Thursday, July 19, 2012

ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન

એક એવા યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ જેમાં માણસે પોતાના એકના એક એવા લાડકા હૃદયની માવજત કરવી પડશે. સહૃદયતા વિનાની સમૃદ્ધિ રાવણત્વની જનેતા છે. ભીના હૃદયના માલિક હોવું એ જ સમૃદ્ધિનું ગૌરીશંકર છે. તાતા, બિરલા કે અંબાણી તો એવા માલિક આગળ ગરીબગુરબાં ગણાય. તમાકુના વિશાળ ખેતર કરતાં નાનકડો તુલસીક્યારો અધિક મૂલ્યવાન છે. રાવણ પાસે સોનાની લંકા હતી તોય એ ગરીબ હતો. શબરી પાસે કેવળ બોર હતાં તોય એ સમૃદ્ધ હતી. પ્રત્યેક માણસ ઉમળકાથી છલકાતું હોય એવું બીજું હૃદય ઝંખે છે. એવું હૃદય હવે હારવાની અણી પર છે.

આજની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચાલાકીના ચાસ પાડતા રહે છે. બધી દુકાનોમાં ચાલાકી વેચાયા કરે છે. બધી ઓફિસોમાં ચાલાકી દળાતી રહે છે. ટેલિફોન પર ચાલાકીથી લથપથ એવા શબ્દો દ્વારા વહેવારની હેરાફેરી થતી રહે છે. ચાલાકીથી થાકેલો આદમી રાત પડે ત્યારે શરાબને શરણે જતો હોય છે. જ્યાં નશો હોય ત્યાં ચાલાકી ગેરહાજર હોય છે. ચાલાકીની ગેરહાજરી માણસને થોડાક કલાકો માટે રાહત આપતી જણાય છે.

ડેનિયલ ગોલમેન પોતાના પુસ્તક ‘ઇમોશનલ ઈન્ટેલિજન્સ’માં માણસની ઊર્મિઓનો મહિમા કરે છે. એ ઊર્મિઓનું મંદિર આપણા હૃદયમાં આવેલું છે. ડેનિયલ હૃદયને ‘ઇમોશનલ બ્રેઇન’ તરીકે ઓળખાવે છે. કેટલાક માણસો પાસે તેજસ્વી મિસ્તષ્ક હોય છે, પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. આવા માણસો બીજું બધું પામે છે, પરંતુ પ્રેમનો પ્રસાદ નથી પામતા. એમના બંગલા પર ચોકીપહેરો હોય છે. બંગલો ભારે રોનકદાર હોય છે. 

ઝીણી નજરે જોઇએ તો બંગલામાં અટવાતી ગરીબી પણ રોનકદાર હોય છે. જે બંગલામાં સંવેદનવૈભવ ન હોય તે બંગલામાં કવિ જઇ શકે? આવો કોઇ સંવેદનશૂન્ય માણસ જે રોગથી કણસે છે તેને ડેનિયલ ગોલમેન ‘ઇમોશનલ ઇલ્લિટરસી’ (ઊર્મિની અભણતા) તરીકે ઓળખાવે છે. કોને ઘરે મહેમાન ન થવું તેની સમજણ કવિઓ, કલાકારો અને કથાકારો પાસે હોવી જોઇએ. દુર્યોધનના મેવા ન ખપે, વિદુરની ભાજી ખપે!
મનમાં એવો વહેમ પડે છે કે આજનો માણસ સામેવાળાનો ઇરાદો પામી જવામાં સફળ થાય છે, પરંતુ સામેવાળાનું હૃદય પામવાનું ચૂકી જાય છે. ટીવી સિરિયલોમાં સામા માણસના મલિન ઇરાદા અંગેની તર્કબદ્ધ અટકળોની જલેબી તળાતી રહે છે. કલ્પનામાં પણ ન આવે એવો સજજન મિત્ર દગો કરે ત્યારે જે હૃદય ભાંગી પડે તે હૃદય ચાલાક માણસનું નથી હોતું. હૃદય ભાંગી પડે તે એટલું તો સાબિત કરે જ છે કે એ માણસને હૃદય હતું! બિઝનેસની બોલબાલા વધી પડે તે સમાજમાં પૈસા ખાતર થતી દગાબાજી વધી પડે છે. 

માનવસંબંધોમાં મીઠાશ ઘટતી જાય અને ગણતરી વધતી જાય ત્યારે માણસની મદદે તમાકુ, શરાબ અને ચરસ આવે છે. શરાબની બદનામી બહુ થઇ છે, પરંતુ એની કરુણતાની કદર થઇ નથી. શરાબ દુ:ખભંજક અને પીડાશામક છે. લાગણીની ભૂખ ન સંતોષાય ત્યારે બીજી ભૂખ જાગે છે. સ્નેહની તરસ ન સંતોષાય ત્યારે બીજી તરસ ઊગે છે. ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન થતું રહે છે. વ્યસનના મૂળમાં ઉમળકાનું અગ્નિસ્નાન રહેલું છે. ઇશ્વર જેવું કોઇ આશ્વાસન નથી. બીજે નંબરે નશો! માણસની બધી ચાલાકી બીજાને છેતરવામાં વપરાઇ જાય પછી જે ચાપુચપટી ચાલાકી બચે તે લઇને એ મંદિરે પહોંચી જાય છે. 
મંદિરની દાનપેટીમાં ચાલાક માણસ થોડાક સિક્કા પધરાવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતી વખતે એને થાય છે કે ભગવાન હવે ઝાઝી માથાકૂટ નહીં કરે. ખરેખર એમ જ બને છે. દાનપેટીમાં પૂજારીને રસ હોય છે, ભગવાનને નહીં. ભગવાનને દાનપેટીમાં નહીં, હૃદયપેટીમાં રસ હોય છે. ચાલાક માણસ એટલે એવો માણસ, જેનું હૃદય ખાલીખમ હોય છે. 

હૃદય દગો વેઠી શકે, દગો કરી ન શકે. દગો દેવાનું કામ તો હૃદય મિસ્તષ્ક પર છોડી દે છે. કોમ્પ્યzુટર મિસ્તષ્કને ઝીલવાનું કામ કરે ખરું, પરંતુ હૃદયને સમજવાનું કામ કદી નહીં કરી શકે. મિસ્તષ્કનો વિકાસ બહુ થયો, પરંતુ હૃદયની કેળવણી ન થઇ. આજની દુનિયાની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં અવિકસિત હૃદયની અતૃપ્ત ઝંખનાનો હાહાકાર વરતાય છે.ક્યારેક ઘરના ઝાંપે પાટિયા પર સંદેશો લખવાનું મન થાય છે:

ખાલી હાથે આવજો,
પરંતુ
ખાલી હૃદયે ન આવશો.
તમારો અને મારો
સમય મૂલ્યવાન છે.


તમે ચાલાકીથી છલકાતું ઉમળકાવિહીન પ્રવચન સાંભળ્યું છે? પ્રવચન કરનારો યંત્રમાનવ (રોબો) છે કે જીવતો જાગતો મનુષ્ય?ઘણીવાર મનમાં એક વિચિત્ર પ્રશ્ન થયો છે: બહુમતી કોની? છેતરનારા લોકોની કે છેતરાઇ જનારા લોકોની? દગો દેનારા લોકોની સંખ્યા અને દગો પામનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે તેથી જ સમાજ જીવે છે. સમાજમાં કદી પણ ચોરી કરનારા, ખૂન કરનારા, લૂંટ ચલાવનારા અને આતંક મચાવનારા લોકોની સંખ્યા મોટી નથી હોતી. ગમે તેટલી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ આ બાબત ભૂલવા જેવી નથી. 
થોમસ પેઇન પોતાના પુસ્તક, ‘ધ એજ ઓફ રીઝન’ માં વિધાન કરે છે: ‘મારું મન એ જ મારું ચર્ચ છે.’ જો આ વિધાન સાચું હોય તો પછી ચર્ચમાં જવાની જરૂર ખરી? માણસ મંદિરે કે મિસ્જદે જાય છે અને ત્યાંથી બહાર આવીને પોતાના રોજિંદા કામે લાગી જાય છે. એમાં કશું ખોટું પણ નથી. એના મનની વૃત્તિમાં કોઇ જ ફેર ન પડે ત્યારે થાય છે કે પૂજા કે નમાજ કેવળ વિધિ કે બાહ્યાચાર છે. રોજ આવો વ્યાયામ કરવાથી મનમાં મંદિર નથી રચાતું. દાણચોરની દાણચોરી ચાલુ રહે છે. ઓફિસરનો ભ્રષ્ટાચાર ચાલુ રહે છે. બિલ્ડરની છેતરપિંડી ચાલુ રહે છે. ઇશ્વર લાચાર છે.

ટેક્નોલોજી નવા ધર્મનો લેબાસ ધારણ કરીને આપણી સમક્ષ આવી પહોંચી છે. ગણપતિને સ્થાને કોમ્પ્યુટર ગોઠવાઇ જાય છે. 

ટેલિકોમ્યુનિકેશનને કારણે ભૌતિક અંતરનું મૃત્યુ (ડેથ ઓફ ડસ્ટિન્સ) શક્ય બન્યું છે. ઇશ્વર સગવડ બનીને પોતાની કૃપા વરસાવી રહ્યો છે. પેઇનકિલરની ગોળી મનુષ્ય માટે પીડાહારિણી માતા બની રહે છે. દુનિયા નાની થતી જાય છે, પરંતુ હૃદયની વિશાળતા વધતી નથી. માણસની લાગણીના પરિઘમાં ક્યારેક માતા-પિતા પણ હોતાં નથી! જે પરિવારમાં ચાલાકીને કારણે અંદરનો ઉમળકો ભાગી છુટ્યો હોય, એવા ઘરમાં મહેમાન બનવાનો અભિશાપ આકરો લાગે છે. વૃક્ષો વિનાના બોડા ડુંગર જેવા શુષ્ક માણસને દૂરથી જ નમસ્કાર કરવા રહ્યા. આપણું હૃદય છોભીલું પડીને નંદવાઇ જાય એવી દુર્ઘટના ટાળવા જેવી છે. રામના સ્વાગત માટે શબરીનું હૃદય જોઇએ.‘

પાઘડીનો વળ છેડે
મારું હૃદય મંદિર છે.
મારું હૃદય મિસ્જદ છે.
મારું હૃદય ચર્ચ છે.
ભગવાન એટલે જ પ્રેમ.
મારું હૃદય
પ્રેમનું આસન છે.
- મૃહ્યુદ્દિન ઇબ્ન અરબી

સૌજન્ય : દિવ્ય ભાસ્કર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.