Wednesday, March 12, 2014

ભૂલો અને માફ કરો – તન્વી બુચ

ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. વિલિયમ બ્લૅક કહે છે કે ‘દુશ્મનને તો હજુ પણ માફ કરી શકાય પણ મિત્રોને માફ કરવા ખૂબ જ અઘરા છે.’ એ વ્યક્તિ આપણી સાથે આવું કરી જ કેમ શકે ? એ વાત આપણે ભૂલી શકતા નથી. કહેવાય છે કે ‘ભૂલો અને માફ કરો’ એમાં ભૂલવું તો હજુ સહેલું છે કારણ કે માનવ સ્વભાવ જ વિસ્મૃતિને વરેલો છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.
ક્ષમા આપવી એ સરળ બાબત નથી. ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે. કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. ક્ષમા તો હૃદય ઉદાર બને તો જ આપી શકાય ! માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે. વ્યક્તિ જેવો છે તેવો દોષસહિત સ્વીકારવાની તૈયારી તેને મૂઠીઉંચેરો બનાવે છે. એક સાયકોલોજી બુલેટિન પ્રમાણે, ‘માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. જે લોકો કોઈ પણ વાતને જલ્દીથી ભૂલી શકતા હોય અને બીજાને માફ કરી શકતા હોય તેમની તંદુરસ્તી પણ સારી રહે છે.
એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.
ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. કોઈક વાર તો પેઢીઓ સુધી વિસ્તરે છે અને નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે. ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે. માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે.
સૌજન્ય :રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.