Sunday, April 21, 2013

મેં તમને ઓળખ્યાં નહિ – સં. અલકેશ પટેલ



હજુ હમણાં જ 45મો જન્મદિવસ ઊજવનાર હેમાબહેનને હાર્ટઍટેક આવ્યો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ઑપરેશન ટેબલ સુધી પહોંચતા પહોંચતા તો તેમને બહુ જ નજીકથી મૃત્યુનો અહેસાસ થયો. તેઓ આમ ખાસ ધાર્મિક વૃત્તિનાં નહોતાં, છતાં મૃત્યુ સમયે ઈશ્વરને યાદ કર્યા અને ઑપરેશન થિયેટરની બહાર તેમની મૂર્તિ જોઈને પૂછ્યું, ‘હે ભગવાન, શું મારો અંતિમ સમય આવી ગયો છે ?’ ભગવાને કહ્યું : ‘ના, હજુ તો તમારી પાસે 43 વર્ષ, બે મહિના અને આઠ દિવસનું જીવન બાકી છે.’ પછી તો તેમનું ઑપરેશન સારી રીતે પાર પડ્યું.
તે સંપૂર્ણ સાજા થઈ ગયા, છતાં ત્યાંથી રજા લઈને ઘરે જવાને બદલે તેમણે હૉસ્પિટલમાં જ રહીને ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી. હોઠ, નાક ઠીક કરાવ્યાં. પેટ પર વધી ગયેલી ચરબી દૂર કરાવી. આ રીતે શરીરનાં જે અંગોમાં તેમને ખામી લાગી તે બધાં જ અંગો તેમણે ઠીકઠાક કરાવી લીધાં. એટલે સુધી કે બ્યુટિશિયનને હૉસ્પિટલમાં જ બોલાવી વાળનો રંગ પણ બદલાવી નાખ્યો. હેમાબહેન આવું કરે તે પણ સ્વાભાવિક હતું, કારણ કે તેમની પાસે સરસ રીતે જીવન જીવવા માટે હવે ચાર દાયકા કરતાં વધુ સમય હતો.
હૃદયરોગના ગંભીર હુમલા પછી તેમને તો જાણે નવું જીવન જ મળ્યું હતું. તેથી ભવિષ્યના જીવન માટે તેમણે પોતાની જાતને સંપૂર્ણપણે ફિટ કરી લીધી. હૉસ્પિટલમાં છેલ્લામાં છેલ્લું ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા પછી તે ઘરે જવા નીકળ્યાં. જીવનના અનેરા ઉત્સાહ સાથે તે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે જ એક એમ્બ્યુલન્સની ટક્કર વાગી અને તેમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ બાદ ઈશ્વર સાથે ભેટો થયો ત્યારે તેમણે ઈશ્વરને પૂછ્યું કે, ‘તમે તો કહ્યું હતું કે મારે હજુ 43 વર્ષ, બે મહિના અને આઠ દિવસ જેટલું જીવવાનું બાકી છે. તો પછી આ શું થયું ? શા માટે મને અહીં બોલાવી લીધી ?’
જવાબમાં ભગવાને એટલું જ કહ્યું કે : ‘હું તને ઓળખી જ ન શક્યો.’

બોધ : બોધ સરળ અને સ્પષ્ટ છે – કુદરતે તમને જે રંગ-રૂપ આપ્યાં હોય તેને જાળવી રાખો. બનાવટી જીવન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બની શકે કે તમે તમારી ઓળખ પણ ગુમાવી દો !
.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.