Tuesday, October 9, 2012

વિશ્વાસની મૂડી !– ભૂપત વડોદરિયા


[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર. ]

અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય એવું લાગે છે. રૂપિયાઆનાપાઈની મૂડીની વાત નથી. મારી વાત છે વિશ્વાસની મૂડી ! કોણ જાણે કેમ પણ મને હવે કોઈનામાં વિશ્વાસ જ રહ્યો નથી ! હું છેતરાઈ ગયો હોઉં એવા પ્રસંગો બહુ થોડા જ બન્યા છે પણ આજકાલ મને કોઈનો વિશ્વાસ કરવાનું મન થતું નથી. મારી નિકટની વ્યક્તિ બાબતમાં પણ એવું બને છે કે એ કાંઈ કહે તો હું તરત તેનો વિશ્વાસ કરી શકતો નથી.’ અવિશ્વાસની આવી માનસિકતામાં તો જીવવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય બની જાય છે.

એક યુવાને એક પત્ર પાઠવ્યો છે. એમાં એની પોતાની સમસ્યા રજૂ કરીને કશુંક માર્ગદર્શન આપવાની વિનંતી કરી છે. આજના સમયમાં મધ્યમવર્ગનાં પતિ-પત્ની બંનેએ નોકરી કરવી પડે છે. આ યુવાનની પત્ની એક પેઢીમાં કામ કરે છે અને ત્યાં કામ કરી રહેલા એક યુવાન સાથે તેની મૈત્રી છે. સાથે કામ કરી રહેલા કોઈ પણ યુવક-યુવતીને ક્યાંક સાથે બહાર જવાનું પણ બને અને કાંઈક કામકાજ પતાવીને કૅન્ટીનમાં સાથે ચા-પાણી પીવાનું પણ બને. યુવાને જણાવ્યું છે કે મને મારી પત્નીની આ મૈત્રીમાં હવે શંકા પડવા માંડી છે. પત્નીને આ અંગે કાંઈ પણ કહું છું તો તરત ભભૂકી ઊઠે છે અને કોઈ વાર રડે છે તો કેટલીક વાર રીતસર લડવા માંડે છે. હું એને કહું છું કે તું આપણા બાળકના સોગંદ ઉપર મને કહે કે તમારી બંનેની વચ્ચે કશું જ નથી. યુવાન પત્રમાં પ્રશ્ન કરે છે – આ સંજોગોમાં મારે શું કરવું ? કોઈક વાર એમ થાય છે કે હું ગૃહત્યાગ જ કરું ! વળી એમ થાય છે આ તો માથાના દુખાવાથી કંટાળીને પોતાનું માથું કાપવા જેવી વાત છે. મને ખબર નથી પડતી કે મારે શું કરવું ? એની હત્યા કરી નાખું ? કે પછી બાળકને ખાતર એની હત્યા કરવાને બદલે હું જ આત્મહત્યા કરીને જિંદગીભરના પસ્તાવાનો વારસો આપી જાઉં ?

આ યુવાનના મનનું સમાધાન થાય એવું કાંઈક કહેવા વિચારું છું ત્યારે એક પ્રશ્ન ઊઠે છે કે જે યુવાન અવિશ્વાસ અને શંકાના ઊંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હાલતમાં ઊભો છે એને કોઈક સલામત કિનારે પહોંચાડવો કઈ રીતે ? મનમાં આનો જવાબ તો એક જ હતો જે તેને પાઠવ્યો. અવિશ્વાસ-અશ્રદ્ધાના હવામાનમાં ખૂબ રહ્યા – હવે સંકલ્પ કરીને એમાંથી બહાર કૂદી પડો ! આપણે માનીએ છીએ એટલી આ દુનિયા સારી ભલે નહીં હોય પણ કોઈ કોઈ વાર આપણે માનીએ છીએ એટલી ખરાબ આ દુનિયા નથી અને એટલા ખરાબ આપણી આસપાસના માણસો પણ નથી. ઈશ્વરમાં જે શ્રદ્ધા હોય તે ખરી પણ જો જીવવું જ હશે તો માણસમાં તો શ્રદ્ધા રાખ્યા વગર છૂટકો જ નથી ! ચોપાસ પ્રદૂષિત હવા છે તે માનીને શ્વાસ લેવાનું બંધ કરવાનું તો શક્ય જ નથી !

થોડા દિવસ પછી એક પત્ર આવ્યો – થોડીક શંકા અને અમંગળની કલ્પના સાથે એ પત્ર ખોલ્યો અને વાંચ્યો ત્યારે અવર્ણનીય રાહતની લાગણી થઈ. પતિ-પત્નીની સહી સાથે એ પત્રમાં લખ્યું હતું કે પરસ્પર વિશ્વાસ રાખવાનો સંકલ્પ અમે કર્યો છે અને આ સોગંદમાં અમે અમારા પ્રિય બાળકને પ્યાદું બનાવ્યો નથી. અમે નક્કી કર્યું છે કે અમારે પરસ્પરના ભરોસે, પરસ્પરની સાથે જ જીવવું છે અને દંપતી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ અવિશ્વાસ તો હોઈ જ ના શકે કેમ કે કોઈ પણ બે વ્યક્તિઓમાં પરસ્પર અવિશ્વાસનું ઝેર પચાવવાની શક્તિ તો કોઈનામાં હોતી નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.