખુશી ઊપજી. મેં તેનો બહુ જ આભાર માન્યો તેના હાથ ઝાલીને તેનો આભાર માનતી જ રહી. તેણે મને ચિંતા ન કરવા જણાવ્યું.

એ પછી હું પોસ્ટઑફિસેથી ઘેર ભણી જવા નીકળી. એ વખતે તો મને થયું : હાશ ! મારું કામ પતી ગયું. મારા વાકચાતુર્યથી કામ થઈ ગયું. કારમાં બેઠી અને ચલાવતાં વિચારે ચડી, આ જણે ગાંધીજીની કેવી સરસ વાતો કરી. ગાંધીજીથી એ કેવો પ્રભાવિત થયો હતો અને હમવતનીને નાતે તેનો લાભ મને મળી રહ્યો હતો. પછી મને સમજાયું કે એ મારું વાકચાતુર્ય નહોતું અને મારી કોઈ જ હોશિયારી ન હતી. આ કામ ગાંધીજીને નામે પાર પડ્યું હતું. મારી આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. મારી કારને બાજુમાં લીધી અને ઊભી રાખી. ગાંધીજી ફરી ફરી યાદ આવતા હતા. આંખમાંથી આંસુ વહેતાં હતાં. ગાંધીજીને નત મસ્તકે મનોમન વંદતી રહી. અને પેલી ગીતની કડી ફરીથી ગણગણતી રહી : ‘સાબરમતી કે સંત, તૂંને કર દિયા કમાલ.’ મેં આંસુ લૂછ્યાં. હસતી હસતી પછી ઑફિસે ગઈ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.