Monday, October 15, 2012

કઠિયારાની કોઠાસૂઝ– સુરેશ દલાલ

મારા મિત્ર ડૉ. દિનેશ ટોપરાણીએ કિશોરલાલ મશરૂવાળાના કોઈ પુસ્તકમાં દષ્ટાંત વાંચ્યું હતું એ એમણે મને કહ્યું અને થયું કે લાવ તમને પણ આ વાત કહું.
એક કઠિયારો હતો. રોજ રોજ એનું એકનું એક જ કામ અને તે લાકડાં કાપવાનું. રોજિંદુ જીવન તો દરેકનું હોય જ છે. પ્યુનથી માંડીને પ્રાઈમ મિનિસ્ટર સુધીનું. પોશાક બદલાય છે, પણ શરીર બદલાતું નથી. કોઈ કે કહ્યું’તું એમ રેસ્ટોરાં બદલાય છે, પણ જીભ બદલાતી નથી. જે માણસ રોજિંદા જીવનમાંથી એકધારો આનંદ મેળવે તે જીવન જીવી જાણે છે. નિત્યકર્મ એ નિત્ય સાધના છે. જે કરવાનું છે તે તો કરવાનું જ છે. પણ બબડી બબડીને કામ કરીએ તો પછી કામનો આનંદ ન રહે – પણ વૈતરું કે વેઠ થઈ જાય. માથા પરનો બોજો થઈ જાય છે. રોજનું કામ આનંદથી કરીએ તો માથા પર ભાર ન લાગે પણ ‘મોરપીંછનો ભારો’ લાગે. મોરપીંછની હળવાશથી કામ કરીએ તો એની મજા જુદી છે.
એ કઠિયારાના જીવનનો આનંદી અભિગમ જોઈને ઈશ્વર તો ખુશ ખુશ થઈ ગયા. એ અદશ્યરૂપે કઠિયારાની પાછળ પાછળ ગયા. ત્યાં ઈશ્વરે એક સોનાનું લાકડું મૂકી દીધું. આ સોનાના લાકડા પર કઠિયારાની નજર પડી. એને ઊંચક્યું અને મૂકી દીધું. ઈશ્વર પ્રકટ થયા અને એમણે કઠિયારાને કહ્યું કે, ‘આટલું બધું સોનું તને મળે છે તો તું શું કામ જતું કરે છે ? તું આ ઘરે લઈ જશે તો તારી સાત પેઢી તરી જશે. રોજ તારે લાકડાં કાપવાં આવવું નહીં પડે. રોજ વહેલાં ઊઠવું નહીં, કોઈ વેઠ નહીં, શેઠની જેમ રહી શકશે. આરામથી ઊંઘી શકશે. છપ્પનભોગ માણી શકશે. કઠિયારાએ શાંતિથી કહ્યું કે આ સોનાનું લાકડું બીજા કોઈને કામ આવશે, મને એની જરૂર નથી. જો હું રોજ લાકડાં કાપવા નહીં આવું તો મારા હાથમાંથી હુન્નર ચાલી જશે. કામ વિનાનો હું સાવ નકામો થઈ જઈશ. મને તો કામમાં જેટલો આનંદ મળે છે એટલો આનંદ ક્યાંય મળતો નથી. આ કામના લીધે મને ભૂખ લાગે છે, તરસ લાગે છે. મારા કુટુંબીઓ માટે કૈંક કરી શકું છું એનો મને સંતોષ છે અને આ સંતોષને કારણે જીવન સરસ લાગે છે. કામ ન કરું તો હું એદી થઈ જઈશ, આળસુ થઈ જઈશ. મારી તબિયત બગડશે, શરીર સુંવાળું થઈ જશે. જીવન સુખાળવું થઈ જશે. તન સારું રહે અને મન કશાકમાં પરોવાયેલું રહે એના જેવું કોઈ જીવન નહીં.
કઠિયારો ભણેલો નહોતો અને છતાં પણ એનામાં કોઠાસૂઝ હતી. દરેકની સુખની ભાવના અને વિભાવના જુદી હોય છે. જો કોઈ લોભી અને લાલચુ માણસ હોત તો સોનાની મોટી લગડી જેવું વજનદાર લાકડું લઈ લેત. પણ કઠિયારાએ એને આપસૂઝથી જતું કર્યું. કોઈનું લઈને ઓશિયાળાપણે જીવવું એના કરતાં જાતે રળીને જીવવાનો આનંદ જુદો જ હોય છે. સુખ અને દુઃખ તો આપણે જ ઊભી કરેલી માયાજાળ છે. શાણો માણસ સુખ અને દુઃખને હાંસિયામાં ધકેલી દે છે. પછી કોઈ રાવ-ફરિયાદ કરતો નથી. એ પોતામાં જ અલમસ્ત હોય છે. વેણીભાઈનું કાવ્ય યાદ આવે છે :
સુખનાં સુખડ જલે રે મારા મનવા !
દુઃખના બાવળ બળે –

બળે રે જી…. દુઃખનાં બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને

બાવળના કોયલા પડે –

મારા મનવા ! તરસ્યા ટોળે વળે.

વળે રે જી…… દુઃખના બાવળ બળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે :

કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસે :

રે મનવા ! કોઈ મગન સંન્યાસે :

સુખનાં સાધન ને આરાધન લખ ચકરાવે ચડે…..

ચડે રે જી….. તરસ્યા ટોળે વળે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.